Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

રાજકોટ સિવિલના કોરોના વોર્ડમાં બે દર્દી, ખાનગી હોસ્પિટલમાં એકનું મોતઃ ત્રણેયના રિપોર્ટ બાકી

મૃતકોમાં સંત કબીર રોડ શકિત સોસાયટીના ચમનભાઇ સોલંકી (ઉ.૬૯) મહાનગર પાલિકાના નિવૃત ડ્રાઇવર હતાં: તેમનું અને મંગળા રોડના ગીતાબેન ડાભી (ઉ.૫૦)નું સિવિલમાં અને મોરબી રોડ ગાયત્રી સોસાયટીના સોમગીરી ગોસાઇ (ઉ.૮૨)નું ખાનગી હોસ્પિટલમાં મોત

રાજકોટ તા.૨૫: કોરોના રોજબરોજ દર્દીઓના જીવ લઇ રહ્યો છે. સિવિલના કોરોના વોર્ડમાં રાત્રીના વધુ બે દર્દીએ દમ તોડ્યો છે અને ખાનગી હોસ્પિટલમાં પણ એક દર્દીનું કોવિડની શંકાથી મોત થયું છે. ત્રણેય દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે. ત્રણેય મૃતકો રાજકોટના વતની હતાં.

જાણવા મળ્યા મુજબ સંત કબીર રોડ પર સરદાર સ્કૂલ પાછળ શકિત સોસાયટી-૧૩માં રહેતાં ચમનભાઇ નારણભાઇ સોલંકી (ઉ.૬૯)ની બે દિવસથી તબિયત બગડી હોઇ અને તેમને ફેફસા, કિડનીની પણ તકલીફ હોઇ ગઇકાલે સાંજે વધુ તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તેમને કોરોના વોર્ડમાં દાખલ કરાયા હતાં.  તેમને કોરોના હોવાની શંકાથી સેમ્પલ લેવામા આવ્યા હતાં. આજે સાંજે તેમનો રિપોર્ટ આવે એ પહેલા વહેલી સવારે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્યુ પામનાર ચમનભાઇને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. તેઓ મહાનગર પાલિકાના નિવૃત ડ્રાઇવર હતાં.

બીજા બનાવમાં મંગળા રોડ પર રહેતાં ગીતાબેન બાબુભાઇ ડાભી (ઉ.૫૦)ને પણ કોરોનાની શંકાથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેમનો ીરપોર્ટ પણ આવવાનો બાકી છે.

જ્યારે એક દર્દીનું ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. મોરબી રોડ પર ગાયત્રી સોસાયટીમાં રહેતાં સોમગીરી કાનગીરી ગોસ્વામી (ઉ.૮૨)ને કોરોનાની શંકાથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમનો રિપોર્ટ આવે એ પહેલા મોત નિપજ્યું હતું. ત્રણેય મૃતદેહોને અંતિમવિધી માટે ફાયર બ્રિગેડની ટીમોને સોંપવામાં આવ્યા હતાં.

(10:43 am IST)