Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

લક્ષ્મીવાડીમાં દિવાળીની રાતે મિત હરખાણી પર સુધીર બોરીચા સહિત ૪નો છરી-ધોકાથી હુમલોઃ ખૂનની ધમકી

મિતના મોટા બાપુએ ૭ લાખ વ્‍યાજે લીધા હોઇ તેના બે લાખ ચુકવવાના બાકી હોઇ ઉઘરાણી મામલે ડખ્‍ખો કરાયાની ફરિયાદ

રાજકોટઃ દિવાળીની રાતે લક્ષ્મીવાડી મેઇન રોડ પર ગિરીરાજ એપાર્ટમેન્‍ટ પાસે મારામરીની ઘટના બની હતી. જેમાં વ્‍યાજની ઉઘરાણી માટે છરીથી હુમલો થયો હતો.

આ બનાવમાં લક્ષ્મીવાડી લક્ષ્મી પાર્ક બ્‍લોક નં. ૧૧માં રહેતાં મિત બીપીનભાઇ હરખાણી (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી ભક્‍તિનગર પોલીસે લક્ષ્મીવાડી મેઇન રોડ પર રહેતાં સુધીર બોરીચા, વિપુલ બોરીચા, જતીન બોરીચા અને જયશ્રીબેન બોરીચા વિરૂધ્‍ધ આઇપીસી ૩૨૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્‍યો છે. મીતે જણાવ્‍યું હતું કે હું અને મારો મિત્ર રવિરાજસિંહ જાડેજા લક્ષ્મીવાડી મેઇન રોડ પરથી દિવાળીની રાતે દસેક વાગ્‍યે નીકળતાં મારા મોટા બાપુએ સુધીર બોરીચા પાસેથી અગાઉ ૭ લાખ વ્‍યાજે લીધા હોઇ અને ૫ લાખ આપી દીધા હોઇ બાકીના બે લાખની ઉઘરાણી બાબતે સુધીર બોરીચાએ મારી સાથે ઝઘડો ચાલુ કર્યો હતો. મિત્ર રવિરાજસિંહ વચ્‍ચે પડતાં તેને ગાળો દીધી હતી. એ પછી સુધીરે મને છરીના બે ઘા કમરની ડાબી બાજુએ મારી દીધા હતાં. વિપુલે ધોકાથી અને જતીને ઢીકાપાટુનો માર માર્યો હતો. જ્‍યારે જયશ્રીબેને છરીથી મને જમણા હાથમાં ઇજા પહોંચાડી હતી અને ચારેયએ મારી નાખવાની ધમકી આપી હતી. પીઆઇ એમ. એમ. સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ આર. કે. સામુદ્રેએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:39 pm IST)