Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલમાં સ્થળાંતરિત ગાયનેક વિભાગની ઓપીડીમાં ૯૭૬ મહિલા દર્દીઓ નોંધાયા

કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી ૧૮ પ્રેગનેન્ટ મહિલાઓના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવાતાં બે પ્રસુતા મહિલાઓ પોઝીટીવ- બંને મહિલાઓને સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાઇ

રાજકોટ તા.૨૧: વિશ્વવ્યાપી કોરોનાની મહામારીને કાબુમાં રાખવા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર દ્વારા છેલ્લા એક વર્ષમાં અનેક વિધ પગલા લેવામાં આવ્યા છે. જેમાં જિલ્લા કક્ષાની કોવિડ હોસ્પિટલ, ઓકિસજન, વેન્ટિલેટર, એમ્બ્યુલન્સ, ધન્વંતરી-સંજીવની આરોગ્ય રથ, કોરોના ટેસ્ટ અને તે માટેની લેબોરેટરી સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લામાં પણ જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સર્વશ્રેષ્ઠ કામગીરી છેલ્લા એક વર્ષમાં કરાઇ છે.

હાલ ૨૦૨૧ માં પણ કોરોનાની બીજી લહેરમાં પણ વહિવટી તંત્ર દ્વારા કોરોના દર્દીઓને ઉત્ત્।મ સારવાર મળી રહે તે માટેના તમામ પ્રયોસો થઇ રહયા છે. તંત્ર દ્વારા લોકોની ચિંતા કરવામાં આવી રહી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ, અર્બન આરોગ્ય કેન્દ્રો ઉપરાંત પેલેસ રોડ ઉપર આવેલ પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલમાં પણ આરટીપીસીઆર અને રેપિડ એન્ટિજન ટેસ્ટ થઇ રહયા છે.

રાજકોટની મહિલાઓની પ્રસુતા માટેની ઝનાના હોસ્પિટલ ગત તા.૧૦.૪.૨૧થી પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલમાં સ્થળાંતરિત કરાયો છે. આમ તો આ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ, કોવિડ વેકસિનેશન કોરોનાના શંકાસ્પદની સારવાર, ફલુ ઓપીડી સાથે તમામ નોન કોવિડની જ કામગીરી થઇ રહી છે. નોન કોવિડની તમામ કામગીરીની સાથે રેપ કેસના દર્દીઓની ચકાસણી તેમજ સારવાર પણ ઉપલબ્ધ છે. ગાયનેક વિભાગ સિફટ થતાં દસ દિવસમાં ૯૭૬ ઓપીડી રહી છે. આ પૈકી કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી ૧૮ પ્રેગનેન્ટ મહિલાઓના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવાતાં બે પ્રસુતા-મહિલાઓ પોઝીટીવ આવી હતી. જેથી આ બંને મહિલાઓને સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાઇ હતી.

આ ઉપરાંત સેન્ટર ઉપર આશરે તબીબો, પેરા મેડિકલ સ્ટાફ, હાઉસ કીપીંગ અને અટેન્ડન્સ સતત છેલ્લા એક વર્ષથી રાત દિવસ દર્દીઓની સેવા કરી રહયા છે. દર્દીઓને નિદાન-સારવાર, ઓકિસજન બધુ જ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવે છે. આ માટે રાજય સરકાર તમામ પ્રકારની મદદ કરી રહી છે. ગાયનેક વિભાગ ઉપરાંત વૃધ્ધ લોકો માટે પણ વિશેષ સુવિધા છે. તેમ ઇન્ચાર્જ આરએમઓ ડો.નુતન લુંગાતર અને એડમિનિસ્ટ્રેટર ડો.ખ્યાતિ દવેએ જણાવ્યુ હતું.

(4:12 pm IST)