Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

બેભાન હાલતમાં કમલેશભાઇ કંસારા રાજેશભાઇ બોસમીયા અને દિલીપભાઇ મારૂએ દમ તોડ્યો

રાજકોટ તા. ૨૮: ચંદ્રેશનગર મેઇન રોડ ર આસોપાલવ પાર્ક-૧માં રહેતાં કમલેશભાઇ બાબુભાઇ કંસારા (ઉ.૪૮) નામના સોરઠીયા પ્રજાપતિ આધેડ સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

મૃતક ચાર ભાઇ અને બે બહેનમાં બીજા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પોતે સુથારી કામ કરતાં હતાં. માલવીયાનગરના એએસઆઇ એચ. એમ. મણવરે જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બીજા બનાવમાં સંત કબીર રોડ રાજારામ સોસાયટી-૯માં રહેતાં રાજેશભાઇ વૃજલાલ બોસમીયા (ખત્રી) (ઉ.૪૩) કેન્સરની બિમારીને લીધે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું. મૃતક ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટા હતાં અને સાડીના કારખાનામાં કામ કરતાં હતાં. થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં ગુંદાવાડી મેઇન રોડ પર રહેતાં દિલીપભાઇ રતિભાઇ મારૂ (ઉ.૫૦) પોતાની દુકાને બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. ભકિતનગરના પીએસઆઇ બી. બી. કોડીયાતરે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:41 pm IST)