Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

પતિના મૃત્યુ બાદ આઠ માસથી ગુમસુમ રહેતાં વૃધ્ધા જયાબેનનો ગળાફાંસો ખાઇ આપઘાત

ગીતાનગરમાં બનાવઃ પુત્ર સવારે જાગ્યો તો માતા અલટકતા મળ્યાઃ કોળી પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૨૪: ગોંડલ રોડ પર ગીતાનગર-૨માં રહેતાં જયાબેન ભીખુભાઇ મકવાણા (ઉ.વ.૬૫) નામના કોળી વૃધ્ધાએ વહેલી સવારે અગાસી ઉપર આવેલા માતાજીના મઢવાળા રૂમની બહાર છજાના હુકમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

બનાવની જાણ ૧૦૮ના ઇએમટી રાજુભાઇ બાંભણીયા મારફત થતાં માલવીયાનગરના કે. કે. માઢક અને પૃથ્વીરાજસિંહે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. પરિવારજનોના કહેવા મુજબ જયાબેનને સંતાનમાં એક પુત્ર મનોજભાઇ છે. જે કરિયાણાની દૂકાન ધરાવે છે. સવારે પાંચેક વાગ્યે પુત્ર મનોજભાઇ જાગ્યા ત્યારે માતા રૂમમાં જોવા ન મળતાં ઉપર માતાજીના મઢવાળો રૂમ હોઇ ત્યાં તપાસ કરવા જતાં માતા લટકતાં જોવા મળ્યા હતાં.

પરિવારજનોના કહેવા મુજબ જયાબેનના પતિ ભીખુભાઇ માધાભાઇ મકવાણાનું આઠ મહિના પહેલા બાયપાસ સર્જરી બાદ મૃત્યુ નિપજ્યું હતું. ત્યારથી તેઓ ગુમસુમ રહેતાં હતાં. પતિના વિયોગમાં તેમણે આ પગલુ ભરી લીધું હતું.

(2:36 pm IST)