Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ચેક પરત ફરવાના પાંચ કેસમાં એચ.આર.એન્ટરપ્રાઈઝવાળા મનિષ મિરાણીની સજા કાયમ રાખતી સેશન્સ કોર્ટઃ જેલ હવાલે

રાજકોટઃ પરાબજાર વિસ્તારમાં એચ.આર.એન્ટરપ્રાઈઝના નામથી પેઢી ધરાવતા વેપારી મનિષભાઈ રમણીકભાઈ મિરાણીને ચેક પરત ફરવાના જુદા-જુદા પાંચ કેસમાં નીચેની કોર્ટે બે- બે વર્ષની સાદી કેદની સજા તથા પાંચ કેસના ચેક મુજબની રકમ ફરીયાદીને વળતર તરીકે બે માસમાં ચુકવી આપવા માટેનો હુકમ કરેલ. જો સમયમર્યાદામાં વળતરની રકમ ન ચુકવી આપે તો વધુ બે માસની સાદી કેદની સજા ભોગવવાનો પણ હુકમ કરેલ.

સદરહું હુકમથી નારાજ થતા એચ.આર.એન્ટરપ્રાઈઝવાળા મનિષભાઈ મિરાણીએ રાજકોટની સેશન્સ કોર્ટમાં જુદી-જુદી અપીલ દાખલ કરેલ હતી. સજાનો હુકમ મોકુફ રાખવા માટે કરેલ અરજીનાં અનુસંધાને અદાલતે ફરીયાદીની રૂપિયા ચૌદ લાખ લેણી રકમ પેટે ૨૦% રકમ જમા કરવવા માટેનો હુકમ કરેલ. તે મુજબની ૨૦% લેખે રૂપિયા બે લાખ એસી હજાર પુરા અદાલતમાં જમા કરાવતા અપીલના સમય દરમ્યાન તહોમતદારને જામીન ઉપર મુકત કરવા અને સજાનો અમલ અપીલનો નિકાલ થતા સુધી મોકુફ રાખવા માટેનો હુકમ કરેલ હતો.

એચ.આર.એન્ટરપ્રાઈઝવાળા મનિષભાઈ મિરાણીએ કરેલ જુદી- જુદી અપીલોમાં નીચેની કોર્ટે કરેલ સજાનો હુકમ ગેરકાયદેસરનો તથા કાયદાના પ્રસ્થાપીત થયેલ સિધ્ધાંતોથી વિરૂધ્ધનો હોવાનું તહોમતદાર મનિષભાઈ સાબિત કરી શકેલ નથી. તેમજ તહોમતદાર તરફથી લીધેલ બચાવ સેશન્સ કોર્ટે માન્ય ન રાખતા પાંચેય ફોજદારી અપીલો રદ કરવા માટેનો અને નીચેની કોર્ટે કરેલ સજા વિગેરેનો હુકમ કાયમ રાખવા માટે રાજકોટના એડીશ્નલ સેશન્સ જજ શ્રી પી.પી.પુરોહિતે હુકમ કરેલ છે. હુકમ કરતાની સાથે મનિષભાઈ રમણીકભાઈ મિરાણીને કસ્ટડીમાં લઈ લેવામાં આવેલ તેમજ સજા ભોગવવા માટે જેલમાં પણ મોકલી આપેલ હોવાનું જણાવાવ્યું છે.

ફરીયાદી કાંતિલાલ ધનજીભાઈ કારીયા કે જે બજરંગ મિત્ર મંડળના માનદ મંત્રી તરીકેની ફરજ બજાવે છે તેના એડવોકેટ પ્રવિણ કોટેચા, પૂર્વેશ કોટેચા, રવિ સેજપાલ, હરેશ મકવાણા, રજનીક કુકડીયા, દિવ્યેશ રૂડકીયા, અજયસિંહ ચુડાસમા તથા નિલય પાઠક, ચિંતન ભલાણી રોકાયેલ હતા.

(4:02 pm IST)