Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

કોૈટુંબીક દિયર ભગાડી ગયા બાદ ઝેર પી લેનારી ધારીના જીરા ગામની મહિલાનું સારવારમાં મોત

રાજકોટ હોસ્‍પિટલમાં સોનલબેન ચારોલીયાએ દમ તોડયોઃ કોૈટુંબીક દિયર અશ્વિન ચારોલીયાએ ઝેરી દવા પાઇ દીધાનો આક્ષેપ અગાઉ મૃતકના પતિએ કર્યો હતો

રાજકોટ તા. ૨૪: ધારી તાલુકાના જીરા ગામે રહેતાં સોનલબેન ભીખુભાઇ ચારોલીયા (ઉ.વ.૪૦) નામના મહિલાએ ગત તા. ૫/૪ના રોજ રાતે બારેક વાગ્‍યે જુનાગઢ નજીકના માધવપુર ગામે ઝેરી દવા પી લેતાં સાવરાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. જે તે વખતે તેણીના પતિએ આક્ષેપ કર્યો હતો કે તેની પત્‍નિ સોનલને કોૈટુંબીક દિયર અશ્વિન ભરતભાઇ ચારોલીયા આડાસંબંધને કારણે ભગાડી ગયો હતો. એ પછી દિયરે જ તેણીને દવા પાઇ દીધી હતી. જો કે બાદમાં એવુ જણાવાયુ હતું કે દિયરે તેણીને દવા પીવા દબાણ કરતાં તે દવા પી ગઇ હતી. સારવાર દરમિયાન આજે રાજકોટ હોસ્‍પિટલમાં તેણીનું મોત થતાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ સોનલબેને તા. પાંચમી એપ્રિલે ઝેરી દવા પી લીધી હતી. જે તે વખતે તેણીને સારવાર માટે સ્‍થાનિક હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા બાદ રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. તે વખતે તેણીના પતિએ આક્ષેપો સાથે કહ્યું હતું કે સોનલને તેનો કોૈટુંબીક દિયર અશ્વિન ચોથી એપ્રિલે ભગાડી ગયો હતો. ત્‍યારબાદ બંને જુનાગઢ રોકાયા હતાં અને બાદમાં માધવપુર  ગામે વાડી વિસ્‍તારમાં લઇ જઇ દવા પીવડાવી દીધી હતી. ત્‍યાંથી તેણીએ પોતાને (પતિને) જાણ કરતાં તેણે ત્‍યાં પહોંચી સારવાર માટે ખસેડી હતી. જો કે બાદમાં એવી વાત સામે આવી હતી કે સોનલબેનને દિયરે ભગાડી ગયા બાદ હવે તું દવા પી જા તેમ કહેતાં તેણીએ પગલુ ભર્યુ હતું. તેણીના લગ્ન પંદર વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં બે પુત્ર છે.

સારવાર દરમિયાન આજે સોનલબેને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડી દેતાં દેવીપૂજક પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના કેતનભાઇ નિકોલા, રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણાએ જે તે પોલીસ સ્‍ટેશનને જાણ કરી હતી.

 

 

(11:42 am IST)