Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

'મારી પત્નિને ઘરે મુકવા નહિં આવે તો મારી નાખીશ'..રાહુલે સસરાને ધમકી દીધી !

શ્રીનાથજી સોસાયટીના બનાવમાં માલવીયાનગર પોલીસે આરોપીની ધરપકડ કરી

રાજકોટ તા. રપઃ મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટીમાં 'પત્નિને ઘરે મુકવા નહિં આવો તો જાનથી મારી નાખીશ' કહી જમાઇએ સસરાને ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટી શેરી નં. ર માં રહેતા મેરામભાઇ માંડણભાઇ બોરીચા (ઉ.વ. ૪ર) એ માલવીયાનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં શ્રીનાથજી સોસાયટીમાં રહેતા જમાઇ રાહુલ પ્રભાતભાઇ સબાડનું નામ આપ્યું છે. મેરામભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે ખેતી કરે છે. બે વર્ષ પહેલા પોતાની પુત્રી આરતીએ શ્રીનાથજી સોસાયટીમાં રહેતા રાહુલ સબાડ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નબાદ જમાઇ રાહુલ પત્નિ આરતીને અવારનવાર ઝઘડો કરી મારકુટ કરતો હોઇ, ગત તા. ૧૯ના રોજ રાહુલે આરતી સાથે ઝઘડો કરી માર મારતા આરતીએ ફોન કરતા પોતે પુત્રી આરતીને પોતાના ઘરે લઇ આવ્યા હતા. ત્યારબાદ જમાઇ રાહુલે ઘરે આવી 'પત્નિ આરતીને ઘરે મુકવા નહિં આવે તો જાનથી મારી નાખીશ' તેમ કહી જતો રહ્યો હતો. બાદ પોતે માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. બી. બી. રાણા તથા રાઇટર પ્રશાંતસિંહએ શ્રીનાથજી સોસાયટીમાં રહેતા રાહુલ પ્રભાતભાઇ સબાડ (ઉ.વ. રપ) ની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

(3:10 pm IST)