Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

મ્યુ. કોર્પોરેશનના વાલ્વ કૌભાંડમાં ૧૧ કોન્ટ્રાકટરો-મજૂરો-વેપારી સામે ગુનો નોંધાયા બાદ ક્રાઇમ બ્રાંચના ઠેર-ઠેર દરોડા

સિવિલ એન્જિનીયરની ફરિયાદ પરથી ૪,૦૮,૯૩૫ના વાલ્વ બારોબાર વેંચી નાંખી ઠગાઇ થયાનો ગુનોઃ બે ટીમો કામે લાગી

રાજકોટ તા. ૨૦:મ્યુનિસિપલ કોર્પોરેશનના વાલ્વ કૌભાંડમાં સિવિલ એન્જિનીયરની ફરિયાદ પરથી અંતે ડીસીબી પોલીસ મથકમાં કોન્ટ્રાકટરો, મજૂરો સહિતના ૧૧ સામે આઇપીસી ૪૦૬, ૪૦૮, ૪૦૯, ૧૧૪ મુજબ વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો છે. ક્રાઇમ બ્રાંચની જુદી-જુદી બે ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીઓમાં જેના નામ છે તેને શોધી કાઢવા દરોડા પાડ્યા છે.

ડીસીબી પોલીસ સ્ટેશનમાં મ્યુ. કોર્પોરેશનના સિવિલ એન્જિનીયર હિતેષભાઇ હસમુખભાઇ ટોળીયા (ઉ.૫૦)ની ફરિયાદ પરથી નવા થોરાળા વણકરવાસ-૬માં રહેતાં મહાનગર પાલિકાના વાર્ષિક ઝોનલ કોન્ટ્રાકટર લાલજી નથુભાઇ પરમાર, પેટા કોન્ટ્રાકટર મોહન ભલાભાઇ, મહાવેદ ડેવલોપર્સના મજૂર રમેશ ધરમશીભાઇ ઉદેશા (રહે. વેજાગામ વાજડી), વિનુ નારણભાઇ મેણીયા, રૈયા ગામ હુશેની ચોકના કરસન તેજાભાઇ મેરીયા, વેજાગામ સો વારીયા પ્લોટના જેન્તી ભાણાભાઇ માલકીયા, નાના મવા રોડ શિવગંગા સોસાયટીમાં રહેતાં પ્રિયા કન્સ્ટ્રકશનવાળા દિનેશ રામજીભાઇ વાણીયા, આરટીઓ પાછળ શ્રીરામ સોસાયટી-૭માં રહેતાં ચામુંડા કન્સ્ટ્રકશનવાળા લક્ષમણ કરસનભાઇ ચોૈહાણ,    રૈયા ગામ ડો. બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે રહેતાં દેવ કન્સ્ટ્રકશનવાળા દેવજી તેજાભાઇ મેરીયા, મવડી ધરમનગર-૧માં રહેતાં બજરંગ કન્સ્ટ્રકશનવાળા નરેશ વિનુભાઇ મેરીયા અને વાલ્વ ખરીદનાર ગરેડીયા કુવા રોડ પર આવેલા શિતલ સેનેટરી સ્ટોરવાળા બુરહાન સિદ્દીકઅલી દારૂગલી સામે ગુનો દાખલ કરાયો છે.

ફરિયાદમાં જણાવાયું છે કે ઉપરોકત ૧૧ પૈકીના ૧ થી ૧૦ રાજકોટ મહાનગર પાલિકાના વાર્ષિક ઝોનલ કોન્ટ્રાકટરો હોઇ  અને પોતાના કોન્ટ્રાકટ નિયમ મુજબ જે તે વિસ્તારમાં પાણીની પાઇપ લાઇનના વાલ્વ ખરાબ હોય તો જે તે વિસ્તારના એન્જિનીયર પાસેથી ઇન્ડેન મેળવી ફરિયાદી સિવિલ એન્જિનીયર હિતેષભાઇ ટોલીયાના હવાલાના સેન્ટ્રલ સ્ટોરમાંથી ૧૦૦ મી.મી. ડાયામીટરના તથા ૧૫૦ મી.મી. ડાયામીટરના વાલ્વ લઇ જતાં હતાં. આ રીતે રૂ. ૪,૦૮,૯૩૫ના વાલ્વ આ લોકોએ મેળવી જે તે જગ્યાએ નહિ લગાડી તેની બદલે સસ્તા ભાવના વાલ્વ લગાડી દીધા હતાં. મોંઘા વાલ્વ ગરેડીયા કુવા રોડ પરના વેપારી બુરહાન સિદ્દીકઅલી દારૂગલીને વેંચી દઇ દુરવિનીયોગ કરી વિશ્વાસઘાત કરાયાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદમાં જણાવાયું છે કે અમારી ફરજમાં રાજકોટ મનપામાં વપરાતા કાસ્ટ આયર્ન અને ગેલ્વેનાઇઝ આર્યનની આઇટમો ખરીદવી તેમજ જુદા-જુદા વોર્ડના ડીઇઇની ઇન્ેડન ઉપરની માંગણી મુજબ તેને ઇશ્યુ કરવાની અને સ્ટોક મેળવવાની જવાબદારી છે. ૨૬/૯ના રોજ અમારા ધ્યાને આવેલ કે સ્ટોરમાં રહેલા વાલ્વમાંથી ૩૦ નંગ વાલ્વ મેળવીને કોન્ટ્રોકટરોને અપાયા છે. તપાસ કરતાં આ કોન્ટ્રોકટરોએ કોર્પોરેશનમાંથી મેળવેલા કિંમતી વાલ્વ જે તે ફોલ્ટની જગ્યાએ ફીટ નહિ કરી તેની જગ્યાએ પોતાની રીતે શિતલ સેનેટરીવાળા બુરહાન સિદ્દીકઅલીને વેંચી દઇ આ વાલ્વની કિંમત મેળવી પોતાના ઉપયોગમાં લઇ આર.એમ.સી. સાથે વિશ્વાસઘાત કર્યો છે. આ બાબતે મનપા કમિશ્નરશ્રીને જાણ કરતાં વીજીટેશન ટેકનીકલ ઓફિસર હિમાંશુ દવે તથા સુરક્ષા અધિકારી આર. બી. ઝાલાએ તપાસ કરતાં અહેવાલ તૈયાર કરી કમિશ્નરશ્રીને અપાયો હતો. 

 વિજીટેશન ટેકનિકલ ઓફિસરે તપાસ કરી ૨૫ વાલ્વ કબ્જે કર્યા છે. જેમાં ૨૧ વાલ્વ અમાર સ્ટોરના ગેટ પાસમાં દર્શાવેલા છે. ૪ વાલ્વના બોડી નંબર ગ્રાઇન્ડરથી છેકી નંખાયા છે. ૬વાલ્વ હાલ છત્રપતિ શિવાજી ટાઉનશીપ રેલનગરમાં બને છે તેમાં લગાડાયા છે. ૩૧ વાલ્વની કિંમત ૪,૦૮,૯૩૫ થાય છે. જેમાં ૧૦૦ મીમી ડાયામીટરના એક વાલ્વની કિંમત રૂ. ૭૯૯૦ છે જ્યારે ૧૫૦ મીમીના વાલ્વની કિંમત ૧૩૧૪૦ છે. આવા વાલ્વ કૌભાંડીઓએ બારોબાર વેંચી તેની જગ્યાએ જુના હલકા વાલ્વ વાપર્યા હતાં. 

એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પી.એસ.આઇ. પી.એસ.આઇ. એચ.બી. ધાંધલ્યા, હેડકોન્સ. ચેતનસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, કોન્સ. સામતભાઇ ગઢવી સહિતે તપાસ હાથ ધરી છે. બે ટીમો બનાવી આરોપીઓમાં જેના નામ છે તેને ઝડપી લેવા દરોડા પાડવામાં આવ્યા છે.

(4:07 pm IST)