Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

કાળીપાટના ''ડબલ મર્ડર'' કેસમાં આરોપી સુરેશ દુધરેજીયાની માનવતાની અરજી રદ

આરોપીએ ખેતી કામ માટે જામીન માંગતા હાઇકોર્ટે અરજી નકારી

રાજકોટ તા ૯  :  કાળીપાટના ચકચારી ડબલ મર્ડર કેસમાં આરોપીની જામીન અરજી એડમિશન ના સ્ટેજે જ હાઇકોર્ટે આપી દીધી હતી.

રાજકોટ તાલુકાના ભાવનગર રોડ પર આવેલા કાળીપાટ ગામમાં આજથી આઠેક વર્ષ પહેલા તા. ૧૦/૭/૨૦૧૧ ના રોજ તાવા  પ્રસાદના ધાર્મિક પ્રસંગમાં થયેલ ગાળાગાળી બાબતે કોળી જુથે દરબાર જુથ ઉપર કરેલ હુમલામાં બે બે દરબાર યુવાનો (૧) મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા તથા (ર) વિશ્વજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાની હત્યા થયેલી હતી. જેમાં તાલુકા પો.સ્ટે.માં ઇ.પીેકો.ની કલમ ૩૦૨,૩૦૭, ૩૨૬,૩૨૫ વગેરે ના કામ સબબ ગુનો નોંધાયેલ.

આ ગુનાના કામે ૧૦ આરોપીઓની ધરપકડ થયેલી, જેમાના મોટાભાગના આરોપીઓ ખુબજ લાંબા સમયથી જયુડિશિયલ  કસ્ટડીમાં હોય, જેમાંથી સુરેશ રઘા દૂધરેજીયા અને દિનેશ દેવશી દૂધરેજીયાએ હાલ જીલ્લા જેલ રાજકોટ વાળાએ માનવતાના ધોરણે વચગાળાના જામીન પર છુટવા રાજકોટની સેશન્સ અદાલતમાં જામીન અરજી કરેલ હતી, જે અરજી રદ થતાં હાઇકોર્ટમાં અરજી કરી હતી.

જેમાંથી સુરેશ રઘા દૂધરેજીયા અને દિનેશ દેવશી દૂધરેજીયાએ જેલમાંથી જ બે અલગ અલગ જામીન અરજી કરેલ અને પોતાની ખેતીની જમીનમાં ચોમાસુ પાકમાં નીંદામણ, ખાતર, જંતુનાશક દવા તથા સાંતી હકાવા દિન-૩૦ ના વચગાળાના જામીન માંગેલ.

આ  હુકમની સામે સુરેશ રઘા દૂધરેજીયા એ હાઇકોર્ટમાં જામીન અરજી કરતા, હાઇકોર્ટે આરોપી અરજદાર સુરેશ રઘા દૂધરેજીયાની વચગાળા ખેતી કામ માટે આરોપી અરજદાર ની જરૂર ના હોય તેવું માની જે જામીન અરજી એડમિશન ના સ્ટેજમાં ફગાવી દીધેલ હતી.

આ કામમાં હાઇકોર્ટના વકીલ કૃણાલ શાહી તથા રાજકોટના સ્પે. પી.પી. તરીકે શ્રી અનિલ દેસાઇ તથા મુળ ફરીયાદી તરફે વકીલ રૂપરાજસિંહ પરમાર,અજિત પરમાર, કુલદીપસિંહ બી. જાડેજા, ભરત સોમાણી, શિવરાજસિંહ ઝાલા, રોકાયેલ હતા અને શકિતભાઇ ગઢવી રોકાયા હતા.

(3:29 pm IST)