News of Friday, 24th September 2021
રાજકોટ ખાતે ઓફિસ શરૂ ન કરવાના
લોહાણા મહાપરિષદના પ્રમુખના મનસ્વી નિર્ણયથી સૌરાષ્ટ્ર-કચ્છના જ્ઞાતિજનોને હળાહળ અન્યાય
વિરોધરૂપે સૌરાષ્ટ્ર ઝોન-૧, રાજકોટના તમામ હોદ્્ેદારોએ રપ અને ર૬ સપ્ટેમ્બરની ‘ચિંતન બેઠક'નો બહિષ્કાર કર્યો : મહાપરિષદના પ્રમુખ સતિષભાઇ વિઠ્ઠલાણીને ભવિષ્યમાં પણ તમામ કાર્યક્રમોનો બહિષ્કાર કરવાની ચેતવણી આપતા શ્યામલ સોનપાલ, ડો. પરાગ દેવાણી, હિરેન ખખ્ખર, મનિષ ખખ્ખર, રંજનબેન પોપટ, વિધિબેન જટાણીયા, ડો. ભાવનાબેન શીંગાળા તથા જયશ્રીબેન સેજપાલ : મહાજનોને વિશ્વાસમાં લીધા વગર જ તાજેતરમાં મહાપરિષદની ઓફીસ અમદાવાદથી મુંબઇ લઇ જવામાં આવી?! : જ્ઞાતિહિત તથા જ્ઞાતિ એકતાને ધ્યાને રાખી સતીષભાઇ વિઠ્ઠલાણી હકારાત્મક અને પરિપકવ નિર્ણય લ્યે તે ઇચ્છનીય
રાજકોટ તા. ર૪ :.. સમગ્ર વિશ્વના રઘુવંશીઓનું પ્રતિનિધિત્વ કરતી માતૃસંસ્થા લોહાણા મહાપરિષદના તમામ ટ્રસ્ટીઓ, ઓફીસ બેરર્સ, કારોબારી સભ્યો, હોદ્્ેદારો વિગેરેની ચિંતન બેઠક રપ તથા ર૬ સપ્ટેમ્બર, ર૦ર૧ ના રોજ અમદાવાદ ખાતે યોજાનાર છે. આ ચિંતન બેઠક પૂર્વે જ લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઇ વિઠ્ઠલાણીના મનસ્વી નિર્ણયથી સૌરાષ્ટ્ર-કચ્છના જ્ઞાતિજનોને હળાહળ અન્યાય થયાની વાત સામે આવતા મહાપરીષદના વિવિધ ઝોનના હોદ્્ેદારો તથા સભ્યોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે.
વિરોધરૂપે લોહાણા મહાપરિષદના સૌરાષ્ટ્ર ઝોન-૧ ના પ્રમુખ એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, રાજકોટ શહેર પ્રમુખ ડો. પરાગભાઇ દેવાણી, ઝોનલ સેક્રેટરી હિરેનભાઇ ખખ્ખર, રાજકોટ શહેર મંત્રી એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, સૌરાષ્ટ્ર ઝોન-૧ ના મહિલા પ્રમુખ રંજનબેન પોપટ, રાજકોટ શહેર મહિલા પ્રમુખ વિધિબેન જટાણિયા, ઝોનલ મહિલા સેક્રેટરી ડો. ભાવનાબેન શીંગાળા તથા રાજકોટ જીલ્લા મહિલા પ્રમુખ જયશ્રીબેન સેજપાલ દ્વારા આજરોજ મહાપરિષદના પ્રમુખશ્રી સતિષભાઇ વિઠ્ઠલાણીને ધગધગતો પત્ર પાઠવી ‘ચિંતન બેઠક' સહિતના ભવિષ્યના તમામ કાર્યક્રમોનો બહિષ્કાર કરવામાં આવનાર હોવાનું સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું છે.
પ્રમુખશ્રી સતિષભાઇ વિઠ્ઠલાણીને ઉદ્્ેશીને લખવામાં આવેલ પત્રમાં જણાવાયું છે કે લોહાણા મહાપરિષદના પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટાઇને જયારે તેઓ રાજકોટની મુલાકાતે આવ્યા હતા ત્યારે રાજકોટ લોહાણા સમાજના મોભી, અગ્રણીઓ તથા રાજકોટ લોહાણા મહાજનના હોદ્્ેદારો સાથેની ચર્ચામાં એવી ખાત્રી આપેલ કે રાજકોટમાં લોહાણા મહાપરિષદની એક ઓફીસ તાત્કાલીક શરૂ કરવામાં આવશે કે જેથી સૌરાષ્ટ્ર-કચ્છના લોહાણા જ્ઞાતિના વિશાળ વર્ગને સરળતા રહે. પરંતુ મહિનાઓ વિતવા છતાં પણ પ્રમુખશ્રી દ્વારા અપાયેલ ખાત્રીનો આજ સુધી અમલ થયો નથી.
વિશ્વમાં લોહાણા જ્ઞાતિની સૌથી વધારે વસ્તી સૌરાષ્ટ્ર-કચ્છમાં વસે છે. ભૌગોલિક રીતે પણ સૌરાષ્ટ્ર-કચ્છના દરેક જીલ્લા, તાલુકાના વિવિધ ગામથી રાજકોટ મધ્યમાં આવેલ હોવાથી લોકોને મહાપરીષદના કામ સબબ આવવા-જવામાં સરળતા રહે અને જ્ઞાતિજનોના લાભમાં મુશ્કેલીઓ નિવારી શકાય.
પરંતુ તાજેતરમાં જ ‘ઊલ્ટી ગંગા' જેવો ઘાટ સર્જાયો. લોહાણા મહાપરિષદની ઓફીસ જે અમદાવાદ મુકામે હતી તેનું સ્થળાંતર કરીને મુંબઇ લઇ જવામાં આવી. જેને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જ્ઞાતિજનો માટે તો ખૂબ મોટી મુશ્કેલીનું નિર્માણ થવા પામ્યું છે.
આવા અન્યાય કરતા અને જ્ઞાતિજનોને મુશ્કેલીમાં મૂકતા મનસ્વી નિર્ણયથી સમગ્ર લોહાણા સમાજ તથા સૌરાષ્ટ્ર-કચ્છના અનેક લોહાણા મહાજનો નિરાશ થયા છે. જેથી જયાં સુધી રાજકોટ ખાતે શ્રી લોહાણા મહાપરિષદની ઓફીસ શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી ‘ચિંતન બેઠક' સહિતના ભવિષ્યના તમામ કાર્યક્રમોનો બહિષ્કાર કરવાનું લોહાણા મહાપરિષદ ઝોન-૧ ના તમામ પદાધિકારીઓએ નકકી કર્યુ છે. આ બહિષ્કાર સમાજ પ્રત્યેની ફરજના ભાગરૂપ હોવાનું પણ જણાવાયું છે.
જ્ઞાતિહીત તથા જ્ઞાતિ એકતાને ધ્યાને રાખી લોહાણા મહાપરિષદના વૈશ્વિક પ્રમુખને છાજે તેવો હકારાત્મક - અને પરિપકવ નિર્ણય શ્રી સતિષભાઇ વિઠ્ઠલાણી દ્વારા તાત્કાલીક લેવામાં આવે તેવી આશા પણ પત્રના અંતમાં વ્યકત કરવામાં આવી છે.
કર્ણોપકર્ણ ચર્ચા મુજબ તાજેતરમાં મહાપરિષદની ઓફીસ અમદાવાદથી મુંબઇ ખસેડવામાં આવી તેમાં પણ મોટાભાગના મહાજનોને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હોવાનું સાંભળવા મળે છે.
(11:23 am IST)