Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

યુનિવર્સિટીનો ભ્રષ્ટાચાર છાપરે ચડ્યો : કાલે હિસાબ સમિતિનું આગમન

એ ગ્રેડની યુનિવર્સિટીના ૫૫ વર્ષના ઈતિહાસમાં સૌપ્રથમવાર : કોન્વોકેશન હોલના ૧.૬૮ કરોડના તોતીંગ ખર્ચ છતા બાંધકામ પ્રાથમિક કક્ષાએ પહોંચ્યુ : હિસાબ સમિતિના પુંજાભાઈ વંશ અને વિક્રમભાઈ માડમ સહિતના સ્થળ તપાસ કરશે : બારોટ - જાડેજા - કાંબલીયાની ફરીયાદને પગલે તત્કાલીન કુલપતિ - કુલનાયક અને કુલસચિવને રેલો?

રાજકોટ, તા. ૨૪ : એ ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આમ તો અનેક કૌભાંડો અને ભ્રષ્ટાચારની ફરીયાદો વર્ષોથી થતી આવી છે પરંતુ ૫૫ વર્ષના ઈતિહાસમાં સૌપ્રથમવાર ગુજરાત જાહેર હિસાબ સમિતિ યુનિવર્સિટીમાં ગેરરીતિની તપાસ કરવા સ્થળ નિરીક્ષણ અર્થે આવી રહી છે. જાણે ભ્રષ્ટાચાર છાપરે ચડ્યો હોય તેવો ઘાટ યુનિવર્સિટીમાં ભરાયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોન્વોકેશન હોલ માટે દાનવીર દાતા સી.યુ.શાહે ૨૦૦૭માં દાનની ઓફર કરી હતી. ૨૦૦૮માં ૩.૫ કરોડના ખર્ચે કોન્વોકેશન હોલ બનાવવાનું કામ નિશ્ચિત થયુ હતું. ૨૦૧૦માં દાતાનું બાંધકામ માટે અનુમોદન લેવાયું. ૫૦ લાખના દાન સામે ૧ કરોડ ૬૮ લાખનો ખર્ચ થયો. ભ્રષ્ટાચાર અને ગેરરીતિની વ્યાપક ફરીયાદને પગલે વિવાદ થતા ૨૦૧૧માં કોન્વોકેશન હોલનું કામ બંધ કરવામાં આવ્યુ.૨૦૧૬ની સેનેટમાં કોન્વોકેશન હોલનું કામ શરૂ કરવાની ખાત્રી આપવામાં આવી તો તાજેતરમાં મળેલી સીન્ડીકેટમાં વધુ ૭૫ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો.

કોંગ્રેસના સીન્ડીકેટ સભ્યો નિદત બારોટ, હરદેવસિંહ જાડેજા, ધરમ કાંબલીયાએ આ અંગે આરટીઆઈ કરી થોકબંધ માહિતી એકઠી કર્યા બાદ ગુજરાત જાહેર હિસાબ સમિતિને રજૂઆત કરી હતી. રાજયપાલશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. કોઈ નિર્ણય કે કોઈ તપાસ ન થાય તો કોંગ્રેસના સભ્યો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પણ ન્યાય માંગવાનો મિજાજ વ્યકત કર્યો હતો.

ફરીયાદને પગલે આવતીકાલે કોન્વોકેશન હોલનું સ્થળ નિરીક્ષણ કરવા જાહેર હિસાબ સમિતિના શ્રી પુંજાભાઈ વંશ અને શ્રી વિક્રમભાઈ માડમ ઉપરાંત અન્ય સભ્યો સવારે ૧૧ કલાકે આવી રહ્યાનું જાણવા મળે છે.

જાહેર હિસાબ સમિતિના સભ્યો સ્થળ મુલાકાત બાદ કોન્વોકેશન હોલના બાંધકામના ચૂકવાયેલ બીલ, કામ અધુરૂ રહ્યાનું તેમજ સમયસર પૂર્ણ ન થવા પ્રશ્ને કોણ જવાબદાર સહિતની ચર્ચા કુલપતિ પેથાણી, કુલનાયક દેસાણી અને રજીસ્ટાર પરમાર પાસેથી માહિતી એકઠી કરનાર હોવાનું જાણવા મળે છે.

૨૦૦૭ દરમિયાન કોન્વોકેશન હોલમાં થયેલી ગેરરીતિની તપાસ દરમિયાન તત્કાલીન કુલપતિ, કુલનાયક અને કુલસચિવને રેલો આવે તો નવાઇ નહિં તેવી ચર્ચા યુનિવર્સિટીમાં ચાલી રહી છે.

(3:39 pm IST)