Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

મોટી બહેન સાથે વાંચવા બાબતે ચડભડ થતાં ધો-૯ની ૧૨ વર્ષની છાત્રાનો ફાંસો ખાઇ આપઘાત

ભગવતીપરાનો બનાવઃ મુળ કોલકત્તાના પરિવારમાં લાડકવાયી દિકરીના આપઘાતથી અરેરાટીઃ નાની બહેન ઉપરના રૂમમાં પાયલને બોલાવવા ગઇ ત્યારે લટકતી દેખાઇ

રાજકોટ તા. ૨૪: ભગવતીપરા સુખસાગર હોલ પાસે રહેતી ધોરણ-૯ની બાર વર્ષની છાત્રાને મોટી બહેન સાથે વાંચન કરવા બાબતે ચડભડ થતાં માઠુ લાગી જતાં ઉપરના રૂમમાં જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

પાયલ અશોકભાઇ બર (ઉ.વ.૧૨) નામની બાળાને બેભાન હાલતમાં રાતે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તબિબની પ્રાથમિક પુછતાછમાં તેણીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું પરિવારજનોએ જણાવતાં પોલીસને જાણ કરાઇ હતી. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને રવિભાઇએ બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. એએસઆઇ યુ. બી. પવારે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર પાયલ ત્રણ બહેનમાં વચેટ હતી. તેના પિતા અશોકભાઇ સોની કામ કરે છે. હાલમાં તે કામ સબબ વતનમાં ગયા છે. પાયલ ધો-૯માં કોટક સ્કૂલમાં ભણતી હતી. સાંજે તે નીચેના રૂમમાં બેસીને વાંચતી હતી ત્યારે મોટી બહેને તેણીને ઉપરના રૂમમાં જઇને વાંચવાનું કહેતાં તે બાબતે બંને વચ્ચે ચડભડ થતાં પાયલ રિસાઇને ઉપરના રૂમમાં જતી રહી હતી. એ પછી રાતે નાની બહેન પ્રિતી તેને જમવા માટે બોલાવવા જતાં તેણી લટકતી મળતાં કલ્પાંત કરી મુકતાં માતા દિપાબેન, મામા મોહનભાઇ સહિતના દોડી ગયા હતાં અને પાયલને નીચે ઉતારી બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. બનાવની જાણ કોલકત્તા ગયેલા તેણીના પિતાને કરવામાં આવતાં તે ત્યાંથી રાજકોટ આવવા નીકળી ગયા છે.

(1:22 pm IST)