Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

જે બીજાનું ભલું કરી શકે એ જ ભલા માણસ હોય છે. પૂ. શ્રી નમ્રમુનિ મ. સા.

શ્રી રોયલપાર્ક ઉપાશ્રયના આંગણે ૭૫ સંત-સતિજીઓના વિહાર વળામણાંના સંવેદનશીલ દ્રશ્યો સર્જાયા : ભવ્યાતિભવ્ય દીક્ષાર્થી શોભાયાત્રાથી દીક્ષા મહોત્સવના થયાં મંગલ મંડાણઃ ધારાબેન જીતુભાઇ બેનાણીના જન્મ દિવસે પાંચ સંસ્થાઓના દિવ્યાંગ બાળકોને અનુદાન

રાજકોટઃ તા.૨૬,સત્ય ધર્મની પ્રભાવના અને પ્રભુ જ્ઞાનની પ્રસારણા કરીને ભવ્ય જીવોના પરમ આશ્રયદાતા અને પરમ તારણહારા બની રહેલાં દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મ.સા.ના પાવન ચરણ શરણમાં આજીવન સમર્પિત થઈને દીક્ષા અંગીકાર કરવા જઈ રહેલી   બે મુમુક્ષુ બાલિકાઓના સંયમ ભાવની ગગનચુંબી પ્રશસ્તિ કરતી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા દ્વારા શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવનો મંગલમય પ્રારંભ, સમગ્ર   ભાવિકોને સંયમના રંગે રંગી ગયો હતો.શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંદ્ય- સી. એમ. પૌષધશાળા, ઓમાનવાલા ઉપાશ્રયના આંગણે ગુજરાતરત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે એક સાથે ૭૫ સંત-સતીજીઓના સમૂહ ચાતુર્માસની પૂર્ણાહૂતિએ શ્રી સંઘે અશ્રુભીની આંખે અત્યંત અહોભાવપૂર્વક વિહાર વળામણાં કરાવતાં અત્યંત સંવેદનશીલ દ્રશ્યો સર્જાયા હતાં.

આ અવસરે ભાવિકોને સંબોધિત કરતાં રાષ્ટ્રસંત પૂજયશ્રીએ અત્યંત મધુર સ્વરે સમજાવ્યું હતું કે, સ્વને ભાવિત અને સર્વને જિન શાસનથી પ્રભાવિત કરવા ચાતુર્માસ સર્જાતું હોય છે સુંદર બોધ સાથે ૭૫ સંત-સતીજીઓના વિહાર વળામણાં શ્રેષ્ઠિવર્ય   જીતુભાઈ બેનાણીના આંગણે થયાં હતાં. જયાં ગોંડલ, સંઘાણી સંપ્રદાય તેમજ શ્રમણ સંઘ સંપ્રદાયના પૂજય સતીવૃંદોના પણ ચાતુર્માસ વિહાર વળામણાં થયાં હતાં.

 બહોળી સંખ્યામાં પૂજય સંત-સતીજીઓના વિહાર વળામણાં બાદ   બેનાણી પરિવારના આંગણેથી મુમુક્ષુ શ્રી ઉપાસનાબેન શેઠ અને મુમુક્ષુ શ્રી આરાધના બેન ડેલીવાળાના સંયમ ભાવોની અનુમોદના અને ગુણગ્રામ કરતી ભવ્યાતિભવ્ય સંયમ શોભાયાત્રા પ્રારંભ કરવામાં આવી હતી. જિનશાસનની ગૌરવ ગરિમા લહેરાવતાં ઊંચા ઊંચા ધર્મ ધ્વજ, સંયમ દિનચર્યાના સુંદર અને વિશાળ ફ્લોટ્સ, બહેનોએ મસ્તકે ધારણ કરેલાં શણગારેલાં સુંદર સ્વસ્તિકના પ્રતિક, તરણેતરની પારંપરિક વેશ ભુષામાં સજ્જ થઈને લોકનૃત્ય કરતાં ઉત્સાહી નવયુવાનો, રજવાડી રથમાં સવાર બે મુમુક્ષુઓ, પ્રભુ જ્ઞાનનું દર્શન કરાવતું આગમ રથ, લાભાર્થી પરિવારોના શણગારેલાં રથ, મંજીરા નૃત્ય કરતી રસ મંડળીઓ, મુંબઈ-મલાડના શ્રી જગવલ્લભ બેન્ડના બાળકો દ્વારા ગાજતા સૂરો, લુક એન લર્નના બાળકો, દીદીઓ અને મસ્તકે પાઘડી બાંધીને ઉપસ્થિત રહેલાં શ્રેષ્ઠિવર્યો તેમજ હજારો ઉત્સાહી ભાવિકો દ્વારા શોભતી આ શોભાયાત્રા રાજકોટના રાજમાર્ગોને ગુંજવતી, દીક્ષાર્થીઓનો જયકાર ગજાવતી શ્રી ડુંગર દરબાર પહોંચી હતી.

ધર્મવત્સલ જીતુભાઈ બેનાણીના દીકરી  ધારા બેનાણીના ૩૪માં જન્મદિનનો અવસર મુમુક્ષુઓના સન્માન અવસર સાથે માનવતાનો એક મહોત્સવ બની ગયો હતો. આ અવસરે પૂજયશ્રી વર્ષાબાઈ મહાસતીજીએ કુમારી ધારાને આશીર્વચન આપવા સાથે રાષ્ટ્રસંત પૂજયશ્રીના શાસન પ્રેમની પ્રશસ્તિ કરી હતી. આ અવસરે આચાર્ય ભગવંત પૂજય શ્રી પુરુષોત્ત્।મજી મહારાજ મહારાજ સાહેબની પુણ્ય સ્મૃતિ નિમિત્ત્।ે એમના પ્રત્યે ઉપકારની અભિવ્યકિત કરતાં રાષ્ટ્રસંત પૂજયશ્રીએ તેઓશ્રીને  ભાવાંજલિ અર્પણ કરી હતી.

બેનાણી પરિવારના  અમીબેન,   અજયભાઈ શેઠ, સરગમના પ્રમુખ  ગુણવંતભાઈ ડેલાવાળા,  ચંદ્રકાંતભાઈ શેઠ, શ્રી શ્રુતપ્રજ્ઞજી, અને પ્રયાસ સંસ્થા વતી   પૂજાબેન પટેલે આ અવસરે પોતોના ભાવોની અભિવ્યકિત કરી હતી. પૂર્ણ થયેલાં ચાતુર્માસમાં દાન તેમજ સેવા દ્વારા સહયોગી બનનાર દરેક ઉદારદિલ દાતા પરિવારોને શ્રીસંઘના શ્રેષ્ઠિવર્યોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ સમગ્ર અવસર નિમિત્ત્।ે ગૌતમ પ્રસાદનો લાભ શિલ્પા જવેલર્સના   પ્રભુદાસભાઈ પારેખ પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો.

આજે સવારે તા.૨૬ને, સોમવારે રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનાં સાંનિધ્યે શ્રી મહાવીરનગર સ્થાનકવાસી જૈન સંઘનાં ઉપક્રમે પારસ હોલમાં સવારે ૯  થી ૧૧ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતુ.

(3:31 pm IST)