Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

ઠેબચડાના ગરાસીયા પ્રૌઢની ચકચારી હત્યાના કેસમાં સ્પે.પી.પી. તરીકે અનિલભાઇ દેસાઇની થયેલ નિમણૂંક

રાજકોટ,તા.૨૪ : ઠેબચડાના ગરાસીયા પ્રૌઢની મર્ડર કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે અનિલભાઇ દેસાઇની નિમણુંક કરવામાં આવી છે. કાળીપાટ ડબલ મર્ડર, અમરેલીની અદિતી અને જામનગરના એડવોકેટ કિરીટ જોષી હત્યા કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે અને રાજકોટ જિલ્લા સરકારી વકીલ તરીકે પ્રસંશનીય ફરજ બજાવી હતી.

 રાજકોટ જિલ્લા સરકારી વકીલ ઉપરાંત અનેક મહત્વના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે અને સૌરાષ્ટ્રના અનેક ચકચારી કેસમાં સરકાર તરફે સ્પેશ્યલ પીપી તરીકે ફરજ બજાવી ચુકેલા અનિલભાઇ દેસાઇની ઠેબચડાના ગરાસીયા પ્રૌઢની હત્યા કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે નિમણુંક કરવામાં આવી છે.

ઠેબચડાના લખધિરસિંહ નવુભા જાડેજાની ગત જાન્યુઆરી માસમાં તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી કરપીણ હત્યા કર્યાનો ૨૧ શખ્સો સામે ગુનો આજી ડેમ પોલીસ મથકમાં નોંધાયો હતો. સુપ્રીમ કોર્ટના હુકમ બાદ પોતાની જમીન પર ગયેલા લખધિરસિંહ જાડેજાની પોલીસની હાજરીમાં થયેલી હત્યાથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર જગાડી છે. ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ૧૬ જેટલા શખ્સોની ધરપકડ કરી છે અને ચાર શખ્સો વોન્ટેડ છે.

અનિલભાઇ દેસાઇની સ્પેશ્યલ પીપી તરીકે સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવી છે. અનિલભાઇ દેસાઇ રાજકોટ જિલ્લા સરકારી વકીલ તરીકે સાત વર્ષ સુધી ફરજ બજાવી છે. આ ઉપરાંત તેઓએ અમરેલીના અદિતી હત્યા કેસ, ધારીના ફોરેસ્ટ ઓફિસરના ખૂન કેસમાં, કાળીપાટ ડબલ મર્ડર અને જામનગરના એડવોકેટ કીરીટ જોષી સહિત અનેક ચકચારી કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે પ્રસંશનીય ફરજ બજાવી છે. આ કામમાં મુળ ફરિયાદીવતી હરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજાવતી એડવોકેટ તરીકે રૂપરાજસિંહ પરમાર, મનિષ પાટડિયા, અજીત પરમાર અને ભરત સોમાણી રોકાયા છે.

(4:18 pm IST)