Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

તમારે નડતર છે, વિધી કરાવવી પડશે... કહી પટેલ દંપતિને છેતરી ગઠીયા રોકડ - દાગીના લઇ ગયા

પડધરીના મેટોડામાં બનાવઃ હીરાભાઇ અને જ્યોત્સનાબેન સોજીત્રા છેતરાયા :જ્યોત્સનાબેનને બેસાડી ૪ ગઠીયાએ માથેથી પાણી ઉતારી તૂત કર્યું : જતાં - જતાં ગઠીયાઓએ કહ્યું- રામાપીરનું આખ્યાન કરીને આવીએ પછી તમારી રોકડ-દાગીના પાછા આપી દેશું!

રાજકોટ તા. ૨૭ : પડધરી તાલુકાના મેટોડા ગામમાં 'તમારે નડતર છે, વિધી કરાવવી પડશે' તેમ કહી લેઉવા પટેલ દંપતીને ચાર શખ્સો રોકડ તથા દાગીના લઇ છેતરીને નાશી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મેટોડા ગામમાં પ્રાથમિક શાળા પાસે રહેતા હીરાભાઇ ટપુભાઇ સોજીત્રા (ઉ.વ.૫૦) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે કાળા કલરના કોટ પહેરેલ ચાર શખ્સો તેના ઘરે આવ્યા હતા અને 'પાણી પીવું છે' તેમ કહી ઘરમાં ઘુસી ગયા હતા. હીરાભાઇના પત્ની જ્યોત્સનાબેને ચારેયને પાણી પીવડાવ્યું હતું. ત્યારબાદ ચાર ગઠીયામાંથી એક શખ્સે જ્યોત્સનાબેનને કહ્યું કે 'તમને કંઇક નડતરરૂપ છે, હું રામાપીરનો ભુવો છું, તમારે વિધી કરાવવી પડશે' તેમ કહ્યું હતું. બાદ તે શખ્સે હીરાભાઇના ડાબા ખભ્ભા ઉપર હાથ મુકતા હીરાભાઇ ભાન ભુલી ગયા હતા તે કંઇ બોલી શકતા ન હતા. બાદ આ ચારેય ગઠીયાઓએ પહેલા જ્યોત્સનાબેન પાસે એક ગ્લાસમાં પાણી મંગાવ્યું અને કહ્યું કે, 'હું તમને વિધી કરી આપું છું' તમને વિશ્વાસ ન આવે તો હું પાણીમાં મરચુ નાખી આ પાણી પીને બતાવું તેમ કહી પટેલ દંપતિને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ ચાર પૈકી એક શખ્સે હીરાભાઇને થોડીવાર બહાર જવાનું કહેતા હિરાભાઇ બહાર જતા રહ્યા હત ત્યાં તે શખ્સે જ્યોત્સબેનના માથે પાણી ભરેલો ગ્લાસ ઉતારી વિધી કરતા હોઇ તેવું નાટક કર્યું હતું. બાદ જ્યોત્સનાબેન પાસેથી એક ચાર તોલાનો સોનાનો હાર અને રૂ. ૨૧,૦૦૦ રોકડા લઇ લીધા હતા અને 'અમે રામાપીરનું આખ્યાન રમીને આવી પછી આ બધુ તમને પરત આપી દેશું' તેમ કહી નાસી ગયા હતા. પતિ હિરાભાઇ ઘરે આવ્યા ત્યારે પત્ની જ્યોત્સનાબેને વાત કરતા પોતાની સાથે છેતરપીંડી થયાની ખબર પડતા હીરાભાઇએ ચારેયને શોધવા માટે ઘરની બહાર નીકળ્યા પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. બાદ હીરાભાઇ સોજીત્રાએ પડધરી પોલીસ મથકમાં ચાર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા એએસઆઇ જે.બી.રાણાએ તપાસ આદરી છે.

(3:33 pm IST)