Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

મહેશ્વરી સોસાયટીમાં સુલતાનભાઇ કઇડાનો ગળાફાંસો ખાઇ આપઘાત

આર્થિક ભીંસના કારણે પગલુ ભર્યાની શંકા : પુત્ર અને પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા અરેરાટીરાજ

રાજકોટ તા. ૨૫ : કોઠારીયા રોડ પર મહેશ્વરી સોસાયટીમાં રહેતા યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ મહેશ્વરી સોસાયટીમાં રહેતા સુલતાનભાઇ મુસાભાઇ કઇડા (ઉ.૩૫) એ ગઇકાલે પોતાના ઘરે રૂમમાં છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પત્ની ફોન કરતા સુલતાનભાઇ ફોન ઉપાડતા ન હોઇ તેથી તેના ભાઇને વાત કરતા તેણે ઘરે આવીને રૂમનો દરવાજો ખોલતા સુલતાનભાઇ લટકતી હાલતમાં જોતા તેણે દેકારો બોલાવ્યો હતો.

દેકારો સાંભળી બાજુમાં રહેતા સગા સંબંધી દોડી આવ્યા હતા અને ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ૧૦૮ના ઇએમટીએ તપાસ કરતા સુલતાનભાઇનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં ભકિતનગર પોલીસ મથકના એએસઆઇ નરેન્દ્રભાઇ ભદ્રેચા અને રાઇટર મયુરભાઇ ઠાકરે તપાસ હાથ ધરી હતી. મૃતક સુલતાનભાઇ વાડીમાં ફેન્સીંગ લગાવવાના કોન્ટ્રાકટ રાખતા હતા. તેણે આર્થિક ભીંસથી કંટાળી આ પગલુ ભર્યું હોવાની પોલીસે શંકા વ્યકત કરી છે. એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં માતમ છવાયો છે.

(3:03 pm IST)