Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

ઝનાના હોસ્પિટલના નવનિર્મિત બિલ્ડીંગનું કામ આવતા મહિને પૂર્ણ થઇ જશે

રાજકોટ તા. ૨૬ : રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ પદ્મકુવરબા હોસ્પિટલનું સ્થળ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તથા હોસ્પિટલમાં ઉપલબ્ધ સાધનો અને સુવિધાઓ અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અને રોગી કલ્યાણ સમિતિના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કર્યો હતો. કલેકટરશ્રીએ માનવીય સૂચન કરતા જણાવ્યું હતું કે હોસ્પિટલના બિલ્ડિંગમાં એક પ્રાર્થના રૂમ પણ કાર્યરત કરવામાં આવે, જેથી દર્દીઓને માનસિક શાતા મળી રહે. હોસ્પિટલના અધિકારીઓએ આ બાબતે સત્વરે યોગ્ય કરવા કલેકટરશ્રીને ખાતરી આપી હતી.

ગત બેઠકની નોંધને આ બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. હોસ્પિટલ પરિસરમાં ફાયર સેફટી અંગેના સ્મોક ડીટેકટર તથા સ્પ્રીંકલર જેવા સાધનો તાત્કાલિક કાર્યાન્વિત કરવા માટે કલેકટરે સંબંધિતોને સ્થળ પર જ સૂચનાઓ આપી હતી. હોસ્પિટલમાં ઉપલબ્ધ દવાના જથ્થા વિષે કલેકટરશ્રીએ માહિતી મેળવી હતી અને જરૂરી દવાના જથ્થાનો સ્ટોક જાળવી રાખવા માટે તાકીદ કરી હતી.

કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ બાયોમેડીકલ વેસ્ટના યોગ્ય નિકાલ માટે, દર્દીઓને ગુણવત્તાયુકત સેવાઓ પૂરી પાડવા માટે, હોસ્પિટલમાં એપ્રેન્ટીસની જગ્યાઓ તાકીદે ભરવા માટે, સામાજિક સંસ્થાઓના સહયોગથી દર્દીઓને સુખડી, ફળો તથા ખાખરા જેવા આરોગ્યપ્રદ આહારનું વિતરણ કરવા માટે, સી.સી.ટી.વી.નું યોગ્ય નિરીક્ષણ કરવા માટે જરૂરી આદેશો આપ્યા હતા. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટી અન્વયે પદ્મકુવરબા હોસ્પિટલમાં જરૂરી સાધનો તથા સવલતો પૂરી પાડવા કલેકટરશ્રીએ ભલામણ કરી હતી.

આ પ્રસંગે પદ્મકુવરબા હોસ્પિટલના અધિક્ષક ડો. કેતન પીપળીયા, રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડો. નૂતન લૂંગાતર, હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર ડો. ખ્યાતિ દવે, રોગી કલ્યાણ સમિતિના પ્રતિનિધિશ્રી શાંતિલાલ સોલંકી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ શ્રી વિનોદભાઈ કાછડીયા, પદ્મકુવરબા હોસ્પિટલના વિવિધ તબીબી વિભાગોના વડાઓ, સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ, હોસ્પિટલના એકાઉન્ટસ-સિકયુરિટી- એડમિનિસ્ટ્રેશન-નર્સિંગ વગેરે વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

આ તકે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ સપ્ટેમ્બર-૨૦૨૨ સુધીમાં ઝનાના હોસ્પિટલનું ગુણવત્તાયુકત બાંધકામ પૂર્ણ કરવાના આદેશો જારી કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીના ડ્રીમ પ્રોજેકટ સમા ઝનાના હોસ્પિટલના બાંધકામની ચાલી રહેલી કામગીરીની કલેકટરશ્રીએ સ્થળ પર જઇને સમીક્ષા કરી હતી, અને કામગીરીનો દર અઠવાડિયાનો અહેવાલ કલેકટરશ્રીના અંગત ધ્યાન પર મુકવા તેમણે પ્રોજેકટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટના ઇજનેરશ્રી શિવાંગ દવેને સૂચના આપી હતી.

હોસ્પિટલ ચોક સ્થિત ઝનાના હોસ્પિટલના અંદાજે રૂ. ૭.૫ કરોડના ખર્ચે બંધાઇ રહેલા ૧૩ માળના બિલ્ડીંગના કોન્ટ્રેકટરને કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ તાકીદ કરી હતી કે નિયત સમયમર્યાદામાં ઝનાના હોસ્પિટલની કામગીરી પૂર્ણ કરવાની જવાબદારી તેમની છે. અન્યથા આ અંગે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. કલેકટરશ્રીની આ મુલાકાત વેળાએ પંડિત દિનદયાલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદી, પીડીયાટ્રીશ્યન ડો. પંકજ બુચ, ગાયનેકોલોજિસ્ટ ડો. કમલ ગોસ્વામી, ઇલેક્રટિકલ એન્જીનીયરશ્રી મકવાણા, નર્સિંગ હેડશ્રી ઉપેન્દ્ર, ડો. જે.કે.નથવાણી વગેરે ઉપસ્થિત રહયા હતા.

(3:57 pm IST)