Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

નવિનચંદ્ર ત્રિવેદીનું સાસણ ગીરમાં ખુરશી સહિત સ્વિમિંગ પૂલમાં પડી જતાં મોત

પરાશર પાર્કના ખેતીવાડી ખાતાના નિવૃત કર્મચારી મિત્રના ફાર્મ પર ફરવા ગયા'તા : રાજકોટના દિકરીઓ-જમાઇઓની નજર સામે જ બનાવઃ પુલના કાંઠે બેઠા'તા ત્યારે હાર્ટએટેક આવ્યોઃ પરિવારમાં શોક

 

રાજકોટ તા. ૨૬: જામનગર રોડ પર પરાશર પાર્કમાં રહેતાં ખેતીવાડી ખાતાના નિવૃત કર્મચારી બ્રાહ્મણ વૃધ્ધ સાસણ ગીરમાં મિત્રના ફાર્મ હાઉસ પર સ્વિમિંગ પૂલના કાંઠે ખુરશીમાં બેઠા હતાં ત્યારે ખુરશી સહિત પૂલમાં પડી જતાં બેભાન થઇ જતાં રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બનાવને પગલે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ પરાશર પાર્કમાં રહેતાં નવિનચંદ્ર મુળશંકર ત્રિવેદી (ઉ.વ.૬૯) સાસણ ગીરમાં પોતાના મિત્ર નાગભાઇ આહિરની વાડીએ ફરવા માટે ગયા હતાં. સાથે તેમની ત્રણ દિકરીઓ અને બે જમાઇ પણ હતાં. સંતાનમાં તેમને ત્રણ દિકરીઓ છે. દિકરીઓ, જમાઇઓ સહિતના પરિવારજનો ગઇકાલે બપોર બાદ સ્વિમિંગ પૂલમાં ન્હાઇ રહ્યા હતાં ત્યારે નવિનચંદ્ર પૂલના કાંઠે ખુરશી ઢાળીને બેઠા હતાં. તે વખતે અચાનક ખુરશી સહિત પૂલમાં પડી ગયા હતાં.

સ્વજનોએ તેમને બહાર કાઢી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હાર્ટએટેક આવી ગયાનું બહાર આવ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ પ્રાથમિક કાગળો કર્યા હતાં. મૃતક ચાર ભાઇ અને ચાર બહેનમાં વચેટ હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:40 am IST)