Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

બેભાન હાલતમાં દિપકભાઇ વ્યાસ અને જીતેશ દવેએ દમ તોડ્યો

યોગી વંદના સોસાયટી, નાગેશ્વરના બ્રાહ્મણ પરિવારોમાં શોક

રાજકોટ તા. ૨૮: કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર પાછળ યોગી વંદના સોસાયટી-૧માં 'નિલકંઠ' ખાતે રહેતાં દિપકભાઇ ચંદુલાલ વ્યાસ (ઉ.૫૪) નામના બ્રાહ્મણ વેપારી રાત્રીના નવેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ જાણ કરતાં ગાંધીગ્રામના પીએસઆઇ વી.સી. પરમારે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર દિપકભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી છે. તેઓ જનરલ સ્ટોર ચલાવતાં હતાં. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

બીજા બનાવમાં જામનગર રોડ નાગેશ્વર મેઇન રોડ પર નવકાર એપાર્ટમેન્ટમાં રહેતો જીતેશભાઇ કમલેશભાઇ દવે (ઉ.૩૦) રાત્રે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર એક ભાઇ અને બહેનમાં મોટો હતો. તેને કેટલાક દિવસથી કમળો થયો હતો. યુવાન દિકરાના મૃત્યુથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

(1:35 pm IST)