Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ગમે તે રોગ હોય ડરો નહિઃ તમારી હિમત જોઇ કોરોના'ય ભાગી જશેઃ તુલસીભાઇ સાપરીયા

સમરસમાં શ્રેષ્ઠ સારવાર અને સવલતોના માર્ક આપવાના હોય તો ૧૦ માંથી ૧૦ જ હોયઃ દર્દીના પુત્ર કંદર્પ સાપરીયા

રાજકોટ : વિશ્વભરમાં કોવિડ-૧૯ ના પ્રકોપને કારણે અનેક લોકો ચિંતિત છે, પરંતુ તમારી ચિંતા કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવી શકે છે ?? જો એવું નથી થતું તો શા માટે તમારાં જીવનની અમૂલ્ય ક્ષણોને ચિંતામાં વેડફી નાખો છો ! કોઈપણ રોગથી ડર્યા વિના તેનો હીંમતપૂર્વક સામનો કરશું તો રોગ આપણું મનોબળ જોઈને જ ભાગી જશે...આ સકરાત્મક શબ્દો છે તાજેતરમાં જ માત્ર ૬ દિવસમાં કોરોનાને મહાત આપી સ્વગૃહે પરત ફરનારા ૬૬ વર્ષીય વડીલ તુલસીભાઈ સાપરિયાના.

સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે ૫ દિવસની સારવાર બાદ કોરોનામુકત બનેલા તુલસીભાઈ સાપરિયા અને મધુબેન સાપરિયાના પુત્ર કંદર્પભાઈએ જણાવ્યું હતું કે, 'સૌપ્રથમ મારા પપ્પાને માથાનો દુઃખાવો અને જમવામાં સ્વાદ ન આવવા જેવાં લક્ષણો જણાતાં તેમણે તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે રેપીડ ટેસ્ટ કરાવતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ઘરમાં મમ્મી અને પપ્પા બે જ રહેતાં હોવાથી મમ્મીનો રિપોર્ટ પણ કરાવ્યો અને એમને પણ કોરોના છે એ ખ્યાલ આવ્યો. હું વ્યવસાય અર્થે ગાંધીનગર રહું છું અને ઘરે મમ્મી-પપ્પા બન્નેને કોરોના પોઝિટિવ આવતાં તેમની કાળજી કોણ રાખશે એ પહેલો પ્રશ્ન ઉદ્દભવ્યો. પરંતુ અનેક લોકોનાં અભિપ્રાય અને સલાહ બાદ અંતે અમે સમરસ ખાતે દાખલ થવાનું નક્કી કર્યું.' અહીં અમારી ધારણા કરતાં અનેકગણી સારી સુવિધા અમને પ્રાપ્ત થઈ છે.' તુલસીભાઈ અને મધુબેન ૬૦ વર્ષ વટાવી ચૂકયાં હોવા છતાંય અન્ય કોઈ બીમારીથી પીડાતાં નથી અને સંપૂર્ણ તંદુરસ્ત છે. દ્રઢ વિશ્વાસ અને સકારાત્મક વિચારોના જોરે આજે તેઓ કોરોનાને હરાવીને પોતાનાં ઘરે પરત ફરી ચૂકયાં છે.

(3:08 pm IST)