Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

પુત્રને મોરબી નિશાળે મુકી પરત આવતી વખતે અકસ્માતમાં મોટા ભેલાના કોળી યુવાનનું મોત

બરવાળાની ગોળાઇમાં બોલેરોએ રિક્ષાને ઉલાળતાં બનાવઃ દેવરાજભાઇ ખાંભડીયાને અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ છેલ્લે રાજકોટમાં દમ તોડ્યોઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૮: માળીયા મિંયાણાના મોટાભેલા ગામના કોળી યુવાનનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. પુત્રને મોરબી નિશાળે મુકી પરત પોતાની રિક્ષામાં મોટાભેલા આવતી વખતે રસ્તામાં બોલેરોની ઠોકરે ચડી જતાં અકસ્માત નડ્યો હતો. અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર અપાયા બાદ રાજકોટ ખસેડાયા હતાં. અહિ ગત રાતે દમ તોડી દેતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

મોટાભેલા રહેતાં દેવરાજભાઇ શંકરભાઇ ખાંભડીયા (ઉ.૩૫) તા. ૨૧ના રોજ પોતાના ૧૨ વર્ષના પુત્ર અરમાનને પોતાની રિક્ષામાં બેસાડી મોરબી નિશાળે મુકવા ગયા હતાં. ત્યાંથી પરત આવતી વખતે રસ્તામાં બરવાળાની ગોળાઇમાં બોલેરોની ટક્કર રિક્ષાને લાગતાં ગોથું ખાઇ જતાં દેવરાજભાઇને ગંભીર ઇજા થતાં મોરબી, રાજકોટ સિવિલ, અમદાવાદ સિવિલ, ત્યાંથી પરત મોરબી અને છેલ્લે રાજકોટ મધુરમ્ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાતે દમ તોડી દેતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

દેવરાજભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. તેના મોતથી બે પુત્રી અને એક પુત્ર મળી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવી છે. ભકિતનગર પોલીસે પ્રાથમિક કાગળો કરી મોરબી પોલીસને જાણ કરી હતી.

(1:35 pm IST)