Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

જનરલ બોર્ડમાં કોંગ્રેસનાં હોબાળા વચ્ચે ભાજપે ''મનગમતી'' દરખાસ્તો મંજુર કરી લીધી

વધુ એક જનરલ બોર્ડ પ્રજાના પ્રશ્નોની ચર્ચા વગર પૂર્ણઃ પ્રેક્ષક ગેલેરી અને પેટા પ્રશ્ન નહી પુછવા દેવા બાબતે કોંગ્રેસનાં કોર્પોરેટરો સતત હોહા-ગોકીરો કરતાં રહયા અને ભાજપે કોર્પોરેટરનાં પગાર વધારો,જમીન હેતુફેર, અધિકારીની ભરતી સહિતની ૪ દરખાસ્તો એજન્ડામાં લીધા વગર અર્જન્ટ બીઝનેસથી સર્વાનુમતે મંજુર કરાવી લીધી

જનરલ બોર્ડમાં આજે પણ વિપક્ષ કોંગ્રેસનાં કોર્પોરેટરોએ પ્રેક્ષક ગેલેરી ખોલવા બાબતે હોબાળો મચાવ્યો હતો તે વ ખતની તસ્વીરોમાં સિનિયર કોર્પોરેટર નીતીનભાઇ ભારદ્વાજ ઉગ્ર ચર્ચા કરી રહેલા દર્શાય છે તેઓની સાથે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, કશ્યપભાઇ શુકલ અને બાબુભાઇ આહીર સહીતનાં કોર્પોરેટરો દર્શાય છે. તેમજ ચાલુ જનરલ બોર્ડે ભા.જ.પ.-કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટરો સામ-સામે આવી ગયા હતાં તે નજરે પડે છે ત્થા બોર્ડમાં ઉપસ્થિત પૂર્વ મેયર ડે. જૈમન ઉપાધ્યાય ત્થા ભાજપના અને કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટરો નજરે પડે છે. (તસ્વીરોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૨૦: મ્યુ.કોર્પોરેશનમાં આજે મળેલું જનરલ બોર્ડ વધુ એક વખત પ્રજાનાં પ્રશ્નોની ચર્ચા વગર જ પૂર્ણ થઇ ગયું હતું અને હંમેશની જેમ વિપક્ષ કોંગ્રેસનાં કોર્પોરેટરોનાં હોબાળા વચ્ચે શાસક પક્ષ ભા.જ.પે. ''મનગમતી'' દરખાસ્તો સર્વાનુમતે કોઇ જ વિરોધ વગર મંજુર કરાવી લીધી હતી.

આજે સવારે ૧૧ વાગ્યે જનરલ બોર્ડનો પ્રારંભ થતાં સોૈ-પ્રથમ કોર્પોરેટર બાબુભાઇ આહીરે પુછેલાં વૃક્ષારોપણ અને બગીચાનાં પ્રશ્નોની ચર્ચા શરૂ કરાયેલ જેમાં કમિશનર બંછાનિધી પાનીએ આંકડાકિય માહિતી રજુ કરી હતી. આ દરમિયાન વિપક્ષી નેતાં વશરામ સાગઠિયા અને કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરને પેટા પ્રશ્ન નહી પૂછવા દેવાતાં ભા.જ.પ. કોંગ્રેસનાં મહિલા-કોર્પોરેટરો  સભાનાં અધ્યક્ષ મેયર બીનાબેન આચાર્યના ટેબલ પાસે ઘસી ગયા હતાં અને બંને વચ્ચે હોહા-દેકારો થયો હતો. આ દરમિયાન વિપક્ષી નેતા સહિત તમામ કોંગી કોર્પોરેટરોએ પ્રેક્ષક ગેલેરી ખોલવાનાં મુદ્દે સુત્રોચ્ચાર અને દેકારો શરૂ કરી દીધા હતાં અને આ તમામ બઘડાટીમાં પ્રશ્નોતરીનો ૧ કલાકનો સમય બરબાદ થઇ જતાં પ્રજાનાં પ્રશ્નોની ચર્ચા થઇ નહીં અને શાસક પક્ષ ભા.જ.પે હંમેશની જેમ ગણતરીની મીનીટોમાં જનરલ બોર્ડનાં એજન્ડાની ૪ અને એજન્ડા વગર અરજન્ટ બીઝનેસથી રજુ થયેલી ૪ દરખાસ્તોને કોંગી કોર્પોરેટરોનાં દેકારા વચ્ચે સર્વાનુંમતે મંજુર કરાવી લીધી હતી.

અરજન્ટ દરખાસ્તો

આજનાં બોર્ડમાં જે અરજન્ટ દરખાસ્તો રજુ થયેલ તેમાં કોર્પોરેટરોનો પગાર વધારો, વોર્ડ નં. ૯ની સોમનાથ સોસાયટીની બગીચા હેતુની જમીનનો રહેણાંકમાં હેતુફેર કરવા, ડાયરેકટ (આઇ.ટી.) ની ભરતી અને સ્વ. અરવિંદભાઇ મણિયાર પુસ્તકાલયનાં બોર્ડમાં સભ્યપદે દુર્ગાબા જાડેજાની નિમણૂંક કરવા સહિત ૪ દરખાસ્તો મંજુર કરાયેલ.

આ ઉપરાંત એજન્ડામાં રહેલી આ સામાન્ય સભામાં શહેરનાં વોર્ડ નં. ૭માં પ્રહલાદ પ્લોટ શેરી નં. ૨૬ને 'મુકંદભાઇ જીવરામભાઇ પંડિત' નામકરણ કરવા, વોર્ડ નં. ૧૪માં ૮૦ ફુટ રોડ પર ભકિતનગર સર્કલ પાસે આવેેલી પી એન્ડ ટી.વી. હાઇસ્કૂલના જુના બિલ્ડીંગનો ઇમલો પાડીને લઇ જવાના કામ, મિલ્કત વેરામાં પેન્ડિંગ વાંધા અરજીઓ માટે વળતર યોજનામાં ફેરફાર કરવા સહિતની ૪ દરખાસ્તો સહિત કુલ ૮ દરખાસ્તો સર્વાનંુમતે મંજુર થયાનું મેયર બીનાબેન આચાર્યએ જાહેર કયુંર્ હતું.

અટલજી-મનોહરસિંહ જાડેજા  સહિત ત્રણ શોક ઠરાવ

રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશનની આજે મળેલ સામાન્ય સભામાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇ, રાજવી અને પૂર્વ નાણામંત્રી મનોહરસિંહ જાડેજા તથા પૂર્વ કોર્પોરેટર પ્રફુલચંદ્ર કકકડ સહિત ૩ શોક ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા

(4:11 pm IST)