Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ત્રિમાસીક રીટર્ન ભરવાની મર્યાદા અઢી કરોડ સુધીની કરો

રાજકોટ મશીનરી ડીલર્સ એસો. દ્વારા પ્રિ-બજેટ મેમોરેન્ડમ સુપ્રત : વારંવાર પોર્ટલમાં સર્જાતી ખામી તેમજ વ્યાજ આકરણીની બેવડી નીતી સહીત ૧૨ મુદ્દાઓ પર નાણામંત્રીને કરાયા સુચનો

રાજકોટ તા. ૨૧ : આગામી દિવસોમાં રજુ થનાર રાજયના ૨૦૨૦-૨૧ ના વર્ષના બજેટમાં સુચવવા જોગ મુદ્દાઓ ટાંકીને રાજકોટ મશીનરી ડીલર્સ એસોસીએશન દ્વારા પ્રિ-બજેટ મેમોરેન્ડમરૂપે નાણામંત્રીશ્રી નિતિનભાઇ પટેલને ૧૨ મુદ્દાનો પત્ર પાઠવવામાં આવ્યો છે.

એસો.ના પ્રમુખ મનસુખભાઇ પટેલ અને માનદમંત્રી અશ્વિનભાઇ પટેલે ટુ ધ પોઇન્ટ રજુઆતમાં ડીઝલ એન્જીનના  વ્યવસાયને તુટતો બચાવવા જીએસટી દર ૧૮% છે તે ઘટાડીને પ % કરી આપવા, વેટના એસસમેન્ટ ઓર્ડર તેમજ જી.એસ.ટી.ના એસએસમેન્ટ ઓર્ડર ઘણા સમયથી આવતા જ ન હોય  નકકર વ્યવસ્થા ગોઠવવા, લમસમ વેરો ધરાવતા વેપારીઓ આંતરરાષ્ટ્રીય ખરીદી કરી શકે તે માટે ખાસ જોગવાઇ કરવા, વારંવાર પોર્ટલમાં સર્જાતી ખામીનો પ્રશ્ન હલ કરવા રજુઆત કરી છે.

જી.એસ.ટી. સર્વર એક જ હોવાથી દરેક રાજયોને છેલ્લા દિવસોમાં રીટર્ન ફાઇલ કરવામાં ખુબ વિલંબ થતો હોય દરેક રાજય માટે અલગ સર્વરની વ્યવસ્થા કરવા પણ ધ્યાન દોરેલ છે.

ત્રિમાસીક રીટર્ન ભરવાની લીમીટ દોઢ કરોડ છે તે બે થી અઢી કરોડની કરવા, પત્રકો ભરવામાં વિલંબ થયે લાગતી પેનલ્ટી રૂ.૧૦ હજારને બદલે રૂ.૫ હજાર સુધીની વસુલવા તેમજ ભરેલ ટેક્ષનું રીફંડ ચુકવવાનું થાય તો તંત્ર ૬% વ્યાજ લેખે ચુકવે અને વેપારી પાસેથી વ્યાજ વસુલ કરવાનું થાય તો ૧૮% વસુલવામાં આવે છે તે મોટો તફાવત અયોગ્ય હોય આ બાબતે પણ યોગ્ય કરવા સુચન કરેલ છે.

કુલ ૧૨ મુદ્દાઓ પર રાજકોટ મશીનરી ડીલર્સ એસો.ના પ્રમુખ મનસુખભાઇ પટેલ (મો.૯૪૨૮૨ ૫૬૬૬૬) અને માનદમંત્રી અશ્વિનભાઇ પટેલ (મો.૯૪૨૮૨ ૦૧૦૬૨) એ રજુઆત કરી છે. (૧૬.૫)

રાજકોટ, તા. ૨૧ :. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ઈડીઆઈઆઈ તથા યશ બેન્કના સંયુકત ઉપક્રમે વેપાર-ઉદ્યોગ સાહસિકોને પારિવારિક વ્યવસાયમાં લીડરશીપ સ્કીલનો વિકાસ કેવી રીતે કરવો ? તે બાબત આગામી પેઢીને ઉપયોગી એવી જાણકારી માટે સેમિનાર યોજવામાં આવેલ. સેમિનારના પ્રારંભે રાજકોટ ચેમ્બરના પૂર્વ પ્રમુખ શિવલાલભાઈ બારસીયા દ્વારા પ્રાસંગીક ઉદબોધન કરવામાં આવેલ ત્યાર બાદ ઈડીઆઈઆઈના વિજયભાઈ પટેલે તેમના ઈન્સ્ટીટયુટની જાણકારી આપેલ તથા યશ બેન્કના એકઝીકયુટીવ વાઈસ પ્રેસિડેન્ટ મેહુલભાઈ મહેતાએ યશ બેન્કની બેન્કીંગ સેવાઓનો ખ્યાલ આપેલ.

બાદ સેમિનારના વકતા ડો. હિતેશ શુકલાએ આજે મોટા ભાગની પેઢીઓ ફેમીલી બીઝનેશ રીલેશનશીપ સાથે જોડાયેલ છે. તેમા પ્રશ્નો કેવી રીતે ઉભા થાય છે તેનો ખ્યાલ આપી પારિવારિક વ્યવસાયમાં નેતૃત્વનું પાલન કરતી દેશની વિવિધ કંપનીઓએ કરેલ નોંધપાત્ર વિકાસ અને કેટલીક કંપનીઓમાં નેતૃત્વના અભાવના કારણે આવી કંપનીઓને થયેલ નુકશાનના દ્રષ્ટાંત સાથે ખ્યાલ આપેલ. ઉપરાંત વ્યવસાય પેઢીઓના આગેવાનોને વિકસાવવા માટે શું કરી શકાય, આગામી પેઢીના આગેવાનો કેવી રીતે આદર મેળવી શકે, આગામી પેઢીના આગેવાનો પરિવારથી પોતાને અલગ પાડવાના અંગત વિકાસના કાર્યને કેવી રીતે કરી શકે, મલ્ટીનેશનલ ફેમીલી બિઝનેશમાં ઉદ્ભવતા પ્રશ્નો, વિકાસ અને વિસ્તરણ માટે હાલની અડચણો અને સમસ્યાઓનો સામનો કેવી રીતે કરવો, પારિવારીક ધંધા-વ્યવસાયમાં ઉતરાધિકાર અને પરિવર્તન બાબત તથા પારિવારીક ધંધા-વ્યવસાયમાં સંભવિત આગામી પેઢીના સૂત્રધારોના વિકાસ અને સંકલન કેવી રીતે કરવું વગેરે, પારિવારીક વ્યવસાયના નેતૃત્વને સ્પર્શતી બાબતો અંગે સૌને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતગાર કરેલ અને ઉપસ્થિત વેપારી પ્રતિનિધિઓ દ્વારા પૂછાયેલ પ્રશ્નોના વિગતવાર જવાબો આપેલ.

સમગ્ર સેમિનારનું સંચાલન રાજકોટ ચેમ્બરના માનદમંત્રી નૌતમભાઈ બારસીયાએ કરેલ તથા આભારવિધિ રાજકોટ ચેમ્બરના કારોબારી સભ્ય મયુરભાઈ આડેસરાએ કરેલ તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:41 pm IST)