Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

રાજકોટમાં એઇમ્‍સ આવ્‍યા બાદ રાજ્‍યના આરોગ્‍ય ક્ષેત્રે ક્રાંતિ આવશેઃ 10 રૂપિયામાં નિદાન થશેઃ 375 રૂપિયામાં બેડ ઉપર 2 લોકોને ભોજનની સુવિધાઃ દવાઓ રાહતદરે અપાશે

રાજકોટ: શહેરમાં એઇમ્સ આવ્યા બાદ રાજ્યનાં આરોગ્ય ક્ષેત્રે એક અનોખી ક્રાંતિ આવી રહી છે. આ સંસ્થાની સમકક્ષ કોઇ કોર્પોરેટ કે ખાનગી હોસ્પિટલ આવી નહી શકે. OPD થી માંડી સર્જરી જેવા તમામ કામકાજ એડવાન્સ રીતે અને યોજનાબદ્ધ રીતે થશે. એમ્સ હોસ્પિટલમાં માત્ર 10 રૂપિયામાં નિદાન થશે. આ ઉપરાંત 35 રૂપિયા પ્રતિ બેડ, 375 રૂપિયામાં બેડ ઉપરાંત બે લોકોનું ભોજન પણ આવી જશે. હોસ્પિટલમાં લાખો કે હજારો રૂપિયામાં મળતી દવાઓ ખુબ જ રાહતદરે આપવામાં આવશે.

જો કોઇ વ્યક્તિ તપાસની લાંબી લાંબી લાઇનમાં ઉભા રહેવા ન માંગતું હોય તો તે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇને સીધો જ પોતાનાં ટાઇમે ડોક્ટરને મળી શકશે. જો કોઇ દર્દી તેવું કરવા સક્ષમ ન હોય તો તેના માટે કાઉન્સેલર પણ હાજર રહેશે. જે ફાઇલ કઢાવવાથી માંડીને તમામ પ્રકારની મદદ કરશે. આ ઉપરાંત જે દર્દીઓ પહોંચી ચુક્યા છે તેમને પણ રાહ જોવા માટે ખુબ જ સારા વેઇટિંગ લોન્જમાં સારી બેઠક વ્યવસ્થા આપવામાં આવશે.

આ ઉપરાંત એઇમ્સ સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ હોવાનાં કારણે VIP અને સેલેબ્રિટી આવતા રહેશે. જેના કારણે પ્રાઇવેટ વોર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીં બે પ્રકારનાં રૂમ હશે જેમાં તમામ સાધન હશે. આ રૂમનું ભાડુ બેથી ત્રણ હજાર રૂપિયા પ્રતિ દિવસ એટલે કે સામાન્ય ખાનગી હોસ્પિટલનાં રૂમના ભાડા કરતા પણ ઓછું રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એઇમ્સ એક ખુબ જ ઉચ્ચ કક્ષાની મેડિકલ કોલેજ છે. જેમાં એડમિશન નીટ મારફતે નથી મળતું પરંતુ એઇમ્સ દ્વારા પોતાની ખાસ એડમિશન ટેસ્ટ લેવામાં આવે છે. જેના આધારે જ વિદ્યાર્થીઓને એડમિશન મળે છે. આ સંસ્થા થકી દેશને અને સંસ્થા બંન્નેને ઉચ્ચ કક્ષાના રેસિડેન્ટ ડોક્ટર્સ મળે છે. આ ઉપરાંત એઇમ્સના એક્સચેન્જ પ્રોગ્રામ હેઠલ અહીંના તબીબો વિદેશ જશે જ્યારે વિદેશી તબીબો અહીં આવશે.

(4:34 pm IST)