News of Tuesday, 22nd January 2019
તસ્વીરમાં પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા અને ટીમ તથા ઇન્સેટમાં તુલસી સોલંકી જોઇ શકાય છે
રાજકોટ તા.૫: ઢેબર રોડ પર પ્લેનરી આર્કેડમાં કલાસિક આર્ટ નામે ઓફિસ ધરાવતાં અને પ્લેનરી આર્કેડના એસોસિએશનનો કાર્યભાર સંભાળતા વેપારી અમિતભાઇ બટુકભાઇ દોશી (ઉ.૪૦) નામના વણિક યુવાન સહિતના લોકોને વિશ્વાસમાં લઇ જુદી-જુદી રકમો ઉછીની લીધા બાદ પરત ન આપી કુલ રૂ. ૧ કરોડ ૪૫ લાખની ઠગાઇ કરી ટેકસ સલાહકાર પિતા-પુત્ર રફુચક્કર થઇ જતાં ભકિતનગર પોલીસે આ મામલે સાડા ત્રણ વર્ષ પહેલા એપ્રિલ-૨૦૧૬માં રૂ. ૧ કરોડ ૪૫ લાખની ઠગાઇનો ગુનો ટેકસ સલાહકાર તુલસી ઇશ્વરભાઇ સોલંકી (દરજી) (ઉ.૫૯-રહે. ભકિતનગર સોસાયટી માર્ગ નં. ૧) તથા તેના પુત્ર મિહીર સોલંકી સામે દાખલ કર્યો હતો. તપાસમાં આ બંને બાપ-દિકરાએ કુલ ૨૩ લોકો સાથે ૧૩ કરોડની ઠગાઇ કર્યાનું જે તે વખતે ખુલ્યું હતું. સાડા ત્રણ વર્ષથી સતત ફરાર એવા તુલસી સોલંકીને અમદાવાદથી ઝડપી લેવાયો છે. નાણા વ્યાજમાં અને હવાલામાં વપરાઇ ગયાનું અને પોતે આટલો સમય સુધી ધાર્મિક સ્થળોએ ઘૂમતા રહ્યાનું રટણ શરૂ કર્યુ હોઇ પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે.
બનાવ અંગે પોલીસે અમિતભાઇની ફરિયાદ પરથી પ્લેનરી આર્કેડમાં જ બીજા માળે ઓફિસ નં. ૨૨૫ થી ૨૨૯માં બેસતાં ટેકસ સલાહકાર તરીકે કામ કરતાં તુલસીભાઇ ઇશવરભાઇ સોલંકી અને તેના પુત્ર મિહીર તુલસીભાઇ સોલંકી સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો. ફરિયાદી અમિતભાઇના જણાવ્યા મુજબ એક જ કોમ્પલેક્ષમાં ઓફિસ હોવાથી તેને અને તુલસીભાઇને મિત્રતા અને વેપારી તરીકેના સારા સંબંધો હતાં. જુન ૨૦૧૪માં તુલસીભાઇ અને તેના દિકરાએ ધંધાના વિકાસ માટે પૈસાની જરૂર હોવાનું કહેતાં અમિતભાઇએ વિશ્વાસે ૪ લાખ દીધા હતાં. તેની પ્રોમીસરી નોટ પણ રૂ. ૧૦૦ના સ્ટેમ્પ પેપર પર લખી આપી હતી. જો કે મુદ્દત વિતવા છતાં આ પિતા-પુત્ર પૈસા પાછા આપતા નહોતાં. વારંવાર ઉઘરાણી કરતાં એક ચેક આપ્યો હતો. તે ચેક પણ રિટર્ન થઇ ગયો હતો.
ત્યારબાદ બંનેએ ઓફિસે આવવાનું બંધ કરી દીધુ હતું. તેના રહેણાંકે ભકિતનગર સર્કલ પાસે તપાસ કરતાં ત્યાં પણ મળ્યા નહોતાં. વધુ તપાસ કરતાં ખબર પડી હતી કે આ બંને પિતા-પુત્ર હર્ષદભાઇ રમણિકલાલ ચોૈહાણના રૂ. ૧૦ લાખ, બિપીનભાઇ ડોબરીયાના રૂ. ૨૫ લાખ, અનિલભાઇ પોપટભાઇ અદોદરીયાના રૂ. ૧૦ લાખ, વજુભાઇ પિતાંબરભાઇ ઘેટીયાના રૂ. ૧૧,૫૦,૦૦૦, કૃષ્ણભાઇ ભગવાનજીભાઇ પરસાણીયાના રૂ. ૩ લાખ, મનસુખભાઇ અદોદરીયાના રૂ. ૧,૫૦,૦૦૦, પોપટલાલ મનજીભાઇ અદોદરીયાના રૂ. ૬ લાખ મળી કુલ ૧ કરોડ ૪૧ લાખના ઉઘરાણા કરી ભાગી ગયાનું પ્રથમ ફરિયાદમાં નોંધાયું હતું. એ પછી બીજા ભોગ બનનારા પણ સામે આવતાં કુલ તેર કરોડની ઠગાઇનું લિસ્ટ થયું હતું.
દરમિયાન ભાગડુ આરોપીઓને શોધી કાઢવાની સુચના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી જે. એસ. ગેડમે આપી હોઇ આ ગુનામાં ફરાર તુલસી સોલંકી અમદાવાદ આવ્યાની પાક્કી માહિતી પી.આઇ. વી. કે. ગઢવીને મળતાં તેમણે તાકીદે ટીમ રવાના કરી હતી અને કાગડાપીઠ પોલીસના પી.આઇ. મોદી તથા પીએસઆઇ ડી.વી. ખરાડીની મદદથી તુલસીને પકડી લઇ ધરપકડ કરી છે. પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, મહેન્દ્રસિંહ ડોડીયા, હિરેનભાઇ પરમાર, સલિમભાઇ મકરાણી, કોન્સ. વાલજીભાઇ જાડા, વિક્રમભાઇ ગમારા, રાજેશભાઇ ગઢવી, હિતેષભાઇ અગ્રાવત સહિતે આ કાર્યવાહી કરી હતી.
પ્રાથમિક પુછતાછમાં તુલસી સોલંકીએ એવુ રટણ કર્યુ છે કે જે તે વખતે પોતાની મોટી રકમ વ્યાજ ભરવામાં ગઇ હતી અને હવાલામાં પણ નાણા ગુમાવી દીધા હતાં. જુદા-જુદા લોકો પાસેથી ઉઘરાવેલા કરોડો રૂપિયા હાથમાંથી આ રીતે ગુમાવી બેસતાં પોતે અને પુત્ર નીકળી ગયા હતાં. પોતે હરિદ્વાર, વારાણસી, એમપીના ધાર્મિક સ્થળો અને નર્મદાની યાત્રામાં આટલો સમય વીતાવ્યો હતો. અમદાવાદના સરગાસણ ગામે સરણમ રેસિડેન્સીમાં કેટલાક સમયથી મકાન રાખ્યું હતું અને ત્યાં રહેતો હતો. ખરેખર કરોડો રૂપિયા કયાં નાંખ્યા? તેનો પુત્ર મિહીર કયાં છે? સહિતના મુદ્દાઓની તપાસ કરવાની હોઇ ૧૪ દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે. (૧૪.૮)