Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

'અગલે બરસ તું જલ્દી આના' નાદ સાથે ભાજપ દ્વારા કાલે ગણેશ વિસર્જન યાત્રા

હવન-યજ્ઞ બાદ દુંદાળા દેવ શ્રી ગણપતીજીને ભાવભીની વિદાય અપાશેઃ ભાજપનાં તમામ કાર્યકર્તાઓ અને શહેરીજનોને વિનાયક ધામ ખાતે ઉમટી પડવા શહેર પ્રમુખ કમલેશ મિરાણીનો અનુરોધ

રાજકોટ, તા., ૨૨: શહેર ભાજપ દ્વારા શહેરનાં રેસકોર્ષ સંકુલના સ્વ. રમેશભાઇ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) રેસકોર્ષ મેદાનમાં ભવ્ય ગણપતી મહોત્સવનું વિનાયકધામ ખાતે આયોજન કરાયું છે. જેમાં આવતીકાલે દુંદાળા દેવ શ્રી ગણપતીજીને હવન-યજ્ઞ સાથે ભાવભીની વિદાય આપી  'ગણપતી બાપા મોરીયા, અગલે બરસ તુ જલ્દી આના'ના નાદ સાથે ભવ્ય ગણેશ વિસર્જન યાત્રાનું આયોજન થયું છે.

આ અંગે શહેર ભાજપ કાર્યાલયના મંત્રી હરેશ જોષીની યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમીતીના ઇન્ચાર્જ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ સિધ્ધી વિનાયક ધામ ખાતે ભવ્યાતી ભવ્ય ગણપતી મહોત્સવનું આયોજન શ્રી ગણપતી મંગલ મહોત્સવ સમીતી દ્વારા સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણપતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તે અંતર્ગત રોજેરોજ વિવિધ સમાજના આગેવાનો, સામાજીક તથા શૈક્ષણીક સંસ્થાના આગેવાનો, સંતો-મહંતો-પ્રેસ મીડીયાના અગ્રણીઓ, વિવિધ રાજકીય પક્ષના અગ્રણીઓ તથા શહેરની ધર્મપ્રેમી જનતાએ સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મહારાજના પૂજન-અર્ચન-દર્શન-મહાઆરતી-પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. ત્યારે શહેર ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવ સમીતીના ઇન્ચાર્જ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણપતી મહારાજના સાનિધ્યમાં રોજેરોજ બાળકો-મહીલા માટે અનેરી રસપ્રદ સ્પર્ધાઓ, વિવિધ ધાર્મીક, ભકિતસભર, હાસ્યસભર તેમજ સંગીતમય સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ નિઃશુલ્ક સ્વાઇન ફલુ, ડેન્ગયુ, ચીકન ગુનીયા જેવા રોગોથી રક્ષણ મેળવવા રોગ પ્રતિકારક દવાઓનંું નિઃશુલ્ક વિતરણ અને સીવીલ હોસ્પીટલના ગરીબ દર્દીઓના લાભાર્થે રકતદાન કેમ્પ જેવા વિવિધ સેવાકીય કાર્યક્રમોની વણજાર યોજવામાં આવી હતી અને સિધ્ધી વિનાયક ધામ ખરા અર્થમાં શહેરીજનોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

દરમિયાન હવે આવતીકાલે રિધ્ધી સીધ્ધીના દેવ શ્રી ગણપતીબાપાને વેદોકત મંત્રોચ્ચાર-હવન-યજ્ઞ બાદ ભાવભીની વિદાય આપી વિસર્જન યાત્રા યોજવામાં આવશે. તો આ વિસર્જન યાત્રામાં જોડાઇ દુંદાળા દેવના આશીર્વાદ ગ્રહણ કરી ગણપતિ બાપ્પા મોરીયા, અગલે બરસ તું જલ્દી આના પ્રચંડ નાદ સાથે વિદાય આપવા ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓ તથા શહેરની ધર્મપ્રેમીને જોડાવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જાહેર અનુરોધ કર્યો છે.(૪.૮)

(3:54 pm IST)