Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ડો.ગોહિલ જેવા સારા સર્જનનું રાજીનામુ નામંજુર કરીને સરકાર તબીબ જગતને ન્યાય અપાવે

તંત્રીશ્રી, અકિલા

જય ભારત સાથ આપના સુપ્રસિધ્ધ સાંધ્ય દૈનિકમાં શહેર આવૃતિમાં ડો. ધર્મેન્દ્રસિંહ ગોહિલના સ્વૈચ્છીક રાજીનામા ના સમાચાર અને તેના મુળમાં રહેલ કહેવાતા ખોટા માંદગીના સર્ટિ લેનાર દર્દીનો વીડિયો વાયરલ, તપાસ સમિતિ, અને ધર્મેન્દ્રસિંહની સર્જન તરીકેની કાર્ય કુશળતા અને નિષ્ઠા અંગેના સમાચાર તટસ્થ ભાવે પ્રસિધ્ધ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

રાજકીય હિત જોનારા નાના-મોટા કાર્યકરો અને નેતાઓ જયારે આમ જનતા અને તેની સેવા કરનારા આવા સક્ષમ સરકારી સેવકો (ડોકટર્સ, કલાસ ૧, ર ઓફિસર્સ) ની દરકાર કર્યા વગર પોતાનું જ હિત ધ્યાને લે છે ત્યારે માત્ર એ અધિકારી જ નહીં પરંતુ આમ જનતાને જ ખૂબ નુકસાન જાય છે.

એક સારા ડોકટર સરકારી સેવામાંથી જતા રહેશે તેની ખોટ ગરીબ જનતા ને પડશે તે દીવા જેવું છે.

અમે જોયુ છે કે આપ જયારે જયારે આમ જનતાને અન્યાય થતો હોય છે ત્યારે આપ એ આમ જનતાની પડખે ઉભા રહ્યા છો. હંમેશા આપે સત્ય ઉજાગર કર્યુ છે. અને સીધી કે આડકતરી રીતે સમાજની ખુબ મોટી સેવા કરી છે. આશા રાખીએ ડો. ગોહિલ જેવા સારા સર્જનનું સરકાર રાજીનામુ નામંજુર કરી સમગ્ર ડોકટર્સ આલમને ન્યાય આપી સરકાર સત્યની સાથે છે. તેવી પ્રતિતી કરાવશે.

એન. ડી. જાડેજા

જીલ્લા રાજપૂત અગ્રણી, રાજકોટ

પ્રફુલ્લાબા એન. જાડેજા

ચેરપર્સન

જી. પ્રાઇમરી એજયુકેશન કમિટી

જીલ્લા પંચાયત, રાજકોટ

(11:40 am IST)