Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

રાજકોટ જિલ્લામાં અડધો લાખ કોથળામાં પાંચ-પાંચ કિલો મગફળી ઉમેરવી પડશે : સરકાર માથે લાખોનો મજૂરી ખર્ચ

૩૦ના બદલે ૨૫ કિલોના કોથળા સ્વીકારવાની નાફેડે ના પાડી દીધી

રાજકોટ તા. ૨૩ : રાજ્ય સરકારે ગઇ ૨૬ ઓકટોબરથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કર્યું છે. શરૂઆતમાં ખેડૂતોની લાગણી મુજબ સરકારના પદાધિકારીની સૂચના પુરવઠા નિગમે ૩૦ના બદલે ૨૫ કિલો મગફળીના કોથળા ભરવાનું શરૂ કરેલ. નાફેડે ૩૦ કિલોથી ઓછા વજનવાળા કોથળા સ્વીકારવાની ના પાડી દેતા નિગમે હવે ૨૫ કિલોવાળા કોથળામાં મગફળી ઉમેરીને ૩૦ કિલોના કરવાનું શરૂ કર્યું છે. જે તે વખતે લેખિત મંજુરી વિના નિયમમાં બાંધછોડ કરવા બદલ સરકાર માથે વજનમાં ફરીથી ફેરફાર કરવાનો લાખો રૂપિયાનો ખર્ચ આવી પડયો છે. આવુ માત્ર રાજકોટ જિલ્લામાં થયાના વાવડ છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ પુરવઠા નિગમ મગફળી ખરીદીને નાફેડને આપે છે. નાફેડે કોથળા દિઠ ૩૦ કિલો મગફળીનો નિયમ રાખ્યો છે. રાજકોટ જિલ્લામાં નિગમે પ્રારંભિક તબક્કે ૨૫ કિલો મગફળી ભરેલ. આવી કોથળાની સંખ્યા અડધો લાખ જેટલી થાય છે. હાલ તે જિલ્લાના ૭ ગોડાઉનમાં પડી છે. હવે ૨૫ કિલોવાળા કોથળા ખોલીને તેમાં પાંચ-પાંચ કિલો મગફળી ઉમેરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સમય, શકિત અને પ્રજાના પૈસા વપરાઇ રહ્યા છે. રાજ્ય સરકાર ૨૫ કિલોવાળા મગફળીના કોથળા સ્વીકારવામાં નાફેડને સહમત ન કરાવી શકી એટલે ઘટતા વજનની પૂર્તતા કરવાની વધારાની કસરત કરવાની વેળા આવી છે.

(11:13 am IST)