Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

કોરોનાના ડરને ૬૦ પરિવારજનોના મનમાંથી જડમૂળથી દૂર કરતાં મલ્ટિર્પપઝ હેલ્થ વર્કર રસિકભાઈ બગડા

રાજકોટમાં સૌરાષ્ટ્ર-ગુજરાતનો કોરોનાનો પ્રથમ કેસ દાખલ થયો ત્યારે પ્રથમ દર્દી નદીમભાઈ ના સંપર્કમાં આવેલ ૬૦ જેટલા પરિવારને પથિકાશ્રમમાં કવોરોન્ટાઇન કરવાની જવાબદારી મને સોંપવામાં આવી હતી. એ દિવસો દરમિયાન ત્યાં કવોરોન્ટાઇન થયેલા લોકોના મનમાં કોરોનાનો ભય પેસી ગયો હતો. મૂળ તો અમે આ રોગના ભયને તેમના મનમાંથી કાઢી નાંખ્યો, અમે તેમને સમજાવ્યું કે જરૂરી નથી કે કોરોનાગ્રસિત દરેક દર્દીનું મૃત્યુ થાય. રોગ અંગે પૂરતી કાળજી રાખવાથી ચોક્ક્સપણે રોગના સંક્રમણથી બચી શકાય છે.  આ શબ્દો છે રાજકોટના પથિકાશ્રમમાં ૧૪ દિવસ સુધી કોરોના પેશન્ટના પરિવારને કવોરોન્ટાઇન કરીને તેમની સારસંભાળ રાખનાર મલ્ટિર્પપઝ હેલ્થ વર્કર રસિકભાઈ બગડાના..., કોઈ પણ રોગ શારીરિકથી વધુ માનસિક અસર કરે છે. તેમાંય કોરોના.. જે સમગ્ર વિશ્વ માટે નવો છે તેનો અકસીર ઈલાજ પણ વિશ્વમાં કયાંય ઉપલબ્ધ નથી. 

પડધરી તાલુકાના સાલપીપળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેડ કવાર્ટર હડમતીયા ખાતે ફરજ બજવતાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર રસિકભાઈ બગડા સાથે પથિકાશ્રમમાં ફરજ દરમિયાન એક ઘટના બની, જંગલેશ્વરના શ્રમિક પરિવારના તસલીમબેન કોઈ કોરોનાગ્રસિત વ્યકિતના સંપર્કમાં આવ્યા હતા. તેથી તેંમને પથિકાશ્રમમાં કવોરોન્ટાઇન કર્યા હતા. તેમનું હેલ્થ ચેકઅપ કરતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો, તાત્કાલિક તેમને સિવિલમાં દાખલમાં કરવા પડે તેમ હતા. તસલીમબેનનો ૧ વર્ષનો પુત્ર માતાથી અળગો થવા માંગતો ન હતો. તેમનો પરિવાર પણ ખૂબ જ ગભરાઈ ગયો હતો. ત્યારે રસિકભાઈએ તેમના પુત્રને એક મા ની જેમ સમજાવ્યો અને તસલિમબેનના પરિવારને માનસિક મનોબળ પૂરું પાડીને તસલીમબેનને હોસ્પિટલમાં દાખલ કર્યા. સુયોગ્ય સારવાર બાદ તંદુરસ્ત થઈને સૌ પ્રથમ તસલિમબેન પરિવાર સાથે રસિકભાઈને મળી તેંમનો આભાર માન્યો હતો. પથિકાશ્રમ બાદ તેમને તા. ૨૯ એપ્રિલ થી ૨૫ મે સુધી રાજકોટના કન્ટેન્ટમેન્ટ ઝોન જંગલેશ્વર વિસ્તારમાં ફરજ સોંપવામાં આવી હતી. જયાં તેમણે માહિતી, સંવાદ અને શિક્ષણના માધ્યમથી કોરોનાની ગંભીરતા સમજાવી લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવા અનુરોધ કર્યો હતો. સમય જતાં લોકો પણ રસિકભાઈની વાતથી સહમત થયા હતા.

 રસિકભાઈની સમગ્ર ફરજ દરમિયાન તેમના પરિવારનો પણ તેમને પૂરતો સહયોગ મળ્યો. આ સરાહનીય કામગીરીને કારણે અનેક લોકો કોરોનાનાં સંક્રમણથી બચી શકયા છે.

આલેખન

શુભમ અંબાણી

માહિતી ખાતુ, રાજકોટ

(2:56 pm IST)