Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

કાળીપાટના ચકચારી 'ડબલ મર્ડર'ના કેસમાં માનવતાના ધોરણે જામીન પર છૂટવા આરોપીએ કરેલી અરજી રદ

રાજકોટ, તા. ર૬ : કાળીપાટના ચકચારી ડબલ મર્ડર કેસમાં આરોપીની વધુ એક જામીન અરજી નામંજૂર કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટ તાલુકાના ભાવનગર રોડ પર આવેલા કાળીપાટ ગામમાં આજથી આઠેક વર્ષ પહેલા તારીખ ૧૦-૭-ર૦૧૧ના રોજ તાવા પ્રસાદના ધાર્મિક પ્રસંગમાં થયેલ ગાળાગાળાી બાબતે કોળી જુથે દરબાર જુથ ઉપર કરેલ હુમલામાં બેઅબે દરબાર યુવાનો (૧) મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા તથા (ર) વિશ્વજીતસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજાની હત્યા થયેલી હતી. જેમાં તાલુકા પો.સ્ટે.માં ઇ.પી.કો.ની કલમ ૩૦ર, ૩૦,૩ર૬, ૩રપ વગેરેના કામ સબબ ગુનો નોંધાયેલ.

આ ગુનાના કામે ૧૦ આરોપીની ધરપકડ થયેલી. જેમાના મોટાભાગના આરોપીઓ ખૂબ જ લાંબા સમયથી જયુડીશિયલ કસ્ટડીમાં હોય જેમાંથી ધીરૂ રઘા દૂધરેજિયાએ હાલ-જિલ્લા જેલ રાજકોટ વાળા એ માનવતાના ધોરણે જેલમાંથી જ વચગાળાના જામીન પર છૂટવા રાજકોટની સેસન્સ અદાલતમાં જામીન અરજી કરેલ હતી.  આ કામે ધીરૂ રઘા દુધરેજિયાએ વરસાદના કારણે માલ-ઢોર બાંધવાનું એક ઢાળીયું પડી ગયું હોય તેને રીપેર કરવા દિન-૩૦ના વચગાળાના જામીન માગેલ અને રજૂઆત કરેલ કે પોતાના પરિવારનો નિભાવ ખેતી અને પશુ પાલનનો હોય રીપેર કરવું અત્યંત આવશ્યક હોય. પોતાના ઘરમાં મોટાભાગના સભ્યો આઠ વર્ષ ઉપરાંતના સમયગાળાથી જેલમાં હોય આર્થિક પરિસ્થિતિ ખરાબ થઇ જવા પામેલ હોય અને જો જામીન મળશે તો કોઇ પણ જામીનની શરતોનો ભંગ નહીં કરે તેવી લેખિત રજૂઆતો કરેલ.

રાજકોટના બીજા અડીશનલ સેસન્સ જજ એ બંને પક્ષોની દલીલો તથા મૂળ ફરીયાદીના લેખિત વાધાઓ ધ્યાને લઇ નોંધેલ કે હાલ આ કેશ અંતિમ તબક્કામાં હોય ડબલ મર્ડર જેવા ગંભીર ગુનાના આરોપીઓ હોય, ઘરના અન્ય સભ્યો હાજર હોય અને આરોપીઓ અને ફરીયાદીઓએ એક જ ગામમાં રહેતા હોય જેથી અદાલતને મળેલ વિવેકબુદ્ધિની સતાનો ઉપયોગ આરોપીની તરફેણમાં કરવાનું ન્યાયોચિત જણાયેલ ના હોય આરોપી ધીરૂ રઘા દૂધરેજિયાની જામીન અરજીઓ રાજકોટના એડીશનલ જજે નામંજૂર  કરેલ હતી.

આ કામમાં રાજકોટના સ્પે. પી.પી. તરીકે શ્રી અનિલ દેસાઇ તથા મૂળ ફરીયાદી તરફે વકીલ રૂપરાજસિંહ પરમાર, અજિત પરમાર, કુલદીપસિંહ બી. જાડેજા, ભરત સોમાણી, શિવરાજસિંહ ઝાલા, શકિત ગઢવી રોકાયેલ હતાં.

(1:20 pm IST)