Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

સગીરા અને તેના વિધવા માતાના દેહ અભડાવનારા પીરવાડીના મનોજ જેઠવાની આગવી ઢબે પુછતાછ

મેં વિધી કરી દોરા બાંધ્યા છે, તોડશો તો ધનોતપનોત નીકળી જશે..કહી વશીકરણ કર્યાનો ચોંકાવનારો આરોપ : સગીરાના ભાઇ સાથે ભાગીદારીમાં કારખાનુ ચાલુ કરી ઘરે આવ-જા શરૂ કરી : મોડી રાત્રે ઘરમાં પાટ બેસાડી દોરાધાગાની વિધી કરતો : મહિલા પોલીસે પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો

મહિલા પોલીસ મથકના પી.આઇ. પી. બી. સાપરા, પી.એસ.આઇ. વિઠ્ઠલાપરા, શૈલેષભાઇ કોરાટ અને સુધાબેન તથા ઇન્સેટમાં જેની ધરપકડ થઇ તે મનોજ જેઠવા જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૨: શહેરમાં ચોંકાવનારા કિસ્સામાં એક શખ્સે કારખાનાના પોતાના જ ભાગીદારની સગીર બહેન અને માતાને વશીકરણ કરી હવસનો શિકાર બનાવ્યો છે. મહિલા પોલીસે ગુનો દાખલ કરી આ ઢગાને ઝડપી લઇ આગવી ઢબે કાયદાનું ભાન કરાવ્યું છે.

ભોગ બનનાર ૧૭ વર્ષની સગીરાએ પોલીસ સમક્ષ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું ઘરકામ કરુ છું અને બે બહેન તથા એક ભાઇમાં નાની છું. પિતા હયાત નથી. મારા મોટાબાપુના સાળાનો દિકરો મનોજ મનુભાઇ જેઠવા જે મારા માતાનો છેટેથી ભત્રીજો થાય છે અને તે ગોંડલ ચોકડી પીરવાડીથી આગળ ગણેશ મારબલવાળી શેરીમાં રહે છે. મનોજ સાથે મારા ભાઇએ સબમર્શીબલના ફટરનું કારખાનુ ભાગીદારીમાં શરૂ કર્યુ હતું. કારખાનુ ચાલુ કર્યા બાદ તે અવાર-નવાર અમારી ઘરેઅ ાવતો જતો હતો અને અમારી ઘરે ઘણીવાર જમી પણ લેતો હોઇ ઘર જેવા સંબંધ બંધાયા હતાં. મનોજ માતાજીમાં ખુબ માનતો હોઇ જેથી તેણે 'તમારા ઘરમાં વાંધો છે, તમારા ઘરમાં રૂપિયા ટકતા નથી' તેવી વાતો કરી આજથી ચારેક મહિના પહેલા અમારા ઘરના બધાને દોરા બાંધ્યા હતાં. આવા દોરા અમારા ઘરના મંદિર અને ઉંબરા ઉપર પણ બાંધ્યા હતાં. અમારા ઘરે મોડી રાત સુધી પાટ રાખી આંખો બંધ કરીને બેસી રહેતો હતો અને બહુ મોડુ થઇ જાય તો રાત્રે અમારી ઘરે જ સુઇ જતો હતો.

મનોજે અમને બધાને દોરા ધાગા કર્યા હોઇ જેથી અમે બધા તેના વશમાં આવી ગયા હતાં. તે જેમ કહે એમ જ અમે કરતાં હતાં. મનોજ કહેતો કે આ માતાજીનો દોરો પહેરી રાખશો તો તમારા પર માતાજીની ખુબ કૃપા થશે અને જો દોરા તોડી નાંખશો તો ધનોત પનોત નીકળી જશે! એ પછી બે મહિના પહેલા એક દિવસે મનોજે મારા માતાને કહેલ કે મારા ઘરે થોડુ કામ કવાનું છે તો તમારી દિકરીને સાથે મોકલો. પણ મારા મમ્મીએ ના પાડવા છતાં તે મને બપોરના સમયે સાડા બારેક વાગ્યે પરાણે લઇ ગયો હતો. મનોજ તેના ઘરના ઉપરના રૂમમાં મને લઇ ગયો હતો અને પલંગ પર સુવાનુ કહેલ. વશીકરણ કરેલુ હોઇ જેથી તેણે જેમ કહ્યું તેમ મેં કર્યુ હતું. એ પછી તેણે મારી સાથે ખરાબ કામ કર્યુ હતું અને મને ઘરે મુકી ગયો હતો.

એ પછી દર બુધવારે બપોરના સમયે તે મને તેના ઘરે લઇ જતો હતો ખરાબ કામ કરી પાછી મુકી જતો હતો. બે મહિનામાં આશરે પાંચ-છ વખત તેણે આવુ કર્યુ હતું. દોરા બાંધી વશીકરણ કર્યુ હોઇ જેથી કોઇને કંઇ કહેવું હોય તો પણ હું કંઇ કહી શકતી નહિ. દોઢેક માસ પછી મનોજે મેને મોબાઇલ ફોન લઇ દીધો હતો. દરમિયાન આજથી આઠ-દસ દિવસ પહેલા મારા ભાઇ અને માતાએ મનોજે બાંધેલા દોરા છોડી નાંખ્યા હતાં. જેથી તે બંને વશીકરણમાંથી નીકળી ગયા હતાં. એ પછી મનોજ મને તેડવા આવતાં બંનેએ તેનો વિરોધ કરતાં મનોજે તેને મારી નાંખવાની ધમકી આપી હતી અને મને પરાણે લઇ જઇ દોરો છોડવા દીધો નહોતો. રોજ સવારે કંકુનો ચાંદલો આ દોરાને કરવાનો અને ત્રણ અગરબત્તી કરવાનું તેણે કહ્યું હોઇ હું કરતી હતી.

છેલ્લે ૧૩/૨ના મહાશિવરાત્રીના દિવસે મનોજ મને ફરીથી તેના ઘરે લઇ ગયેલ અને ખરાબ કામ કર્યુ હતું. મારા ભાઇએ ઘરના મંદિર અને ઉંબરેથી પણ દોરા તોડી નાંખ્યા હતાં. ૧૮/૨ના મનોજે મારા ભાઇને ફોન કરી ધમકી આપેલ કે દોરા તોડી નાંખ્યા છે ને હવે તમારા દિવસો ગણવાનું ચાલુ કરી દેજો. એ પછી ૧૯/૨ના મારા માતા-ભાઇ અને શેરીવાળાએ મને પકડીને પરાણે મારો દોરો તોડી નાંખ્યો હતો. જેથી હું વશીકરણમાંથી બહાર આવતાં મનોજે ખરાબ કામ કર્યાની વાત માતા-ભાઇને કરી હતી. બાદમાં મારા માતાએ પણ વાત કરેલ કે અઢી મહિના પહેલા તેની સાથે પણ મનોજ રાત્રે ઘરે રોકાયો હતો ત્યારે ખરાબ કામ કર્યુ હતું. તેમજ જોઇ કોઇને વાત કરી તો ત્રણેય સંતાનને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. અમે બનાવ અંગે જ્ઞાતિના જાગૃત કાર્યકર મહિલાને વાત કરતાં અમને મહિલા પોલીસ મથકે લાવવામાં આવતાં અંતે ફરિયાદ કરી હતી.ડીસીપી ડો. કરણરાજ વાઘેલાની રાહબરીમાં પી.આઇ. પી.બી. સાપરા, સુધાબેન, હાજીભાઇ, શૈલેષભાઇ, પી.એસ.આઇ. એમ.ડી. વિઠ્ઠલાપરા સહિતની ટીમે આઇપીસી ૩૭૬, ૫૦૬ (૨), ૫૦૭ તથા પોસ્કો હેઠળ ગુનો નોંધી હવસખોર મનોજ જેઠવા (ઉ.૩૩)ની ધરપકડ કરી છે. મનોજ પોતે કારખાનામાં કામ કરે છે.

બળાત્કાર ગુજારનાર મનોજના છુટાછેડા થઇ ગયા છે

. પોલીસે જેની ધરપકડ કરી છે તે મનોજે અગાઉ લગ્ન કર્યા હતાં. દસ વર્ષની એક દિકરીનો પિતા છે. જો કે તેના પત્નિ સાથે છુટાછેડા થઇ ચુકયા છે.

(4:01 pm IST)