Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

શ્રેષ્ઠતાની મોનોપલી કોઈ એક વ્યકિતની નથી હોતી, દરેક વ્યકિત શ્રેષ્ઠ બની શકે છેઃ પૂ.નમ્રમુનિ મ.સા.

પૂ.નમ્રમુનિ મ.સા.ની જંકશન પ્લોટ સંઘમાં પધરામણી

રાજકોટ,તા.૨૧: આત્મગુણોનાં શ્રેષ્ઠ સ્થાન પર બિરાજમાન થઈને અનેક અનેક પામર જીવોને શ્રેષ્ઠતાના માર્ગ તરફ દોરી જઈ રહેલાં રાષ્ટ્રસંત પૂજયશ્રી નમ્રમુનિ મ.સા. રાજકોટનાં શ્રી જંકશન પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘમાં પધારતા સમગ્ર સંઘે અંતરના ઉમળકા અને અત્યંત ભકિતભાવે એમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રસંત પૂજયશ્રીના આગમનને વધાવવા શ્રી સંઘનાં બહેનોએ મસ્તકે કલશ ધારણ કરીને જયકાર ગજાવતાં સ્વાગત સામૈયુ કર્યુ હતું.

લાંબા સમય પછી શ્રી સંઘમાં રાષ્ટ્રસંત પૂજયશ્રીના આગમન સાથે પાંચ વર્ષ પછી સૌરાષ્ટ્ર-રાજકોટમાં પધારેલાં પૂજય શ્રી સુમતિબાઈ મ. આદિ થાણા – ૫ નો પાવન યોગ સર્જાતાં શ્રી સંઘમાં આનંદ પ્રસરાયો હતો. એ સાથે જ, દીર્ઘ કાલિન દીક્ષા પર્યાયી પૂજયશ્રી ધીરજમુની મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂજય શ્રી જયોત્સનાબાઈ મ. પણ આ અવસરે વિશેષ ભાવો સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ અવસરે રાષ્ટ્રસંત પૂજયશ્રીએ ઉપસ્થિત ભાવિકોને બોધ આપતાં સમજાવ્યું હતું કે, વિસ્તાર ચાહે કોઈ પણ હોય, સ્થાન ચાહે કોઈ પણ હોય પરંતુ ધર્મ પ્રત્યેનો હૃદયનો ઉત્સાહ ભાવ તે કર્મ નિર્જરા અને ધર્મ આરાધનાની શ્રેષ્ઠતાનું કારણ બનતું હોય છે.

મોટા ભાગના લોકો માત્ર બાહ્ય શરીરથી જ ધર્મ આરાધનામાં જોડાતાં હોય છે પરંતુ પરમાત્માએ બહારના દેખાતાં શરીરની સાથે ને સાથે જોડાએલાં કાર્મણ શરીર અને તેજસ શરીરની પણ વાત કરી છે. આજ સુધી આપણે માત્ર સ્થૂલ દ્રષ્ટિથી અને બાહ્ય શરીરથી જ પ્રભુને જાણતાં અને માણતાં રહ્યાં છીએ પરંતુ પ્રભુની એનર્જીક બોડીની પારાવાર ક્ષમતા વિશે જાણવાનો આપણે કયારેય પ્રયત્ ન જ નથી કર્યો. પરમાત્મા કહે છે, જેમ જેમ એનર્જીક બોડી પ્યોર થતું જાય છે તેમ તેમ આત્માની સહનશીલતાનો અને ક્ષમતાનો વિકાસ થતો જતો હોય છે.

પ્રભુ અને પ્રભુ ધર્મને માનનારાઓની સહનશીલતાનો દિવસે ને દિવસે વિકાસ થવો જોઈએ જયારે કે, આજે ઘર-ઘરમાં સહનશીલતા દિવસે ને દિવસે ઓછી થઇ રહી છે કેમકે, આજ સુધી આપણે પ્રભુ અને ધર્મના માત્ર બાહ્ય સ્વરૂપને નિહાળતાં રહ્યાં છીએ પરંતુ કયારેય ધર્મના અંતરગ રહસ્યોને જાણવાનો પ્રયત્ન જ નથી કર્યો. પ્રભુ કહે છે દરેક વસ્તુંનું, દરેક પરિસ્થિતિનું જયારે ચિંતન કરવામાં આવે છે ત્યારે જ એક વિઝનની પ્રાપ્તિ અને ક્ષમતા-સામર્થ્યનું પ્રાગટ્ય થતું હોય છે.

     પોતાની એનર્જીક બોડીને પ્યોર કરનારી જગતની કોઇપણ વ્યકિત પોતાની શ્રેષ્ઠતાનું પ્રાગટ્ય કરી શકતી હોય છે. શ્રેષ્ઠતા કોઇ એક વ્યકિતની મોનોપોલી કયારેય પણ નથી હોતી માટે જ પોતાની સેલ્ફને કદી નાની ન સમજીને એનર્જીક બોડીને પ્યોર કરીને શ્રેષ્ઠતાનું પ્રાગટ્ય કરવા માટે સહુએ પ્રયત્નશીલ રહેવું જોઈએ.

     આ અવસરે ડો. પૂજય શ્રી અમીતાબાઈ મહાસતીજીએ સુંદર ભાવોને અભિવ્યકત કરીને પ્રવચન આપ્યું હતું. આ અવસરે મુંબઈ ઘાટકોપર સંઘનાં મુકેશભાઈ કામદાર, રોયલ પાર્ક સંઘનાં પ્રમુખ  ચંદ્રકાન્તભાઈ શેઠ, સદર સંઘનાં  મધુભાઈ શાહ, ગોંડલ રોડ વેસ્ટ સંઘનાં  કિરીટભાઈ શેઠ, મહાવીર નગર સંઘનાં પ્રતાપભાઈ વોરા, શ્રી ઉવસગ્ગહરં સાધના ભવનનાં  સુશીલભાઈ ગોડા, સુજીતભાઈ ઉદાણી, મુંબઈ પરસધામના  જીગરભાઈ શેઠ સહીત વિશાળ સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી મનોજભાઈ ડેલીવાળાએ કર્યું. રાજકોટ મોટા સંઘ સંચાલિત જંકશન પ્લોટના યુવક મંડળ, મહિલા મંડળ તથા સંઘનાં અગ્રણીઓ વસંતભાઈ કામદાર, ભીખુભાઈ ભરવાડા, રાજુભાઈ મોદી, ઋષભભાઈ વખારીયા અને અનેક કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવવામાં મહેનત કરેલ. નવકારશીની વ્યવસ્થા શ્રી સંઘ દ્વારા રાખવામાં આવી હતી.(૩૦.૯)

(3:25 pm IST)