Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

રાજકોટ સેન્‍ટ્રલ જેલનો મહિલા વિભાગ આજે પણ કોરોનામુક્‍તઃ કુલ 423 ટેસ્‍ટ કરાયા પરંતુ સદનસીબે એકપણ કેસ પોઝીટીવ નથી

રાજકોટ: રાજ્યમાં કોરોનાની એન્ટ્રીને એક વર્ષ થયું છે. અનેક જેલમાં કેદીઓ પણ સંક્રમિત થયા છે. પરંતુ રાજકોટની સેન્ટ્રલ જેલનો મહિલા વિભાગ આજે પણ કોરોના મુક્ત છે. હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.

રાજકોટની મધ્યસ્થ જેલનો મહિલા વિભાગ આજે પણ કોરોનામુક્ત બનીને ગુજરાતની સૌથી સુરક્ષિત જેલ બની છે. મધ્યસ્થ જેલના મહિલા વિભાગમાં 80 થી 100 જેટલા મહિલા કેદીઓ છે જેમાં સગર્ભા કેદીઓ અને બાળકો પણ રહેતા હોય છે પરંતુ જેલની સતર્કતાના કારણે એકપણ કોરોનાનો કેસ સામે આવ્યો નથી.

જેલમાં કેદી મહિલાઓને કોરોનાના નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે સાથે જ નિયમિત ચેકઅપ કરવામાં આવે છે. મહિલા કેદીઓને હોસ્પિટલ સ્ટાફ દ્રારા દર 3 મહિને નિયમીત મેડિકલ ચેક અપ કરવામાં આવે છે અને તેને વિટામનની ગોળીઓ આપવામાં આવે છે જો કોઇ કેદીઓને લક્ષણ જણાય તો તુરંત જ તેને સારવાર આપવામાં આવી રહી છે.

રાજકોટ (Rajkot) મધ્યસ્થ જેલમાં મેડિકલ ઓફિસર કવિતા કોટકે જણાવ્યું હતું કે , એક વર્ષ દરમિયાન લગભગ મધ્યસ્થ જેલના મહિલા વિભાગમાં 100 જેટલી બહેનો આવક જાવક હોય છે. આજ દિવસ સુધી જેલના મહિલા વિભાગમાં 106 RT-PCR, 317 એન્ટિજન ટેસ્ટ મળીને કુલ 423 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તો બીજી તરફ મહિલા બેરેકમાં સગર્ભા મહિલાઓ પણ હોવાથી ખાસ તકેદારી રાખવામાં આવે છે.

મહિલા બેરેકમાં માસ્ક, હેન્ડ વોસ લિકવીંડ અને  સોશ્યલ ડિસટન્સ રાખીને એસઓપીનું પાલન કરવામાં આવે છે. આ માટે મહિલાઓને કોવિડ ગાઇડલાઇન અંગે માર્ગદર્શન આપી ખાસ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને દરેકને માસ્ક પહેરવા , વારંવાર હાથ ધોવા અને અન્ય કેદીઓથી બને તેટલું અંતર રાખવા સૂચના આપવામાં આવી રહી છે.

લોકડાઉન સમય દરમિયાન કેદીઓને રજા આપી પોતાના ઘેર મોકલવામાં આવ્યા હતા ત્યારે બાદ કેદીઓ રજા પૂર્ણ કરી પરત આવ્યા સમયે તમામના કોરોના RT-PCR ટેસ્ટ કરી અને જેલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો જો કે તેમાં એક પણ મહિલા કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિ આવ્યો ન હતો. આ સાથે આજે પણ જો કોઇ મહિલા બહારથી રજા પૂર્ણ કરી આવે તો તેનો પહેલા રિપોર્ટ કરવામાં આવે છે અને 14 દિવસ આયસોલેટ કરી દેવામાં આવે છે. જેને કારણે રાજકોટની મધ્યસ્થ જેલ ગુજરાતની પ્રથમ કોરોના માટે સુરક્ષિત જેલ તરીકે સાબિત થઈ છે.

(5:13 pm IST)