Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

મોડી રાતે નાસ્તો કરવા નીકળેલા પુનિતનગરના બે મિત્રો હર્ષનાથ અને અક્ષયરાજ પર હુમલોઃ વાહનમાં તોડફોડ

હર્ષનાથે કહ્યું-અમે જેનું વાહન લઇને નીકળ્યા હતાં તેની સાથે હુમલાખોરોને ચાલતાં મનદુઃખમાં અમને નિશાન બનાવ્યા

રાજકોટ તા. ૨૪: ગોંડલ રોડ પુનિતનગરમાં રહેતાં બે મિત્રો રાતે ટુવ્હીલર પર બેસી નાસ્તો કરવા જતાં હતાં ત્યારે આંબેડકરનગરમાં ધોકા-પાઇપથી હુમલો થતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેનું વાહન હતું તેની સાથે હુમલાખોરોને મનદુઃખ હોઇ આ વાહન લઇને નીકળેલા બે મિત્રોને નિશાન બનાવ્યા હતાં.

જાણવા મળ્યા મુજબ પુનિતનગરમાં રહેતો અને ફર્નિચરનો કામ કરતો હર્ષનાથ અનંતનાથ ગોસ્વામી (ઉ.૧૭) અને ગાંઠીયાની દૂકાન ધરાવતો તેનો મિત્ર અક્ષયરાજ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.૧૬) રાતે મિત્ર કિશનનું એકસેસ લઇ રવેચી હોટલ પાસે નાસ્તો કરવા જતાં હતાં ત્યારે આંબેડકરનગરમાંથી નીકળતાં હિરેન પરમાર, સાગર પરમાર, ઘોઘો સહિતના ટોળાએ બંનેને આંતરી પછાડી દઇ વાહનમાં તોડફોડ કરી બંને મિત્રોને ધોકા-પાઇપ-તલવારથી હુમલો કરી ઘાયલ કરતાં સિવિલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. હર્ષનાથે હોસ્પિટલના બિછાનેથી કહ્યું હતું કે હું અને અક્ષયરાજ બંને નાસ્તો કરવા જતાં હતાં. અમારી પાસે ટુવ્હીલર હતું એ કિશન ઉર્ફ ડાંડાનું હતું. કિશનને અગાઉ હુમલો કરનારા પૈકી કોઇ સાથે માથાકુટ થઇ હશે. તેનું વાહન અમારી પાસે હોઇ કિશન નીકળ્યો હોવાનું સમજી ટોળાએ વાહન આંતરી સીધો હુમલો જ કરી દીધો હતો. એ પછી એક જણ મને ઓળખતો હોઇ તેણે આમાં કિશન નથી...તેવું કહેતાં બધા ભાગી ગયા હતાં. હુમલાખોરોમાં હિરેન, સાગર, ઘોઘો સહિતના હતાં. તેમ હર્ષનાથે જણાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(2:36 pm IST)