Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

અમદાવાદથી મોરબી પેટીયુ રળવા આવેલા મારવાડી યુવાનનું ડેમૂ ટ્રેનની ઠોકરે મોત

અરજણ સોલંકી બે દિવસ પહેલા જ આવ્યો હતો અને ફઇના ઘરે રોકાયો'તો

રાજકોટ તા. ૨૦: મોરબીમાં ડેમૂ ટ્રેનની ઠોકરે ચડી જતાં અમદાવાદના મારવાડી યુવાનનું મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ અમદાવાદ કુબેર નગરમાં રહેતો અરજણ જીવણભાઇ સોલંકી (ઉ.૩૫) નામનો મારવાડી યુવાન બે દિવસ પહેલા મોરબી ખાતે મજૂરી કરવા આવ્યો હતો અને અહિ તેના કુટુંબી ફઇ તુલસીબેનના ઘરે રોકાયો હતો. ગત સાંજે આઠેક વાગ્યે તે મોરબી રેલ્વે સ્ટેશન પાડા પુલ પાસે પાટા ઓળંગતો હતો ત્યારે ડેમૂ ટ્રેનની ઠોકરે ચડી જતાં માથા-શરીરે ગંભીર ઇજા થતાં મોરબી હોસ્પિટલમાં ખસેડાયો હતો. રેલ્વે પોલીસે તેના ફઇને મોબાઇલ નંબર પરથી જાણ કરી હતી. અરજણથી વધુ ઇજા પહોંચી હોઇ રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ મોડી રાત્રે દમ તોડી દીધો હતો.

મૃતક અપરિણીત હતો. રાજકોટ રેલ્વે પોલીસ મથકના કમલેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી કાગળો મોરબી મોકલ્યા હતાં. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

(10:23 am IST)