Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

કોરોના સંક્રમિતો માટે રાજ્યસરકારનો સંવેદશનશીલ પ્રયાસઃ ૧૯૦૦થી વધુ રેમડેસીવીર ઇન્જેકશન ઉપલબ્ધ

રાજકોટ : રાજય સરકાર દ્વારા કોરોનાના દર્દીઓને જરૂરી દવાઓ તથા ઇન્જેકશનનો જથ્થો જરૂરિયાત મુજબ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે.

રાજય સરકારના કોરોના સંક્રમીત દર્દીઓની સઘન સારવાર મળી રહે તે માટે સંવેદનશીલ પ્રયાસોના ભાગરૂપે રાજકોટ જિલ્લાને માટે કુલ ૧૮૦૦થી વધુ ઇન્જેકશનોનો જથ્થો ફાળવવામાં આવ્યો છે.

રાજકોટ સિવિલ કોવીડ-૧૯ હોસ્પિટલ ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે જરૂરી રેમડેસીવીર ઇન્જેકશનનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. રાજય સરકાર દ્વારા સિવિલ હોસ્પીટલને આજરોજ ૫૦૦ રેમડેસીવીર ઇન્જેકશનનો જથ્થો પહોંચતો કરવામાં આવ્યો છે. હોસ્પિટલ ખાતે આ પૂર્વે ૮૩૯ ઇન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ હતો. જયારે ગોંડલ, ધોરાજી તેમજ જસદણ ખાતે કાર્યરત હેલ્થ સેન્ટરને પ્રત્યેકને ૨૦ ઇનેંજેકશન ફાળવવામાં આવ્યા છે. આમ કુલ મળીને રાજકોટ જિલ્લામાં ૧૩૯૯ રેમડેસીવીર ઇન્જેકશનનો જથ્થો હાલ અવેલેબલ હોવાનું હેલ્થ વિભાગ દ્વારા જણાવાયું છે.

આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જરૂરી હોય તેવા દર્દીઓને રેમડેસીવીર ઇન્જેકશન આપવાના થાય તે માટે રાજકોટની એન્જસીઓમાં અમૃત મેડિસિન્સને ૯૬, એચ.સી.જી. સન હોસ્પિટલ્સને ૯૬, સેલસ ફાર્મસીને ૯૬, સાયોના ફાર્મા એન્ડ ડિસ્ટ્રીબ્યુટરને ૯૬, રાજેન્દ્ર ફાર્મસીને ૨૪, સુરજ એન્ટરપ્રાઇઝને ૫૦ તથા કોટેચા એન્ટરપ્રાઇઝને ૫૦ મળી કુલ ૫૦૮ ઇન્જેકશન હાલ ઉપલબ્ધ કરાવાયા છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે આ ઇન્જેકશન ઉપરોકત સ્થળેથી મળી રહેશે.

 આમ કુલ ૧૯૦૭ જેટલા રેમડેસીવીર ઇન્જેકશન રાજય સરકાર દ્વારા રાજકોટ જિલ્લાના કોરોના દર્દીઓને ફાળવાયેલ છે. આથી સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દર્દીઓને રેમડેસીવીર ઇન્જેકશન પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

(1:28 pm IST)