Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ગોપી રાસોત્સવમાં બહેનો ગુજરાતી-હિન્દી ફિલ્મી ગીતો ઉપર રાસની રમઝટ બોલાવશે

સરગમ કલબ દ્વારા માત્ર બહેનો માટે ડી.એચ.ના મેદાનમાં આયોજન : રાજુભાઇ ત્રિવેદીના ઓરકેસ્ટ્રા સાથે હેમંત પંડયા (મુંબઇ), નિલેશ પંડયા (રાજકોટ), સોનલ ગઢવી (રાજકોટ), રશ્મી માણેક જેવા ગાયકો જમાવટ કરશેઃ પાસ વિતરણ ચાલુ

રાજકોટ તા. ર૪: સરગમ કલબના ઉપક્રમે શહેરમાં બહેનો માટે નવરાત્રિ દરમિયાન દાંડિયારાસોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં ફકત બહેનો માટે ડો. યાજ્ઞીક રોડ પર ડી. એચ. કોલેજના મેદાનમાં બહેનો માટેના ગોપીરાસોત્સવ તા. ર૯-૯ થી તા. ૮-૧૦ સુધી યોજાશે. ખેલૈયાઓ નિશ્ચિંત બનીને રાસ રમી શકે અને માની આરાધના કરી શકે તે રીતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ ગોપી રાસમાં ભાગ લેવા ઇચ્છતી સરગમ પરિવારની બહેનોને માત્ર રૂ. ૩૦૦ના ટોકનદરે નવ દિવસનો સિઝન પાસ આપવામાં આવશે. જયારે અન્ય બહેનો માટે રૂ. ૪૦૦માં નવ દિવસનો સીઝન પાસ આપવામાં આવશે. આ ગોપીરાસોત્સવમાં ઉંમર વર્ષ ૧પ થી ઉપરના રાજકોટના કોઇપણ બહેનો ભાગ લઇ શકે છે આ નવરાત્રિ દરમિયાન દરરોજ પ૦ જેટલા લાખેણા ઇનામો આપવામાં આવશે.

ગોપીરાસોત્સવમાં મ્યુઝીક મેલોઝ ગ્રુપના રાજુભાઇ ત્રિવેદી પ્રસ્તુત ઓરકેસ્ટ્રાના સથવારે ગાયક કલાકારો હેમંત પંડયા (મુંબઇ), નિલેશ પંડયા (રાજકોટ), સોનલ ગઢવી (રાજકોટ), એનાઉન્સર રશ્મીબેન માણેક, અંબિકા સાઉન્ડ એન્ડ ડી. જે. (હિમાંશુભાઇ ચાવડા) ની પ૦,૦૦૦ વોટસની સાઉન્ડ સિસ્ટમ સામે ધૂમ મચાવશે. જયારે પરમાર કિશો મંડપ સર્વિસવાળા મધુભાઇ પરમાર તેમજ મહેતા લાઇટીંગવાળા પરાગભાઇ મહેતા ડી.એચ. કોલેજના સમગ્ર ગ્રાઉન્ડને અનોખો શણગાર કરશે. આ ઉપરાંત સરગમ ચિલ્ડ્રન કલબના ઉપક્રમે નાગર બોર્ડિંગ, ટાગોર ખાતે કનૈયાનંદ રાસોત્સવનું પણ તા. ર૯/૯ થી ૭/૧૦ સુધી આયોજન કરાયું છે. જેમાં ઉંમર વર્ષથી ૬ થી ૧પ સુધીના બાળકો ભાગ લઇ શકશે. આ રાસોત્સવમાં દરરોજ લાખેણા ઇનામો અપાશે.

આ રાસોત્સવ માટેનાં ફોર્મનું વિતરણ ચાલુ છે. ફોર્મ મેળવવા માટે નીચે જણાવેલ સ્થળે સંપર્ક સાધવા જણાવાયું છે. સરગમ કલબ (ડો. યાજ્ઞીક રોડ, કોઇન્સ કોર્નર, ત્રીજે માળે), સરગમ હેલ્થ કેર સેન્ટર (જાગનાથ મંદિર ચોક, ડો. યાજ્ઞીક રોડ, સરગમ ભવન (જામટાવર રોડ, ધરમ સિનેમા પાસે), સરગમ લેડીઝ લાયબ્રેરી (એવરેસ્ટ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન સામે), સરગમ ચિલ્ડ્રન લાયબ્રેરી (મહિલા કોલેજ ચોક, પોલીસ ચોકી ઉપર), સરગમ લેડીઝન્ લાયબ્રેરી (આમ્રપાલી સિનેમા પાસે, પોલીસ ચોકી ઉપર), અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ (બ્રહ્મસમાજ ચોક, રૈયા રોડ),

નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઇ પટેલ, અરવિંદભાઇ દોમડિયા, અરવિંદભાઇ પટેલ, જયસુખભાઇ ડાભી, રાજેન્દ્રભાઇ શેઠ, ભરતભાઇ સોલંકી, રાજભા ગોહિલ વિગેરેની ટીમ કામે લાગી ગઇ છે. બહેનો માટે યોજાઇ રહેલા આ ગોપીરાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ લેડીઝ કલબનાં ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા, સુધાબેન ભાયા, જશુમતિબેન વસાણી, મધુરિકાબેન જાડેજા, મીતાબેન વ્યાસ, હર્ષાબેન કથ્રેચા, નીતાબેન ઓઝા, હિનાબેન પારેખ સહિતના હોદેદારો તેમજ ૧૦૦થી વધુ કમિટિ મેમ્બરોની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

(4:08 pm IST)