Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

'જો જો ખોંખારો ખાવામાં ગળફો બહાર ન નીકળી જાય'...ફેસબૂક પોસ્ટ પર કોમેન્ટ કરનાર પ્રતિક પટેલના કારખાનામાં એસપીજી ગ્રુપના જસ્મીન સહિત ૨૦ની ધમાલ

અમીન માર્ગ ગુલાબવાટીકામાં રહેતાં પ્રતિક પટેલે પોતાના મિત્ર મેહુલ પાટીદારની પોસ્ટ પર તાલીઓ પાડતો ડાગલો (ઇમોજી) મુકતાં જીજ્ઞેશ તોગડીયાએ ગાળો લખી'તીઃ તેને ફોન કરી સમજાવતાં માથાકુટ : જસ્મીન પટેલ, જીજ્ઞેશ તોગડીયા, મહેન્દ્ર વાછાણી, નૈમિષ કાકડીયા, રાજુ વઘાસીયા, સંજય અજાણી, લાલજી ચોવટીયા અને ૧૫ થી ૨૦ અજાણ્યા પ્રતિકના વિરાણી અઘાટના કારખાને તલવાર, ધોકા, પાઇપ, છરી સાથે પહોંચ્યાઃ જસ્મીને હથીયાર ટીંગાડેલુ હતું: જીવ બચાવવા પ્રતિક સંતાઇ ગયોઃ પોલીસે જાણ થતાં તાકીદે પહોંચી ૮ને દબોચ્યા : કારખાનામાં ટોળાએ બેફામ ગાળાગાળી કરી ભય ફેલાવ્યો તેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા

તસ્વીરમાં પ્રતિક પટેલના કારખાનામાં રાત્રે જસ્મીન પટેલ સહિતના વીસેક શખ્સોએ ઘુસી જઇ બેફામ ગાળાગાળી કરી ધમકીઓ આપી ધમાલ મચાવી હતી. તેના સીસીટીવી ફૂટેજના દ્રશ્યો જોઇ શકાય છે.

રાજકોટ તા. ૨૫: અમીન માર્ગ પર રહેતાં કારખાનેદાર પટેલ યુવાને થોડા દિવસ પહેલા ફેસબૂક પર પોતાના એક મિત્રએ મુકેલી 'જો જો ખોખારો ખાવામાં કયાંક ગળફો બહાર ન નીકળી જાય'...તેવી પોસ્ટ પર તાલીઓ પાડતો ડાગલો (ઇમોજી) મુકતાં આ બાબત એસપીજી ગ્રુપ સાથે જોડાયેલા એક પટેલ યુવાનને ન ગમતાં તેણે ગાળો લખતાં કારખાનેદારે તેને હું તને ઓળખતો નથી છતાં કેમ ગાળો લખે છે? તેવું પુછતાં આ શખ્સે ગઇકાલે ટોળકી રચી યુવાનના વિરાણીઅઘાટના કારખાને હથીયારો સાથે જઇ હાકલા પડકારા કરી ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી ધમાલ મચાવતાં કારખાનેદારને ઓફિસમાં સંતાઇ જવું પડ્યું હતું. તેના મિત્રએ પોલીસને બોલાવતાં ટોળામાંથી મોટા ભાગના ભાગી ગયા હતાં જ્યારે આઠ સકંજામાં આવી ગયા હતાં.

બનાવ અંગે ભકિતનગર પોલીસે અમીન માર્ગ પીરામિડ ટાવર પાસે ગુલાબવાટીકા શેરી નં. ૪માં 'શિવ' ખાતે રહેતાં પ્રતિક દિનેશભાઇ ટોપીયા (પટેલ) (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી એસપીજી ગ્રુપ રાજકોટના જસ્મીન પીપળીયા (પટેલ), જીજ્ઞેશ તોગડીયા, મહેન્દ્ર વાછાણી, નૈમિષ કાકડીયા, રાજુ વઘાસીયા, સંજય અજાણી, લાલજી ચોવટીયા અને બીજા અજાણ્યા ૧૫ થી ૨૦ શખ્સો સામે આઇપીસી ૧૪૩, ૧૪૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

પ્રતિક પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને વિરાણી અઘાટમાં પ્લોટ નં. ૨૯ બોલબાલા માર્ગ પર વિનાયક પોલીપેક નામે પ્લાસ્ટીકની કોથળીઓ બનાવવાનું કારખાનુ ધરાવુ છું. આત્મીય કોલેજમાં મેં બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે. હું સોશિયલ મિડીયા નેટવર્કિંગ સાઇટ ફેસબૂક વાપરુ છું. પ્રતિક પટેલ યુઝર નામથી ફેસબૂક યુઝ કરુ છું. આજથી આઠેક દિવસ પહેલા મારા ફેસબૂક ફ્રેન્ડ મેહુલ પાટીદારે એક પોસ્ટ મુકી હતી. જેમાં 'જો જો ખોખારો ખાવાથી કયાંક ગળફો બહાર ન નીકળી જાય'...આ પોસ્ટ પર મેં તાલીઓ પાડે એવા ડાગલા (ઇમોજી) મુકતાં સામે કોઇ જીજ્ઞેશ તોગડીયાએ ગાળો લખી હતી. ત્યારબાદ આ મેટર પુરી થઇ ગઇ હતી.

એ પછી શુક્રવારે મેં જીજ્ઞેશ તોગડીયાને તેના મોબાઇલ નંબર મને મળતાં સાંજે છ સવા છ આસપાસ ફોન કરીને કહ્યું હતું કે-હું તને ઓળખતો પણ નથી અને તું પણ મને ઓળખતો નથી, તો શું કામ ફેસબૂકમાં ગાળો વાળી કોમેન્ટ લખે છે? આથી તેણે કહેલ કે આપણે સાંજે ભેગા થઇ જઇએ. આ પછી રાત્રીના સાઠા આઠેક વાગ્યે મને જીજ્ઞેશ તોગડીયાએ ફોન કરી ફરીથી ગાળો દીધી હતી અને તું કયાં છો? તેમ કહેતાં મેં તેને હું વિરાણી અઘાટના મારા કારખાને છું તેમ કહેતાં તેણે હું હમણા માણસોને લઇને મારવા આવું છું તેમ કહ્યું હતું.

એ પછી રાત્રીના નવેક વાગ્યે પંદરથી વીસ માણસો મારા કારખાને ધારીયા, તલવાર, ચાકુ, લોખંડના પાઇપ સહિતના હથીયારો સાથે ધસી આવ્યા હતાં. કારખાનામાં આવી ગાળાગાળી ચાલુ કરી હતી. આ લોકોમાં હું જેને ઓળખુ છું તેમાં જસ્મીન પીપળીયા, જીજ્ઞેશ તોગડીયા, મહેન્દ્ર વાછાણી, નૈમિષ કાકડીયા, રાજૂ વઘાસીયા, સંજય અજાણી, લાલજી ચોવટીયા પણ હતાં. આ બધા બેફામ ગાળો બોલતા હતાં અને મને મારવા દોડતાં હું મારી ઓફિસમાં સંતાઇ ગયો હતો. જેથી મને મારી શકયા નહોતાં.

એ પછી આ લોકોએ મને મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યાં મારા મિત્રો કેયુર પટેલ, હાર્દિક પટેલ, પાર્થ ધાનાણી સહિતના હોઇ તેની સાથે આ લોકોએ ઝપાઝપી કરી હતી. પણ કોઇ મારકુટ કરી શકયા નથી. જસ્મીને પોતાની કમરે હથીયાર ટીંગાડેલુ હોઇ મને બીક લાગી હતી. આ લોકો નશો કરેલા હોય તેવું લાગતું હતું. ત્યાં મારી સાથેના કેયુરભાઇએ પોલીસને ફોન કરી દેતાં પોલીસ તાત્કાલીક પહોંચી ગઇ હતી. જેથી આ લોકો ભાગી ગયા હતાં. અમુકને પોલીસે પકડી લીધા હતાં. એ પછી હું પોલીસ ફરિયાદ કરવા  પહોંચ્યો હતો.

મને કે મારા મિત્ર કોઇને આ બનાવમાં ઇજા થઇ નથી. તેમજ કારખાનામાં પણ કોઇ નુકસાન થયું નથી. આ લોકોએ તોડફોડ પણ કરી નથી. મેહુલ પાટીદારની ફેસબૂક પોસ્ટમાં મેં ડાગલાની કોમેન્ટ મુકી તાલીઓ પાડી હોઇ તે જીજ્ઞેશ તોગડીયાને ન ગમતાં આ માથાકુટ થઇ હતી. અમારે સમાધાનની વાટાઘાટો પણ થઇ હતી. પરંતુ સમાધાન ન થતાં અંતે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં પ્રતિક પટેલે જણાવતાં ભકિતનગરના પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં પીએસઆઇ એસ. અને. જાડેજા, એએસઆઇ નરેન્દ્રભાઇ ભદ્રેચા, નિલેષભાઇ મકવાણા સહિતે ગુનો નોંધ્યો હતો. પોલીસે આઠેક શખ્સોને રાઉન્ડઅપ કરી વિશેષ તપાસ હાથ ધરી છે. ફરિયાદી પ્રતિક પટેલના કહેવા મુજબ માથાકુટ કરનારાઓમાં જસ્મીન પીપળીયા રાજકોટ એસપીજી (સરદાર પટેલ સેવાદળ ગ્રુપ)ના પ્રમુખપદે છે અને જીજ્ઞેશ પણ આ ગ્રુપમાંં છે.

(12:53 pm IST)