Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

'શેરીમાંથી કેમ નીકળ્યો'...કહી હાર્દિક પંડ્યાને ફળીયામાં ખેંચી ઘુસ્તાવી, તલવારનો ઘા ઝીંકાયો

રૈયા ચોકડી પાસેની નંદનવન સોસાયટીમાં બનાવઃ લક્ષમણ ભરવાડ, કાનો ભરવાડ, સંજય, ગગજી, ભુપત સહિતે છ વર્ષ જુના ડખ્ખાનો ખાર રાખી હુમલો કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૨: રૈયા ચોકડી પાસે નંદનવન સોસાયટીમાં રહેતાં અને રૈયાધાર સ્લમ કવાર્ટર પાસે મોબાઇલની દૂકાન ધરાવતાં હાર્દિક મહેન્દ્રભાઇ પંડ્યા (ઉ.વ.૩૭) નામના યુવાન પર રાત્રે અગિયારેક વાગ્યે તેના ઘર નજીક જ રહેતાં લક્ષમણભાઇ ભરવાડ, કાના ભરવાડ, સંજય ભરવાડ, ગગજી ભરવાડ અને ભૂપત ભરવાડે હુમલો કરી ઘુસ્તાવી તલવારનો ઘા ઝીંકી દેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. હાર્દિકના પિતા મહેન્દ્રભાઇ રતિલાલ પંડ્યા બેંક ઓફ બરોડામાં ફરજ બજાવે છે. તેમણે જણાવ્યું હતું કે દિકરા હાર્દિકને મોબાઇલની દૂકાન છે. રાતે તે ઘરે આવી રહ્યો હતો ત્યારે લક્ષમણભાઇ સહિતે તું શેરીમાંથી કેમ નીકળ્યો? કહી તેના ઘરના ફળીયામાં ખેંચી લઇ હુમલો કર્યો હતો. છ વર્ષ પહેલા પણ આવી બાબતે ભરવાડ લોકોએ માથાકુટ કરતાં કેસ થયો હતો. ત્યારે સમાધાન પણ કરી લેવાયું હતું. ફરીથી એ જુના ડખ્ખાનો ખાર રાખી હુમલો કરાયો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(12:44 pm IST)