Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

સાંઈરામ દવે ઓટીટી પ્લેટફોર્મ પરઃકલાક્ષેત્રની યાત્રાનો નિચોડ પિરસશે

સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય અને હાસ્ય સાહિત્ય નવા કલેવર સર્જવા સજજઃ ઉભરતા કલાકારો માટે એક નવી દિશા ખોલનારૂ પ્લેટફોર્મ હશે : સાંઈરામે છ વર્ષની મહેનત કરી હાસ્ય કલાકાર અને લોકસાહિત્યકાર બનવા માટેનો એક એકસકલુઝીવ ઓનલાઈન કોર્ષ તૈયાર કર્યો છે, જેમાં કોઈપણ વ્યકિત જોડાઈ શકે છેઃ કોર્ષ બનાવવા પાછળનો હેતુ આવનારા સમયમાં સારા, સાચા અને શિક્ષિત કલાકારોની ગુજરાતને ભેટ મળે : ઓટીટી પ્લેટફોર્મનું સબસ્ક્રીપ્શન ફ્રી, આગામી સમયમાં પ્લેસ્ટોર અને એપ સ્ટોરમાં ઉપલબ્ધ બનશે

રાજકોટઃ સાંઈરામ દવે એક પ્રતિભા સંપન્ન કલાકાર છે હાસ્ય, સાહિત્ય અને શિક્ષણમાં અનોખા પ્રયોગો દ્વારા તેમણે લાખો ગુજરાતીઓના દિલ જીત્યા છે. વર્ષો પહેલા ૨૦૦૭માં સાંઈરામ દવે ડોટ કોમ જે લોક કલાકારે શરૂ કરેલી પ્રથમ વેબસાઈટ હતી. સાંઈરામ દવે ઓફિશ્યલ ફેસબુક પેજ પર દસ લાખ ફોલોઅર્સ ધરાવતા ગુજરાતના એકમાત્ર હાસ્ય કલાકાર છે. છેલ્લા છવ્વીસ વર્ષથી તેઓ ગુજરાતને કલાક્ષેત્રની સેવાઓ આપી રહ્યા છે. કોરોનાકાળ પછી ઓટીટી પ્લેટફોર્મ તરફ બોલિવૂડે પણ ઝુકાવ્યું હોય ત્યારે ગુજરાતમાં એક કલાકાર તરીકે સર્વપ્રથમ 'સાંઈરામ દવે ઓટીટી'નામનું પોતાનું મેગા ઓટીટી પ્લેટફોર્મ લઈને ટૂંક સમયમાં સોશ્યલ મીડિયામાં આવી રહ્યા છે.

અત્યારે ઓટીટી પ્લેટફોર્મને તો બહુ બધા છે. પરંતુ પરિવારના દરેક સભ્યો સાથે બેસીને બધા કાર્યક્રમો જોઈ શકે તેવા પ્લેટફોર્મ કેટલા ? આવા સવાલ ઉઠાવવાની જગ્યાએ આનો જવાબ લઈને સાંઈરામ ટૂંક સમયમાં આ ઓટીટી પ્લેટફોર્મ લાવી રહ્યા છે. સાંઈરામ દવે ઓટીટીએ મનોરંજનનું મેઘધનુષ્ય જેવું પ્લેટફોર્મ હશે.

સાંઈરામે જણાવ્યું હતુ કે, આજ સુધી મેં લોકોને ગમે તેવું હાસ્ય- સાહિત્ય અઢળક પીરસ્યુ છે. પરંતુ આ પ્લેટફોર્મ પર સાંઈરામને ગમે એવું અને આજ સુધી સાચવી રાખેલું સાહિત્ય રજૂ થશે. ટૂંકમાં સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય અને હાસ્ય સાહિત્ય એક નવા કલેવર સજવા તૈયાર થઈ રહ્યું છે. છવ્વીસ વર્ષની સાંઈરામ દવેની કલાક્ષેત્રની યાત્રાનો નિચોડ હશે. આ સાંઈરામ દવે ઓટીટી અબાલવૃધ્ધ સૌને નિહાળવું ગમે તેમજ ઉભરતા કલાકારો માટે એક નવી દિશા ખોલનારૃં પ્લેટફોર્મ હશે સાંઈરામ દવે ઓટીટી. સાથે જ સાંઈરામે સૌથી મોટી વાત એ જણાવી કે, લોકો સારૃં જોઈ શકે તે માટે આ ઓટીટી પ્લેટફોર્મનું સબસ્ક્રીપ્શન સાવ ફ્રી રાખવામાં આવ્યું છે. ઓટીટી થોડા જ મહિનાઓમાં પ્લે સ્ટોર પર અને એપ સ્ટોર પર ઉપલબ્ધ થશે.

આ ઓટીટી સાથે ગુજરાતની નવી પેઢીના કલાકારોને એક જેકપોટ લાગવાનો છે. લોકસાહિત્ય કે હાસ્ય જનરલી કોઈ કોઈને શીખવતું નથી. લોક માનસમાં એવી દ્રઢ માન્યતા છે કે, 'કલાકાર જન્મ લ્યે છે. કલા શીખવી ન શકાય ! ' જયારે સાંઈરામ દવે છેલ્લા છ વર્ષથી મહેનત કરીને હાસ્ય કલાકાર અને લોકસાહિત્યકાર બનવા માટેનો એક આખો એકસકલુઝિવ ઓનલાઈન કોર્સ તૈયાર કરેલો છે. જેમાં કોઈપણ વ્યકિત એ કોર્સ જોઈન્ટ કરે તો સાંઈરામ વિધિવત રીતે હાસ્યનું વિજ્ઞાન શીખવશે. જોકે કેવી રીતે કહેવી? સ્ટેજ ફીચર કેવી રીતે દૂર કરવો? જોકે સ્ટ્રકચર શું છે? હાસ્યના પ્રકારો કયા કયા છે? તેની એકદમ પ્રેકટીકલ અને વિધિવત ઉદાહરણ તથા અસાઈન્મેન્ટસ સાથેની છણાવટ સાંઈરામ દવેએ આ કોર્સમાં કરેલી છે.

નવા કલાકાર માટે તેની પ્રથમ સ્ક્રીપ્ટથી માંડી અને માઈક સેન્સ, ડ્રેસીંગ સેન્સ તેમજ સ્ટેજના એટિકેટ્સની ખૂબ જ મોર્ડન શૈલીમાં સાંઈરામે આ કોર્સમાં રજૂ કરી છે. કેટલીક તૈયાર સ્ક્રીપ્ટ તેમજ લોકસાહિત્યની અપ્રાપ્ય કવિતાઓનો એક અણમોલ લીથો કોર્સ સબસ્ક્રાઈબ કરનારા વિદ્યાર્થીને ફ્રીમાં આપવામાં આવશે.

કોર્સ બનાવવા પાછળ સાંઈરામનો હેતુ માત્ર એટલો જ કે, આવનારા દિવસોમાં વલ્ગારીટીને પ્રાધાન્ય આપનારા કલાકારોને બદલે ગુજરાતની ધરોહરને જાળવીને સારા, સાચા અને શિક્ષિત કલાકારોની ગુજરાતને ભેટ મળે. અત્રે નોંધનીય છે કે, આ પ્રકારનો ગુજરાતી ભાષાનો કલાકારો માટેનો પ્રથમ કોર્સ છે. તો કલાક્ષેત્રમાં ઝંપલાવવા ઈચ્છતા નવયુવાનો તૈયાર થઈ જાવ. હવે તમારે માત્ર કોઈના વીડિયો જોઈને જ શીખવાનું નહી રહે. સાંઈરામ દવે પોતાના અનુભવથી તમને કલાકાર બનતા શીખવે છે. આવનારી પેઢી માટે આ ઓટીટી એક આશીર્વાદ બની રહેશે.

સાત પ્રકારનું મનોરંજન લોકો માટે હશે કોમેડી કાર્નીવલ

નવા વિષય, નવી રજૂઆત સાથે નવી જનરેશનને ગમે તેવી કોમેડીનો કાર્નિવલ આ ઓટીટીમાં જોવા મળશે.

એમ કહી સાંઈરામ દવે જણાવે છે કે, આ ઓટીટીમાં ડેફીનેટલી હાસ્યની છોળો ઉડશે, પણ એ પીરસવાનો અંદાજ કંઈક જુદો અને યંગસ્ટર્સને ગમે તેવો હશે.

ફોક Talk

ફોક - લોકસાહિત્ય આપણો અદ્દભૂત વારસો છે. તેને વર્ષોના વરસ સુધી, ને આપણા વારસ સુધી પહોંચાડવાનો નવો રસ્તો એટલે ફોક ટોક. આ સીરીઝ વિશે વાત કરતા તેમણે જણાવ્યુ કે કેટલાક સવાલોએ ફોક ટોક વિષયને જન્મ આપ્યો. સવાલ એ થયો હતો કે લોકસાહિત્ય, ફકત  પુસ્તકો પુરતુ સીમીત રહી જશે? અમારી કે અમારા પહેલાની પેઢીની જનરેશન સુધી જ મર્યાદીત રહેશે? આ ચિંતા કરાવે તેવો સવાલ છે. પણ એનો રસ્તો એ નીકળે છે કે પીરીયોડીકલ સીનેમા જોતી આજની પેઢીને એ સબ્જેકટ ગમે જ છે, પણ જો એ વિષયની રજૂઆત મજ્જાની હોવી જોઈએ. એવુ જ કંઈક સાંઈરામ દવે ઓટીટીમાં જોવા મળશે.

અધ્યાત્મનું આંગણું

અધ્યાત્મથી યુથને ફેમીલી અને મોરલ વેલ્યુ સાથે કનેકટ કરવાનો પ્રયત્ન એટલે અધ્યાત્મનું આંગણું આ સીરીઝ વિશે વાત કરતા સાંઈરામ જણાવે છે કે અધ્યાત્મ એ કથાના ફોર્મેટમાં વડીલોને ગમે અને મોટીવેશનના ફોર્મેટમાં યુવાનોને ગમે છે. વડીલો જ નહિં, યુવાનો અને બાળકોને આ ઓટીટીમાં અધ્યાત્મનો અલગ જ અંદાજ જોવા મળશે.

કીડ્ઝ કોર્નર

બાળગીતો, બાળ વાર્તાઓ, હાલરડાં, પેરેન્ટીંગ ટીપ્સ અને બીજું ઘણું બધુ બાળકો અને માતા - પિતા માટે મીસીંગ હતું. એ જ પૂરૂ પાડવા માટે સાંઈરામ દવે ઓટીટીમાં કીડ્ઝ કોર્નર સીરીઝ આવશે. આ મુદ્દે વાત કરતા સાંઈરામ દવે એ ટકોર કરી કે, બાળકો આપણું ભવિષ્ય છે, પણ એ આ ભવિષ્ય મોબાઈલની સ્ક્રીનમાં ખોવાયેલુ રહે છે. મોબાઈલ એ મૂકી શકે અથવા મા - બાપ મૂકાવી શકે એવી શકયતાઓ ધુંધળી છે. ત્યારે મોબાઈલમાં એને એવી વસ્તુઓ જોતો કરીએ તો કે જે તેનું ઘડતર કરે. બાળકમાં સંસ્કારનું સિંચન કરે.

યુથ વર્લ્ડ

યંગ જનરેશન ગમે તે જોવે છે, એની જગ્યા એ ગમી જાય તેવુ જ જોવે. એવું બને તે માટે નવા વિચાર, નવી સ્ક્રીપ્ટ, નવા ડીરેકશન સાથેની યુવાનો સાથે સ્પેશ્યલ સીરીઝ છે યુથ વર્લ્ડ. આ સીરીઝની વાત કરતા યુવાનો માટે સાંઈરામ દવેએ જણાવ્યુ કે, જો યુવાનોના વિચારોને પાંખો મળે તો.. તેઓ સફળતાના આકાશમાં ઉડી શકે તેમ છે. આસમાન ખુલ્લુ છે એમની ઉડાન માટે. એ ઉડાનને યોગ્ય દિશા આપે તેવા વિચારો સાથે આ સીરીઝ આવી રહી છે. તેમ જણાવી ઉમેર્યુ કે Be Ready for Something Extra Ordinary.

સાહિત્ય

શબ્દોની એક આગવી દુનિયાને સાંઈરામ દવે દર્શકો સુધી - શ્રોતાઓ સુધી પહોંચાડવા માટે તૈયાર છે તેમ જણાવી સાંઈરામ દવેએ કહ્યુ કે શબ્દોની નવી દુનિયાને લોકો સુધી નવી તરાહથી પહોંચાડવાનું મે વર્ષોથી જોયેલુ સપનુ હવે આ ઓટીટી પ્લેટફોર્મના માધ્યમથી સાકાર થશે.

વંદે રાષ્ટ્રમ

દેશભકિત માટેનો સ્પેશ્યલ ડાયરો કરનાર કલાકાર તરીકે સાંઈરામ દવે જાણીતી છે આ જ વાતને તેઓ ડાયરાને બદલે ડ્રામા દ્વારા અથવા વેબસીરીઝ દ્વારા હવે રજૂ કરવાના છે. દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમ જાગે - જીવે - અમર રહે એવા દેશદાઝ ભર્યા વિચાર સાથે સાંઈરામ દવે ઓટીટીમાં વંદે રાષ્ટ્રમ. નામની સીરીઝ એ સાંઈરામ દવેના રાષ્ટ્રભકિતના વિચારોને મોકળા મને લોકો સુધી પહોંચાડશે.

હાસ્ય, સાહિત્ય, લોકસાહિત્ય, યુથ વર્લ્ડ, કીડ્ઝ કોર્નર, અધ્યાત્મનું આંગણ અને વંદે રાષ્ટ્રમ્ આ સાત રંગ વડે શ્રોતાઓના જીવનમાં રંગ પૂરવાનું સાંઈરામ દવેનું સપનું સાકાર કરવાનું માધ્યમ છે. સાંઈરામ દવે ઓટીટી. જેમાં તેમણે કયારેય ન કરેલી વાતોનો ગુલદસ્તો છે. (શ્રી સાંઈરામ દવે - મો. ૯૯૨૪૮ ૧૮૯૫૦)

(11:09 am IST)