Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

સ્ટુડન્ટની સ્કુલબેગ પણ ગોઠવી આપે તે ટીચર ટોર્ચ જેવા હોય છેઃ પૂ.નમ્રમુનિ મ.સા.

ડુંગર દરબારમાં સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ્સ એસોસિયેશનના ઉપક્રમે આયોજિત શિબિરમાં પૂ. રાષ્ટ્રસંતે ૨૦૦૦ શિક્ષકોને આપ્યાં સફળતાનાં સૂત્રો : અઠવાડીયામાં એક વખત શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે ભોજન કરવા શીખ આપી

 રાજકોટઃ તા.૨૩, રાજકોટના સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ્સ એસોસિએશનના ઉપક્રમે આયોજિત કરવામાં આવેલી શિક્ષક શિબિરમાં સ્ટુડન્ટસના ગાઈડીંગ લાઈટ બનનાર હજારો શિક્ષકો રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથી સફળ શિક્ષક બનવાના સોનેરી સૂત્રો પામ્યાં હતાં.

રાષ્ટ્રસંત પૂજયશ્રીએ માર્ગદર્શન આપતાં કહ્યું કે ટોર્ચ લાઈટ આપે અને ટોર્ચર ફાઈટ આપે. સ્ટુડન્ટ્સને જે શીખવું હોય તે શીખવાડે તે સકસેસફુલ ટીચર હોય પરંતુ ટીચરને આવડતું હોય માત્ર તે શીખવાડે તે એવરેજ ટીચર હોય. ટીચરે શીખવાડેલું સ્ટુડન્ટ્સ ભૂલી શા માટે જાય છે તેનું સમાધાન આપતાં રાષ્ટ્રસંત પૂજયશ્રીએ ફરમાવ્યું કે હોઠમાંથી નીકળેલા શબ્દો સ્ટુડન્ટના કાન સુધી પહોંચે ટીચરના હાર્ટ માંથી નીકળેલા શબ્દો સ્ટુડન્ટના હાર્ટ સુધી પહોંચે છે. ટીચરનાં મુખમાંથી નીકળે તે વોઈસ સ્ટડી કરાવી શકે પરંતુ ટીચરનાં હાર્ટ માંથી નીકળે તે વાઈબ્રેશન સ્ટડી બની શકે.

બહારથી અંદર જાય તે કોર્સ હોય, પરંતુ અંદરમાંથી બહાર આવે તે ફોર્સ હોય. જે દિવસે તમારા સ્ટુડન્ટ તમારી શિક્ષાની પ્રતિક્ષા કરે તો માનજો કે તમે સકસેસફુલ ટીચર છો. સ્ટુડન્ટ જેની સાથે કનેકટ થાય તે સકસેસફુલ ટીચર હોય છે અને સ્ટુડન્ટ જે ટીચર માટે કમેન્ટ પાસ કરે, તે એવરેજ ટીચર હોય. માટે જયારે સ્ટુડન્ટથી ભૂલ થાય તો ગુસ્સમને બદલે નાની નાની ટીપથી તેને માર્ગદર્શન આપવાની પ્રેરણા આપતા કહ્યું હતું કે એક નાનકડી ટીપ પણ બાળકને ભવિષ્યમાં ટોપ સુધી લઇ જઈ શકે અને આ માર્ગદર્શક ટીપ તે કોર્સમાં ન હોય પરંતુ  ઈનરફોર્સમાંથી આવે. જેને ગુરુનું મૌન પચે એને જ ગુરુનાં શબ્દો પચાવતા આવડે છે. જે ટીચરનાં મૌનથી બાળકો શાંત થાય રહે તે સકસેસફુલ ટીચર હોય અને જો સ્ટુડન્ટ્સ બોલવા લાગે તો એવરેજ ટીચર હોય છે. શબ્દના શિક્ષક એવરેજ ટીચર હોય પણ મૌનનાં ગુરુ સકસેસફુલ ટીચર હોય.

આ પ્રસંગે પ્રવિણભાઈ રૂપાણી,   અજયભાઈ પટેલ, ડો. ડી.વી. મહેતા,   રશ્મિકાંતભાઈ મોદી, ક્રિશ્નકાંતભાઈ ધોળકિયા, જિતેશભાઈ માટવાની,   ભરતભાઈ હેરમા, પરેશભાઈ શેલા,   પ્રવિણભાઈ ગોંડલિયા, વિમલ કપૂર,   જયંતભાઈ કાનગડ (શુભમ સ્કુલ)  રાષ્ટ્રસંત પૂજયશ્રી એ આ સર્વ સંચાલકોને સફળતાનાં આશીર્વાદ આપ્યાં હતાં. આ અવસરે રાજકોટના સંતાન પૂજય શ્રી વિનમ્રમુનિ મહારાજ સાહેબે ઉપસ્થિત ટીચર્સમાંથી પોતાના ટીચર્સ સાથે જોડાયેલાં સંસ્મરણોને યાદ કરીને આભાર માનતા સર્વને વિનયએ સફળતાનું મૂળ છે તેના પર માર્ગદર્શન આપ્યું હતું.  નવદીક્ષિત સાધ્વીરત્ના પૂજય શ્રી પરમ સંબોધિજી મહાસતીજીએ ટેકનીકલી રાઈટ કે પ્રેકટીકલી રાઈટ પરનો ફરક સમજાવી એજયુકેશન કરતાં બાળકને વિઝનરી બનાવવા પર સુંદર મનનીય પ્રવચન આપ્યું હતું.

કાર્યક્રમનું સંચાલન હેમલભાઈ મહેતાએ   કર્યું હતું. જીનીયસ સ્કૂલનાં  ડી.વી. મહેતાએ સ્વાગત પ્રવચન કરેલ. શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘનાં પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠએ પ્રાસંગિક વકતવ્ય તથા રાજકોટ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ અસોશિએશનનાં પ્રમુખ  અજયભાઈ પટેલે રાષ્ટ્રસંત પૂજયશ્રીનો આભાર વ્યકત કર્યો હતો. અંતે ઓમકારના મંત્ર નાદથી ટીચર્સને ઓરા સ્નાન કરાવીને રાષ્ટ્રસંત પૂજય શ્રી એ બધા ટીચર્સ ને આ વીકમાં એક દિવસ સ્ટુડન્ટ્સ સાથે ભોજન લેવાની પ્રેરણા આપી હતી.

(3:55 pm IST)