Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

ભાજપ દ્વારા ગુરૂવારે સરદાર વલ્લભભાઇને પુષ્પાંજલી અર્પણ થશે

કાલે તમામ શકિત કેન્દ્ર પર 'મન કી બાત': કમલેશ મિરાણી

રાજકોટ તા. ર૬ :.. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તથા મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની એક સંયુકત અખબારી યાદીમાં જણાવ્યા મુજબ શહેર ભાજપ દ્વારા તા. ૩૧ ના ગુરૂવારે સવારે ૯.૩૦ કલાકે શહેરનાં બહુમાળી ભવન ચોક ખાતે આવેલ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે. શહેર ભાજપનાં તમામ શ્રેણીનાં કાર્યકર્તાઓને સમયસર ઉપસ્થિત રહેવા અનુરોધ કરેલ છે.

દર માસના અંતિમ રવીવારે નરેન્દ્રભાઇ મોદી 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો શેર કરે છે. પસંદ કરેલા વિચારોને આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવે છે. 'મન કી બાત'નું આકાશવાણી અને દુરદર્શનના તમામ નેટવર્કો પર પ્રર્સારિત કરવામાં આવે છે જે અંતર્ગત શહેરના તમામ વોર્ડના શકિતકેન્દ્રો પર આવતીકાલે તા.૨૭ના દિપોત્સવીના પાવન પર્વે સવારે ૧૧ કલાકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ 'મન કી બાત' કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં શહેરના તમામ શકિતકેન્દ્રો પર શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જાહેર અનુરોધ કર્યો છે.

(3:13 pm IST)