Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કુવાડવા પાસે છકડો પલ્ટી જતાં સ્વામિનારાયણ પાર્કની અન્નપુર્ણા ગોસ્વામીનું મોતઃ પતિ સહિત ચારને ઇજા

બેસતા વર્ષના દિવસે ચોટીલા દર્શન કરવા જતી વખતે મુળ યુ.પી.ની પરિણીતાને કાળ ભેટ્યો

રાજકોટ તા. ૧૯: બેસતા વર્ષના દિવસે જ સવારના પ્હોરમાં કુવાડવા નજીક છકડો રિક્ષા પલ્ટી મારી જતાં તેના ચાલક સહિતે ચારને ઇજા થઇ હતી. જ્યારે મવડી ચોકડી પાસે સ્વામીનારાયણ પાર્કમાં રહેતાં મુળ યુપીના અન્નપુર્ણા ધર્મેન્દ્રગીરી ગોસ્વામી (ઉ.૨૨)નું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ ગુલાબનગરમાં રહેતી અન્નપુર્ણા તથા તેના પતિ ધર્મેન્દ્રગીરી તેમજ તેના ફઇ, ફુવા સહિતના લોકો બેસતા વર્ષની રજામાં મવડી ચોકડીએથી ચોટીલા દર્શન કરવા જવા માટે છકડો રિક્ષામાં બેઠા હતાં. રિક્ષા કુવાડવા નજીક પહોંચી ત્યારે પલ્ટી ખાઇ જતાં ગુલાબનગરના પ્રભુ પરેશભાઇ આર્યા (ઉ.૨૫), મીરાબેન સાગર આર્યા (ઉ.૨૩), અમર રામદયાલ આર્યા (ઉ.વ.૩૩), મવડી સ્વામિનારાયણ પાર્કના ધર્મેન્દ્રગીરી મદનગીરી ગોસ્વામી (ઉ.૨૩), તેની પત્નિ અન્નપુર્ણા (ઉ.વ.૨૨)ને નાની-મોટી ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ અન્નપુર્ણાનું મોત નિપજ્યું હતું.

મૃતક મુળ યુ.પી.ની વતની હતી. તેનો પતિ કારખાનામાં મજૂરી કરે છે. તેણીના લગ્ન બે વર્ષ પહેલા થયા હતાં. કુવાડવા પોલીસે છકડો ચાલક સામે ગુનો નોંધવા તજવીજ કરી હતી.

(3:10 pm IST)