Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

પત્નિ છોડીને જતી રહેતાં જીયાણામાં કોળી યુવાન દિનેશ ઉર્ફ દિલીપ સરવૈયાનો ફાંસો ખાઇ આપઘાત

પ્રથમ પત્નિએ આપઘાત કર્યા બાદ આ યુવાને બીજા લગ્ન કર્યા'તાઃ તે સંક્રાંત પર અમદાવાદ ગયા બાદ પાછી જ ન આવતાં માઠુ લાગતાં પગલું ભર્યાની શંકાઃ બે માસુમ પુત્રો નોધારા : ચિઠ્ઠીમાં લખ્યું- સુમિતાએ પોતે પાછી આવી જશે તેવા ત્રણેય છોકરાના સમ ખાઇને કહ્યું હતું...પણ આવી જ નહિ

રાજકોટ તા. ૨૨: કુવાડવાના જીયાણા ગામમાં રહેતાં કોળી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી છે. પ્રથમ પત્નિના મોત બાદ આ યુવાને બીજા લગ્ન કર્યા હતાં. આ પત્નિ છોડીને જતી રહેતાં માઠુ લાગી જવાથી આ પગલું ભર્યાની શકયતા છે. 

પ્રાપ્ત માહિતી મુજબ જીયાણા ગામે રહેતાં મુકેશભાઇ કોળીએ ગામના સરપંચ અરવિંદભાઇ સરવૈયાને મળી  પોતાના નાના ભાઇ દિનેશ ઉર્ફ દિલીપ (ઉ.૩૨)એ પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ કરતાં સરપંચ દ્વારા કુવાડવા પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં પી.એસ.આઇ. આર.એલ. ખટાણા, જયપાલસિંહ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવા તજવીજ કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ દિનેશના પ્રથમ પત્નિએ આપઘાત કર્યો હતો. એ પછી તેણે આજથી દોઢેક વર્ષ પહેલા અમદાવાદની સુમિતા સાથે બીજા લગ્ન કર્યા હતાં. અમદાવાદની આ મહિલા આગલા ઘરના એક સંતાન સાથે આવી હતી. દિનેશને પણ આગલા ઘરના બે પુત્રો છે. સુમિતા સંક્રાંત ઉપર માવતરે જવાનું અને થોડા દિવસમાં આવી જશે તેમ કહીને ગયા બાદ આજ સુધી પાછી આવી નહોતી. આ કારણે માઠુ લાગતાં દિનેશે આ પગલુ ભર્યાની શકયતા છે.

દિનેશ સેન્ટીંગ કામની મજૂરી કરતો હતો. તેના બંને પુત્રો બાજુમાં મોટા બાપુના ઘરે સુતા હતાં.  સવારે મોટા ભાઇ મુકેશભાઇ દિનેશને ઉઠાડવા આવ્યા ત્યારે તે લટકતો જોવા મળતાં કલ્પાંત સર્જાયો હતો.

દિનેશે ચિઠ્ઠીમાં લખ્યું છે કે  સુમિતા ગઇ ત્યારે પોતે પાછી આવી જ જશે તેમ કહી ત્રણેય છોકરાના સમ ખાઇને ગઇ હતી. પણ હજુ સુધી પાછી આવી નથી. આ લખાણ જતાં દિનેશે પત્નિ પાછી ન આવતા માઠુ લાગવાથી પગલું ભર્યાનું સમજાય છે.

(12:54 pm IST)