Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

આંબેડકરનગરમાં મનસુખભાઇ રાઠોડે ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી

નાના ભાઇએ બહારથી ફોન કરતાં રિસીવ ન થયોઃ ઘરે આવી જોયું તો મોટો ભાઇ લટકતો મળ્યોઃ બે માસુમ પુત્રોએ પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૨૯: ગોકુલધામ પાછળ આંબેડકરનગર-૧૩ બમાં રહેતાં રહેતાં મનસુખભાઇ ખીમજીભાઇ રાઠોડ (ઉ.૩૮) નામના યુવાને ઘરમાં પતરાની આડીમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ મોત મેળવી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

આપઘાત કરનાર મનસુખભાઇ પ્રાઇવેટ નોકરી કરતો હતો અને ત્રણ ભાઇમાં મોટો હતો. તેને સંતાનમાં બે પુત્ર છે. ગઇકાલે સાંજે નાનો ભાઇ બહારથી મનસુખભાઇને ફોન કરતો હોઇ તે ફોન ઉપાડતો ન હોઇ તેણે ઘરે જઇ જોતાં દરવાજો બંધ હતો. આથી નવેળાના ભાગે જઇ તપાસ કરતાં મોટો ભાઇ લટકતો જોવા મળ્યો હતો. ૧૦૮ને જાણ કરતાં તેના ઇએમટી અનિલભાઇએ પહોંચી મનસુખભાઇને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.

માલવીયાનગરના હેડકોન્સ. દિલીપસિંહ જાદવ અને પૃથ્વીરાજસિંહ જાડેજાએ કન્ટ્રોલ ઇન્ચાર્જ રાજુભાઇ તરફથી મળેલા મેસેજને આધારે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાતનું કારણ બહાર આવ્યું ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

(12:54 pm IST)