Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

મોરબી રોડ જકાતનાકા પાસે કાલે માતાજીનો માંડવોઃ પ૦ હજાર ભાવિકો ઉમટશેઃ ૨૭ ભૂવાઃ ૪૦૦ સ્વયંસેવકો

૬ હજાર કિલો બૂંદી- પ હજાર કિલો ગાંઠીયા - પ હજાર કિલો ખીચડી- ૧૦૦ ડબ્બા તેલ- ૫૦ ગુણી ખાંડનો જબરો પ્રસાદ

રાજકોટ, તા.૧૯: મોરબી રોડ ઉપર નવા જકાતનાકા પાસે આવેલ ખોડીયાર માતાજીના મંદિર ખાતે સમગ્ર સૌરાષ્ટ્રમાં મોટામાં મોટા યોજાતા માંડવાનું આયોજન આવતીકાલે તા.૨૦ને શનિવારના રોજ કરવામાં આવ્યું છે.

૪૦૦થી વધુ સ્વયંસેવકોની ફોજ દ્વારા માંડવાની તડામાર તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. મોરબી રોડ જકાત નાકા પાસે આવેલ ૧૫ વિદ્યાથી વધુની જમીનમાં સફાઈ અભિયાન હાથ ધરી મંડપ સહિતના સમિયાણાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ખોડિયાર મિત્ર મંડળ દ્વારા યોજવામાં આવતા નવરંગા માંડવા માટે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આવતીકાલે તા.૨૦ના રોજ વ્હેલી સવારે માંડવાની થાંભલીનું રોપણ કરવામાં આવશે ત્યારબાદ માતાજીનું સામૈયું કરવામાં આવશે. ખોડીયાર માતાજીના માંડવામાં ખ્યાતનામ દિનેશભાઈ રાવળદેવ સહિત રણછોડભાઈ લીંબાસીયા, રદ્યુભાઈ સોજીત્રા, પ્રફુલભાઈ ત્રિવેદી, નવદ્યણભાઈ ફાગલીયા, પરેશભાઈ ઉકેડીયા, મોહનભાઈ વાગડીયા, ગોરધનભાઈ મુંધવા, રજાકભાઈ મામાપીર, બાબુભાઈ અજાણી, સહિત પંચના ભુવાઓ ઉપસ્થિત રહેશે. અને માંડવો ભાવિકો માણી શકે તે માટે મંદિર પાસે વિશાળ એલઈડી સ્ક્રીન ગોઠવવામાં આવી છે.

શનિવારે સાંજે ૭ થી ૧૧ વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી ૫૦ હજારથી વધુ ભાવિકો ઉમટી પડશે જેના માટે ભોજન સમિતિ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

માતાજીનાં માંડવાના મહાપ્રસાદ માટે ૬૦૦૦ કિલો બુંદી, ૫૦૦૦ કિલો ગાંઠીયા, ૫૦૦૦ કિલો ખીચડી, ૧૦૦ ડબ્બા તેલ, ૫૦ ગુણી ચણાનો લોટ, ૫૦ ગુણી ખાંડ, ૭૦ ગુણી બટેટા, સહિતની ચીજ વસ્તુઓનો વપરાશ થનાર છે. ખોડીયાર મિત્ર મંડળ સહિત જમનાપાર્ક મિત્ર મંડળ, ગંગાપાર્ક મિત્ર મંડળ, વેલનાથ મિત્ર મંડળ, દ્વારકાધીશ મિત્ર મંડળ, ઉત્સવ મિત્ર મંડળ, જય માતાજી ગ્રુપ, રાધે ક્રિશ્ર્ના યુવા ગ્રુપ, શકિત યુવક મંડળ, બાલ્ક હનુમાન મિત્ર મંડળ આશાપુરા મિત્ર મંડળ, (ભાનુશાળી)ગ્રુપ સહિત ૧૫ જેટલા મંડળ -ગ્રુપના સભ્યો ઉપરાંત સંજયભાઈ ભાનુશાળી ઉદયભાઈ ટોળીયા, બાબુભાઈ અજાણી, મહેશભાઈ આતવાણી, રાજુભાઈ કુંભારવાડીયા, આર.બી. જાડેજા, સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:08 pm IST)