Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

'હું તમારો મામો થાવ છું...મને પગે કેમ નથી લાગતાં' કહી મનોજ અને કાજલ પર ધોકાવાળી

રૈયાધારનું દેવીપૂજક દંપતિ સારવારમાં: મનોજ કહે છે-પપ્પુ ધરાર મારો મામાજી બનવા માટે ડખ્ખા કરે છે!

રાજકોટ તા. ૧૯: રૈયાધાર મફતીયાપરામાં રહેતાં દેવીપૂજક યુવાન અને તેની પત્નિને આ વિસ્તારના જ એક દેવીપૂજક શખ્સે સંબંધમાં કંઇ થતો ન હોવા છતાં 'હું તમારો મામો-મામાજી થાવ છું, મને પગે કેમ નથી લાગતાં, મને માન કેમ નથી આપતાં' તેમ કહી ગાળો દઇ બીજા શખ્સો સાથે મળી ધોકા અને ઢીકા-પાટુનો માર મારતાં પતિ-પત્નિ બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.

રૈયાધારમાં રહેતો અને બકાલુ વેંચી ગુજરાન ચલાવતો મનોજ માલજીભાઇ કુંવરીયા (ઉ.૨૧) નામનો દેવીપૂજક યુવાન સાંજે પાંચેક વાગ્યે ઘર પાસે હતો ત્યારે પપ્પુ દેવીપૂજક બીજા બે શખ્સો કિશન અને સંજય સાથે આવ્યો હતો અને 'હું તારો મામાજી થાવ છું, મને માન આપીને પગે કેમ નથી લાગતો?' તેમ કહેતાં મનોજે 'હું તો તમને ઓળખતો પણ નથી, તો મામાજી કયાંથી થયા?' તેમ કહી પોતાની પત્નિ કાજલને બોલાવતાં કાજલે પણ 'તમે મારા મામા નથી' તેમ કહેતાં પપ્પુ ઉશ્કેરાયો હતો અને બીજા બે શખ્સો સાથે મળી મનોજ તથા કાજલ બંનેને માર માર્યો હતો. હોસ્પિટલના બિછાનેથી મનોજે આ વિગતો જણાવી હતી.

ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસમાં જાણ કરી હતી.

(3:12 pm IST)