Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ત્રંબાની આર. કે. યુનિવર્સિટીમાં શિક્ષીકા અમરેલીના પટેલ યુવતિ પિનલ દેસાઇનો ગળાફાંસો ખાઇ આપઘાત

અઢી વર્ષ પહેલા મોરબીના તરૂણ દેસાઇ સાથે લગ્ન થયા'તાઃ સવા વર્ષથી અમરેલી પિતા મનસુખભાઇ કાવઠીયાને ત્યાં રિસામણે હતાં: છ માસથી અંગ્રેજી વિષયના શિક્ષીકા તરીકે નોકરી મળી'તીઃ લગ્ન જીવન બરાબર ન ચાલ્યું હોઇ પગલું ભરી લીધાની શકયતા

રાજકોટ તા. ૨૨: ત્રંબામાં આવેલી આર. કે. યુનિવર્સિટી કોલેજમાં દિનદયાળ ઉપાધ્યાય ગ્રામ કોૈશલ યોજનામાં અંગ્રેજી વિષયના શિક્ષીકા તરીકે નોકરી કરતાં મોરબી સાસરૂ ધરાવતાં અને હાલ અમરેલી પિતાના ઘરે રહેતાં લેઉવા પટેલ યુવતિએ  કોલેજના ગર્લ્સ હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. લગ્ન જીવન બરાબર ચાલ્યું ન હોવાથી આ પગલું ભર્યાનું પોલીસનું પ્રાથમિક તારણ છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ આર. કે. યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં બીજા માળના રૂમમાં શિક્ષીકા પિનલબેન તરૂણ દેસાઇ (ઉ.૨૭)એ સાંજે રૂમ બંધ કરી ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ને જાણ કરવામાં આવતાં પાઇલોટ દેવીદાસભાઇ અને ઇએમટી ગોવિંદભાઇ રોજાસરા પહોંચ્યા હતાં. દરવાજો તોડી પિનલબેનને બહાર કાઢી લેવામાં આવ્યા હોઇ તેણીને બેભાન હાલતમાં વોકહોર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે તેને મૃત જાહેર કર્યા હતાં. બનાવ અંગે હોસ્પિટલના સિકયુરીટી સુપરવાઇઝર દશરથસિંહ જાડેજાએ જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ. વી.સી. વાઘેલા અને રાઇટર ભીખુભાઇ મૈયડએ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ પિનલબેનના લગ્ન અઢી વર્ષ પહેલા મોરબીના તરૂણ દેસાઇ સાથે થયા હતાં. તેણીએ ઇ.સી.નો અભ્યાસ કર્યો હતો. જો કે લગ્ન બાદ છેલ્લા સવાએક વર્ષથી તેણી માવતરે અમરેલી તેના પિતા મનસુખભાઇ બચુભાઇ કાવઠીયાને ત્યાં આવી ગયા હતાં. છએક માસ પહેલા ત્રંબાની આર. કે. યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયના શિક્ષીકા તરીકે નોકરી મળતાં ત્યારથી તેણી અહિની હોસ્ટેલમાં જ રહેતી હતી. ગળાફાંસો ખાવાનું કોઇ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. પણ કદાચ લગ્ન જીવન બરાબર ચાલ્યું ન હોવાથી આ પગલુ ભર્યાનું સમજાય છે. પોલીસે તેના પરિવારજનોના વિશેષ નિવેદન અંતિમવિધી બાદ નોંધશે.

આપઘાત કરનાર પિનલબેન બે બહેન અને એક ભાઇમાં બીજા હતાં. તેના પિતા મનસુખભાઇ કવાઠીયા અમરેલી એસબીઆઇમાં ફરજ બજાવતાં હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આ બનાવથી કોલેજના સ્ટાફમાં અને મૃતકના સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:29 am IST)