Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

આપણી અંદર રહેલા શ્રદ્ધાના અંશને વધુ મજબૂત કરવાની જરૂર

જય હો, જય હો, નિલકંઠવર્ણીની જય હો... યુવાનોએ અદ્દભૂત નૃત્ય રજૂ કર્યુ : પૂ.પ્રમુખસ્વામીએ કહેલું, શ્રી નિલકંઠ એટલે અનંત દિવ્ય સદ્દગુણો અને પરમ સુખનું સર્વોપરી નિવાસસ્થાન

રાજકોટ, તા. ૨૫ : બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પૂ. મહંતસ્વામી મહારાજ સત્સંગલાભ આપી રહ્યા છે. રાજકોટમાં પધરાવેલ નીલકંઠવર્ણીની પ્રતિષ્ઠા ગોંડલ મુકામે પૂજય પ્રમુખસ્વામીના વરદ હસ્તે સંપન્ન થયેલી જેને આ વર્ષે ૧૦ વર્ષ પુરા થઇ રહ્યા છે જેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ગોંડલ મુકામે નીલકંઠવર્ણીની પ્રતિષ્ઠા સમયે પૂજય પ્રમુખસ્વામી મહારાજે આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, 'અહીં નીલકંઠવર્ણી પર અભિષેક કરવાથી સર્વ મનોરથ પૂર્ણ થશે, જીવનમાં શાંતિ થશે. શારીરિક, માનસિક, આર્થિક, આધ્યાત્મિક ઉત્કર્ષ થશે, કામ-ક્રોધાદિક દોષો કાઢી નાખશે. તો સૌએ તેમના અભિષેકનો લાભ લઇ કૃતાર્થ થવું.' આ આશીર્વાદ મુજબ નીલકંઠવર્ણી હજારો ભકતોના સંકલ્પ પુરા કરી રહ્યા છે.

શ્રી નીલકંઠ એટલે એક સ્વયં તપોમૂર્તિ, જેમના નિત્ય સ્મરણથી આજે પણ અસંખ્ય લોકો જીવનમાં સંયમ અને તાપની પવિત્ર પ્રેરણા મેળવે છે. શ્રી નીલકંઠવર્ણી એટલે સાક્ષાત ધૈર્યમૂર્તિ, જેમના દર્શનથી આજે નિત્ય લાખો લોકો ધૈર્ય અને તિતિક્ષાની દ્રઢતા કેળવે છે. શ્રી નીલકંઠ એટલે સાક્ષાત શાંતિનો સ્ત્રોત, જેમના ચીંધેલા માર્ગે ચાલીને આજેય અસંખ્ય લોકો દિવ્ય શાશ્વત શાંતિનો અનુભવ કરે છે. શ્રી નીલકંઠ એટલે અનંત દિવ્ય સદગુણો અને પરમ સુખનું સર્વોપરી નિવાસસ્થાન, જેમના પર અભિષેક કરીને નિત્ય લાખો હરિભકતો પવિત્ર સદગુણોથી સભર બનીને દિવ્ય સુખ પામવાની યાચના કરે છે. શ્રી નીલકંઠ એટલે કરુણાની ભાગીરથી, જેમણે આ ધરતી પર અવતરીને અસંખ્ય મુમુક્ષુઓના કલ્યાણ માટે કરુણાની ગંગા વહાવી અખિલ ભારતમાં વિચરણ કરીને સકળ ધરતીને તીર્થત્વ આપ્યું. શ્રી નીલકંઠ એટલે સર્વોપરી ઉપાસ્ય મૂર્તિ, જેમની ઉપાસના કરીને છેલ્લા ૨૦૦ વર્ષથી અસંખ્ય લોકો આત્યંતિક મુકિતનો માર્ગ પામે છે અને જીવનની ધન્યતા અનુભવે છે.

શ્રી નીલકંઠને આ પૃથ્વી પર અવતર્યે આજે ૨૩૭ વર્ષનો સમય વીત્યો છે પરંતુ તો પણ એમના સ્મરણમાત્રમાં વર્તમાનની અનુભૂતિ થાય છે. આજ થી ૨૩૭ વર્ષ પૂર્વે ૧૭૮૧ ચૈત્ર શુકલ નવમી (રામનવમી) ના પવિત્ર દિને (તારીખ ૩-૪-૧૭૮૧) તેમનો જન્મ ઉત્ત્।ર ભારતમાં અયોધ્યા પાસે છપૈયા ગામે, માતા ભકિત દેવી અને પિતા ધર્મદેવ પાંડેના ઘેર થયો હતો. બાળવયનું નામ ઘનશ્યામ અને હરિકૃષ્ણ. બાળવયે તેમની અનેક ચમત્કૃતિઓએ તેમના વ્યકિતત્વને અદ્વિતીય અને અલૌકિક સિદ્ઘ કરી દીધું હતું.

માત્ર ૧૧ વર્ષની કુમળી વયે તેમણે ગૃહત્યાગ કર્યો અને એક મહાકાવ્ય સમી ઐતિહાસિક ગાથા નો પ્રારંભ કર્યો. સતત ૭ વર્ષ સુધી ૧૨૦૦૦ કિલોમીટર સુધી નીલકંઠની ભારત યાત્રા વહેતી રહી. કાતિલ હિમાલયના શિયાળામાં -૨૦ ડીગ્રી તાપમાનમાં નીલકંઠ તિબેટના સૂસવાટા મારતા મેદાનોમાં ઘૂમ્યા. માનસરોવરની યાત્રા કરી અને તે પણ ખુલ્લા પગે, ખુલ્લા શરીરે, નિરાહાર રહીને નીલકંઠની એ ૬ મહિનાની માનસ યાત્રાનો વિગતવાર અહેવાલ બનનાર કોઈ લેખક વચ્ચે હોત તો આજે ૨૦૦ વર્ષો પછી વિશ્વના સર્વશ્રેષ્ઠ સાહસયાત્રા ગ્રંથ તરીકે તે વર્ણનો સ્થાન અવિચલ રહ્યું હતું અને આવનારી અનેક શતાબ્દીઓ સુધી પણ રહેતો એ નિસંશય હકીકત છે.

અલબત નીલકંઠને મન એ નહોતી સાહસયાત્રા કે નહોતી પ્રસિદ્ઘિ યાત્રા એ તો હતી અનંત મુમુક્ષુ માટેની કલ્યાણયાત્રા. માનસરોવરથી લઈને દક્ષિણમાં છેક કન્યાકુમારી સુધી અને પુનઃ મધ્યભારતમાં છેક બુરહાનપુર સુધી અને અંતે પશ્યિમ ભારતમાં ગુજરાત સુધી યાત્રા વણથંભી રહી. શ્રી નીલકંઠ માત્ર ૧૧ વર્ષની કુમળી વયે ગૃહત્યાગ કરીને ભારત ભરમાં વિચર્યા. હિમાલય માનસરોવરથી દક્ષિણમાં છેક કન્યાકુમારી સુધી કઠિન યાત્રા કરી ખુલ્લા શરીરે વિચર્યા, અપાર તપ કર્યું, અનેક કષ્ટો વેઠ્યાં, કોઈ સાથ વિના, કોઈ સાધન વિના, કોઈ સુવિધા વિના, શા માટે? અનેક લોકોના આધ્યાત્મિક ઉત્કર્ષ માટે. અસંખ્ય જીવોના કલ્યાણ માટે, એમણે જે આધ્યાત્મિક માર્ગ ચીંધ્યો છે તે હજારો વર્ષો સુધી લોકોનું કલ્યાણ કરતો રહેશે. એમની સ્મૃતિમાં ભકતો નીલકંઠવર્ણીની મૂર્તિ પર જળાભિષેક કરી ધન્યતા અનુભવે છે.

આજના સંકલ્પ દિને યુવાનોએ નીલકંઠવર્ણીની સ્મૃતિઓને રજૂ કરતું જય હો, જય હો, નીલકંઠવર્ણીની જય હો...અદ્દભૂત નૃત્ય રજૂ કર્યું. હરિભકતોએ નીલકંઠવર્ણીએ કરેલી સંકલ્પપૂર્તિની ગાથાને રજૂ કરી. અંતમાં પૂજય અપૂર્વમુનિ સ્વામીએ નીલકંઠવર્ણી અંગે જણાવ્યું હતું કે, શ્નઆજે પણ અનેક IAS અને IPS અધિકારીઓ નીલકંઠવર્ણીના આશીર્વાદ લઇ નવા કાર્યની શરૂઆત કરે છે. આપણી અંદર રહેલા શ્રદ્ઘાના અંશને વધુ મજબૂત કરવાની જરૂર છે.

પરમ પૂજય મહંતસ્વામી મહારાજની પ્રાતઃપૂજા દર્શન માટે વહેલી સવારે ૫ વાગ્યાથી ભકતોની ભીડ મંદિર પ્રાંગણમાં જોવા મળે છે. બાળકો, યુવાનો અને વડીલો સહિત કુલ ૮૦૦૦થી વધુ ભકતો સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનો લાભ લઇ રહ્યા છે. નાના બાળકો પણ વહેલી સવારમાં પોતાની કાલી-ઘેલી ભાષામાં સ્વામી સમક્ષ રજુઆતો કરી રહ્યા છે. 

(12:47 pm IST)